ખેડાના રઢુ ગામ બાદ હવે માતરના મહેલજમાં ગેરકાયદે બ્રિજ તોડી પડાયો
નડિયાદ : ખેડા તાલુકાના રઢુ ગામ બાદ હવે માતરના મહેલજમાં ગેરકાયદે બ્રિજ તોડી પડાયો છે. વાત્રક નદી પર ગેરકાયદે રીતે બ્રિજ બનાવાયો હતો. ત્યારે સ્થાનિકો આ બ્રિજ ભૂમાફિયાઓએ નહીં પરંતુ આસપાસના ગ્રામજનોની સુખાકારી માટે બનાવ્યો હોવાનો દાવો કરી રહ્યા છે. જો કે, નદીમાં ખનન પ્રવૃતિ માટે જ આવા બ્રિજ બનાવાઈ રહ્યા છે, તે અનેક કેસમાં સામે આવ્યુ છે.
માતર તાલુકાના મહેલજ ગામની નજીકથી વાત્રક નદી પસાર થાય છે. આ વાત્રક નદીની ઉપર મહેલજથી ખેડાના રઢુ ગામને જોડતો ૧૦૦ ફૂટનો બ્રિજ તોડી પડાયો છે. સિમેન્ટના નળ નાખી અને ગેરકાયદેસર બ્રિજ બનાવાયો હતો.
મામલતદારના આદેશ બાદ આ બ્રિજ તોડી નાખતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. જો કે, આ બ્રિજ ગ્રામજનો ઉપયોગમાં લેતા હતા કે પછી ભૂમાફિયાઓ તે અંગે હજુ સુધી તંત્રમાંથી કોઈ અધિકારીએ સત્તાવાર નિવેદન આપ્યું નથી. આ બ્રિજ પણ ભૂમાફિયાઓ દ્વારા જ ગેરકાયદેસર ખનન પ્રવૃતિ માટે ઉપયોગમાં લેવાતો હોવાની ચર્ચાઓ છે. નદીમાંથી રેતી ખનન કરી અને એક તરફથી બીજી તરફ લઈ જવાતી હતી. જો કે, ખનીજ માફિયાઓએ બનાવેલો આ બ્રિજ સ્થાનિકો પણ ઉપયોગ કરતા હતા.
આ મામલે સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે, સિમેન્ટના મોટા ભૂંગળા નાખીને બનાવાયેલો આ બ્રિજ આસપાસના ગ્રામજનો પણ ઉપયોગમાં લેતા હતા. લોકોને ૪૦ કિલોમીટરનું અંતર આ બ્રિજના કારણે ૧૦ કિલોમીટર થઈ જતું હતું. જેથી ૩૦ કિલોમીટરનો ફેરો ઘટતો હતો. તંત્ર દ્વારા સ્થાનિકો માટે બ્રિજ કાયદેસરનો બ્રિજ બનાવાય તે જરૂરી છે.