પેટલાદમાં આંબેડકર ભવન નિર્માણ માટેનો સ્ટે હટાવાયો: કામ ફરી શરૂ થવાની તૈયારી
પેટલાદ નગર પાલીકા દ્વારા નિકાસના કામ અંતર્ગત વોર્ડ નંબર 2 માં આવેસ ઉપનગર કેન્દ્રની જમીનમાં આંબેડકર ભવન રૂ.55 લાખના ખર્ચે તૈયાર કરવા માટેની કામગીરી હાથ ધરી હતી. ત્યારે અગાઉ પેટલાદમાં ચીફ ઓફિસર રહી ચુકેલા હિરલબેન ઠાકરે ઉપનગર કેન્દ્રની જમીનમાંથી ખોટી રીતે વૃક્ષો કાપીને આંબેડકર ભવન બનાવવાના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો. જે બાબતે તેઓએ પ્રાદેશિક કમિશ્નરમાં રજુઆત કરી હતી. જે તે સમયે પ્રાદેશિક કમિશ્નરે સ્ટે આપતા કામ અટકી ગયુ હતું. ત્યારબાદ નવા આવેલા પ્રાદેશિક કમિશ્નરે સમક્ષ સત્તાધિશોએ પુરાવા રજુ કર્યા હતા. જેથી પ્રાદેશિક કમિશ્નરે ઉપનગરની જમીનમાં આંબેડકર ભવન બનાવવા માટે મુકેલ સ્ટે ઉઠાવી લેતા ટુંક સમયમાં કામ શરૂ કરાશે.
પ્રાપ્ત માહિતી અનુસાર પેટલાદ નગર પાલીકા દ્વારા ઉપનગર કેન્દ્ર માટે રિઝર્વ રાખેલ જમીન પર કોઇ પણ પ્રજાના વિકાસલક્ષી કામ થઇ શકે છે. તેને ધ્યાને લઇ આંબેડકર ભવન બનાવવાનો નિર્ણય લીધો હતો. આ ઉપરાંત ધોબી કુંડનું બ્યુટીફિકેશન સહિતના વિકાસના કામો હાથ ધરાયા હતા. પરંતુ પેટલાદ નગર પાલીકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે ખોટી રીતે વૃક્ષો કાપીને અને ઉપનગર કેન્દ્રની જમીનમાં અન્ય કોઇ કામ ન થઇ શકે તે બાબતે પ્રાદેશિક કમિશ્નરને રજુઆત કરી હતી. જેને લઇને પ્રાદેશિક કમિશ્નરે સ્ટે મુક્યો હતો.
આ બાબતે પેટલાદ નગર પાલીકાના પ્રમુખ સહિત એન્જીનિયર જીતેશ પટેલે પ્રાદેશિક કમિશ્નર સમક્ષ પુરાવા રજુ કર્યા હતા. અમે તમામ વૃક્ષો કાપ્યા નથી. જેટલા વૃક્ષો કાપ્યા છે તેટલા નવા વૃક્ષો અન્ય જગ્યાએ રોપવામાં આવશે. તેમ જણાવ્યુ હતું. તેમજ પ્રજાના વિકાસના કામો રિઝર્વ જમીનમાં પણ થઇ શકે છે. જે બાબતે રજુઆત કરી હતી. જેથી વડોદરા પ્રાદેશિક કમિશ્નરે અગાઉ આપેલ સ્ટે ઉઠાવી લીધો છે.