આંકલાવમાં ટ્રાફિક સમસ્યાને લઈ પોલીસની કાર્યવાહી: 40થી વધુ લારીઓ અને વાહનો પર પગલાં
આંકલાવ શહેરમાં ટ્રાફિક સમસ્યાને લઈ અનેકવાર દબાણો દૂર કરવામાં આવ્યા છે. ત્યારે વાંરવાર થતી ટ્રાફિક સમસ્યાને લીધે જિલ્લા સંકલનમાં રજુઆત કરતા આંકલાવ પોલીસ 40થી વધુ લારીઓ તેમજ આડેધડ પાર્ક કરતા વાહનો પર કાર્યવાહી ધરતા વિવાદ સર્જાયો છે. જેમાં હીરાગીરી કોમ્પલેક્ષમાં વેપારીઓએ ગેરકાયદે તાણી બાંધેલ શેડ તેમજ પાલિકા દ્વારા નડતરરૂપ લગાવેલ સ્ટ્રીટ લાઇટ પોલથી થતી ટ્રાફિક સમસ્યા થાય છે.
આ બાબતને ગંભીર ન લેતા માત્ર નાના વેપારીઓને હેરાન કરવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. ચોકડી પર અમુક દબાણો હટાવવામાં ન આવતા હોવાથી રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. આંકલાવ બજારમાં તેમજ ઉમેટા ચોકડી પર વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવવા બાબતે માત્ર નોટીસ આપી હાથ ઊંચા કર્યા હતા.
આંકલાવ શહેરના બજારોમાં વર્ષોથી ખડકાયેલાં દબાણોના રાફડા વચ્ચે માત્ર નાના વેપારીઓને હેરાન કરતા હોવાથી વિવાદ સર્જાયો છે. શહેરમાં તેમજ મુખ્ય માર્ગ પર ટ્રાફીક સમસ્યાને લઈ સંકલન બેઠકમાં રજુઆત થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં પોલીસની કામગીરી બાબતે વિવાદ સર્જાયો છે.
જો કે વહીવટી તંત્રની મહેરબાનીથી વર્ષોથી હીરાગીરી કોમ્પલેક્ષમાં ગેરકાયદે ખડકયેલાં શેડ તેમજ અન્ય બીજા અનેક દબાણો જેનાંથી ટ્રાફિક સમસ્યા સર્જાય છે. તો પણ દૂર કરવામાં અવતા નથી અને માત્ર નાના વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે. ઉપરાંત માત્ર બજારમાં રહેલા લારીઓને ટાર્ગેટ બનાવવામાં આવે છે મુખ્ય માર્ગ પર કાર્યવાહી કરવામાં ન આવતી હોવાના વિરોધ સાથે વિવાદ સર્જાયો છે. જેને લઈને શહેરમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે.