જાણીતા અભિનેતા મુકુલ દેવનું નિધન, બોલિવૂડ ઈન્ડસ્ટ્રી આઘાતમાં
બોલિવૂડ ઈન્ડસ્ટ્રી માટે એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. ફિલ્મો અને ટીવીના જાણીતા એક્ટર મુકુલ દેવનું ગત રાત્રે નિધન થયું છે. અભિનેતાએ 54 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેના નિધનના સમાચારથી સિનેમા જગત શોકમાં ગરકાવ થઈ ગયું છે.
ઘણા સમયથી બીમાર
મુકુલ દેવ સાથે સન ઓફ સરદાર ફિલ્મમાં કામ કરી ચૂકેલા એક્ટર વિંદુ દારા સિંહે તેમના નિધનની ખાતરી કરી હતી. તેણે કહ્યું કે મુકુલ દેવ ઘણા સમયથી બીમાર હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ ગઈકાલે રાત્રે નિધન થયુ હતું. વિંદુ દારા સિંહે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે મુકુલ હવે મોટા પડદા પર જોવા નહીં મળે. માતા-પિતાના મૃત્યુ બાદથી તે એકલો રહેતો હતો. ઘણા સમયથી ઘરમાંથી બહાર પણ નીકળતો ન હતો, તેમજ કોઈને મળતો પણ ન હતો. થોડા દિવસો પહેલા તેની તબિયત લથડી હતી. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તે એક અદભૂત વ્યક્તિ હતા અને તે હંમેશા અમારી યાદોમાં જીવિત રહેશે.