મહેસૂલી તલાટીની ભરતી સામે તલાટીઓમાં રોષ, જૂના પ્રશ્નોનું નિરાકરણ બાકી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ર૩૮૯ જેટલી મહેસૂલી તલાટીની જાહેરાત કરવામાં આવતા તેના વિરોધમાં તલાટી કમ મંત્રીઓ પુન: આંદોલન હાથ ધરશેની સ્થિતિ જોવા મળી રહી છે. સરકાર દ્વારા મહેસૂલી તલાટીઓને જૂજ કામ, ના.મામલતદારમાં બઢતી સહિતના લાભો સામે તલાટી કમ મંત્રીઓના વર્ષોજૂના પ્રશ્નોનું નિરાકરણ લવાયું ન હોવાનું જણાવતા આણંદ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, મહેસૂલી તલાટી પાસે ચાર મુદ્દાનું કામ જયારે તલાટી કમ મંત્રી પાસે ૧૦૦ મુદ્દાના જોબ ચાર્ટ સાથે સરકારની વિવિધ ઓનલાઇન કામગીરીઓ પણ નિભાવવાની હોય છે.
અગાઉ અમે બંને જોબ ચાર્ટ અલગ કરી આપવાની માંગણી કરી હતી. પરંતુ સરકારે બે વર્ષથી માત્ર સમિતિ બનાવીને સંતોષ માન્યો છે પરંતુ હજી સુધી કોઇ નકકર કાર્યવાહી હાથ ધરી નથી. જેથી નવા મહેસૂલી તલાટીઓની નિમણૂંક પહેલા અમારા પ્રશ્નોના નિરાકરણ માટે પુન: આંદોલન કરવાની તલાટી કમ મંત્રીઓ તત્પરતા વ્યકત કરી હતી.
ઉલ્લેખનીય છે કે મહેસૂલ વિભગા દ્વારા વર્ષ ર૦૦૮માં ઠરાવ થઇને મહેસૂલી તલાટીની નવી જગ્યાઓ ઉભી કરવામાં આવી હતી. આ જગ્યાઓ અગાઉ પંચાયત અને મહેસૂલનું શહેરી વિસ્તારમાં પણ તમામ ગ્રામ પંચાયત હેઠળ આવતા તલાટી કમ મંત્રીઓ દ્વારા કરવામાં આવતું હતું. ર૦૦૮માં સરકાર દ્વારા મહસૂલી તલાટી કેડર ઉભી કરવાનું નકકી કરાતા સરકાર દ્વારા ૧૪ ઓકટો.ર૦૧૦ના પરિપત્રમાં ગ્રામ્ય કક્ષાએ મહેસૂલ વિભાગનું તમામ કામ મહેસૂલી તલાટીને આપ્યું હતું અને ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પાસે ફકત પંચાયત વિભાગનું કામ રહ્યું હતું.
ત્યારબાદ સરકાર દ્વારા પાલિકાઓ, મહાનગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતોની સાપેક્ષમાં કરેલ ઓછી ભરતી અને બિન અનુભવી કર્મચારીઓના કારણે જોબ ચાર્ટ અને કામગીરી નકકી કર્યાના ર વર્ષમાં જ, તા. ર૪ ફેબ્રુ.ર૦૧રના રોજ ઠરાવ કરીને તમામ મહેસૂલ ઉઘરાવવા સહિતની ૧૮ નમૂના સહિતની કામગીરી તલાટી કમ મંત્રીને પરત કરી દીધી હતી. જયારે મહેસૂલી તલાટીને નવો જોબ ચાર્ટ આપીને ફકત ૪ મુદ્દાની કામગીરી આપવામાં આવી હતી. આમ થવાની સાથે મહેસૂલી તલાટીને દસ વર્ષ ૪૪૦૦ ગ્રેડ પે અને નાયબ મામલતદાર સંવર્ગમાં બઢતીની તકોના લાભની સાથે તલાટી કમ મંત્રીઓને પોતાની સાથે સરકાર અન્યાય કરી રહ્યાનો અનુભવ થતા આંદોલન છેડયું હતું.જેમાં આંદોલન અને માંગણીની યર્થાથતા જોતા સરકારે ૧ર સપ્ટે.ર૦૧૭ના રોજ બંને કેડરને મર્જ કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ અમલ હજી સુધી કર્યો નથી. બીજી તરફ હાલ રાજયમાં ૧૬૦ જેટલી નગરપાલિકા, ૧૭ મહાનગર પાલિકા, ૧૮ હજારથી વધુ ગામો અને ૧૪ હજારથી વધુ ગ્રા. પંચાયતોમાં હાલ કાર્યરત ર હજાર અને નવા ર૩૮૯ જેટલા મહેસૂલી તલાટી કેવી રીતે કામ કરશે તે સવાલ થઇ રહ્યા છે. તલાટી કમ મંત્રીઓ પણ આ મામલે જણાવી રહ્યા છે કે, આ તો અંધેર નગરી જેવો ઘાટ થઇ રહ્યો છે. મહેસૂલ તલાટીઓની ભરતી કરીને પણ મહેસૂલનું કામ પંચાયત તલાટી પાસે જ કરાવવાનું આયોજન હોઇ શકે છે.
સરકારી કાર્યક્રમોમાં બસ ભરીને લોકોને લઇ જનાર તલાટીઓને ઉચ્ચતમ પગાર ધોરણ અંગે ૭ વર્ષથી લોલીપોપ : વ્યથિત તલાટી
મહેસૂલી તલાટીની ભરતી કરવા સાથે સમાન પગાર ધોરણ ન અપાય તો તમામ મહેસૂલી કામગીરીના બહિષ્કારની તલાટી કમ મંત્રીઓની ચીમકી રાજય સરકારની બેધારી નીતિ અંગે રોષ વ્યકત કરતા તલાટી કમ મંત્રીએ નામ ન આપવાની શરતે જણાવ્યુ ંહતું કે, રાજકીય નેતાઓની ઉપસ્થિતિ કે કોઇપણ સરકારી કાર્યક્રમોમાં બસ ભરીને લોકોને લઇ જવાની કામગીરીનું ભારણ અમારા પર લદાતું રહ્યું છે અને અમે તેને કોઇપણ રીતે પૂર્ણ્ી કરીએ છીએ. પરંતુ તા. ર નવે.ર૦૧૮ના રોજ પંચાયત અને મહેસૂલ વિભાગના તલાટીઓને સમાન ધોરણે બઢતી, ઉચ્ચતમ પગાર ધોરણ આપવાનો નિર્ણય કર્યો હતો. જો કે સરકારના પદાધિકારી-અધિકારીઓ બદલાતા ગયા પરંતુ આ નિર્ણયની કયારેય અમલવારી થઇ નથી. આ અંગે અમારા મંડળની રજૂઆત અંગેની બેઠકમાં સરકારના અધિકારીઓ સરકારને નાણાંકીય ભારણ વધુ થાય એમ કહીને અમલવારીનો નનૈયો ભણી રહ્યા છે. જેથી હવે ન્યાય માટે આંદોલન એ જ કલ્યાણ સિવાય કોઇ માર્ગ દેખાતો ન હોવાનું જણાવ્યું હતું.
આણંદ જિલ્લામાં ૩પ૦ ગ્રા.પં., ૧ મનપા અને ૮ પાલિકા સામે માત્ર ૩૦ મહેસૂલી તલાટી : નવા ૭૭ મહેસૂલી તલાટી તરીકે બિન અનુભવી કર્મચારીની ભરતી કર્યા બાદ પણ સ્થિતિ યથાવત રહેશે!
આણંદ જિલ્લામાં લગભગ ૩પ૦ ગ્રામ પંચાયતો, ૧ મહાનગર પાલિકા અને ૮ પાલિકાઓની સામે હાલ ૩૦ જેટલા મહેસૂલી તલાટી છે અને ૭૭ જેટલી નવી ભરતીની જગ્યા છે. મતલબ કે કુલ ૧૦૩ મહેસૂલી તલાટીમાંથી ૭૭ જેટલા બિનઅનુભવી કર્મચારીથી મહેસૂલ વિભાગ ચાલશે કે પછી હાલ ચાલી રહ્યું છે તેમ ગ્રામ્ય કક્ષાએ મામલતદાર કચેરીના કલાર્કનું અઢળક કામ કરાવીને તલાટી તરીકે કહેવા પૂરતું ૧૩પ-ડીની નોટિસ પૂરતું કામ લઇ ગ્રામ્ય કક્ષાએ સ્થિતિ જૈસે થેની યથાવત રહેશે? પરિણામે પ્રજાનું કામ અટવાશે.
રેવન્યુ અને પંચાયત તલાટીનો નવો જોબચાર્ટ નકકી કરવા માંગણી : બંને સંવર્ગને મર્જ કરવાની ૭ વર્ષ અગાઉ થયેલ જાહેરાતનો આજદિન સુધી અમલ નહીં!
રાજય સરકારે ર૩૮૯ મહેસૂલી તલાટીઓની ભરતીની જાહેરાત કરીને નવો ગૂંચવાડો સર્જયો છે. મહેસૂલી તલાટી અને પંચાયતી તલાટી શું કામગીરી કરશે તેના માટેની સમિતિએ ત્રણ વર્ષ થવા છતાંયે અલગ જોબ ચાર્ટ જ તૈયાર કર્યો નથી. જયારે સાત વર્ષ અગાઉ મહેસૂલી તલાટી અને પંચાયત તલાટી સંવર્ગને મર્જ કરવાની જાહેરાત કર્યા બાદ હજી સુધી તેની અમલવારી કરવામાં આવી નથી. આથી મહેસૂલી તલાટીની જોબ ચાર્ટ વગર ભરતી થશે તો કામગીરીનું સઘળું ભારણ તલાટી કમ મંત્રીના શિરે થોપાશેનો ગણગણાટ થઇ રહ્યો છે. જેથી રાજય તલાટી કમ મંત્રી મંડળ દ્વારા આક્રમક વિરોધ નોંધાવી, તમામ મહેસૂલી કામગીરીના બહિષ્કાર કરવાની અથવા કાયદાકીય ન્યાયની પ્રકિયા અનુસરે એવી સ્થિતિ હાલમાં વર્તાઇ રહી છે.