શાળાઓમાં શાળા વ્યવસ્થાપન સમિતિની પુનઃરચનાની પ્રક્રિયા શરૂ
રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત રાજયની તમામ પ્રા.શાળાઓમાં શાળા વ્યવસ્થાપન સમિતિની રચના કરવામાં આવે છે. આ સમિતિની દર બે વર્ષ પુન:રચના કરવામાં આવે છે. આણંદ જિલ્લા પંચાયત સંચાલિત ૯૮૯ અને નગરપાલિકા સંચાલિત ર૬ સરકારી પ્રા.શાળાઓમાં નવા શૈક્ષણિક સત્ર શરુ થયાના પ્રથમ સપ્તાહમાં જ શાળા વ્યવસ્થાપન સમિનિની પુન: રચના કરવા રાજય શિક્ષણ વિભાગ દ્વારા આદેશ કરાયો છે. અગાઉ શૈક્ષણિક વર્ષ ર૦ર૩-ર૪માં આ સમિતિની શાળાઓમાં રચના કરવામાં આવી હતી.
શાળા વ્યવસ્થાપન સમિતિમાં કુલ ૧ર સભ્યો પૈકી ૭પ ટકા એટલે કે ૯ સભ્યો શાળામાં અભ્યાસ કરતા બાળકોના માતાપિતા કે વાલીઓમાંથી હશે. જેમાં વંચિત જૂથ અને નબળા વિભાગના બાળકોના માતાપિતા-વાલીઓને પ્રમાણસર પ્રતિનિધિત્વ આપવાનું રહેશે. જયારે બાકી રહેલા રપ ટકા એટલે કે ૩ સભ્યોમાં એક સ્થાનિક ગ્રામ પંચાયત, નગર શિક્ષણ સમિતિ દ્વારા નકકી કરાયેલ સ્થાનિક સત્તાતંત્રના ૧ ચૂંટાયેલ સભ્ય, સ્થાનિક શિક્ષણવિદ્દમાં નિવૃત આચાર્ય અથવા ગામના વતની હોય તેવા સરકારી અધિકારી અથવા નોકરીમાં ચાલુ હોય તેવા શિક્ષણવિદ્દની નિયુકિત કરવાની હોય છે.
શાળાકક્ષાએ રોજીંદા વહીવટ ચલાવવા માટે સમિતિમાં સમાવિષ્ટ સભ્યોમાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની પસંદગી કરાશે. સમિતિની રચના થયા અંગેની સીઆરસી દ્વારા બીઆરસીને મોકલાયેલ પ્રમાણપત્ર જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડિ.ને મોકલવામાં આવે છે.
શાળા વ્યવસ્થાપન સમિતિ શું કાર્ય કરે છે ?
શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા શાળાની કામગીરી ઉપર દેખરેખ અને નિયંત્રણ, શાળા વિકાસ યોજના તૈયાર કરીને તેની ભલામણ કરશે. રાજય સરકાર અથવા સ્થાનિક સત્તાતંત્ર કે અન્ય કોઇ સ્ત્રોતમાંથી મળેલ ગ્રાન્ટના ઉપયોગ-વપરાશ ઉપર દેખરેખ, શાળા નજીકના વિસ્તારના લોકોને સરળ અને રચનાત્મક રીતે આરટીઆઇ એકટ અન્વયે બાળકોને પ્રાપ્ત થયેલ અધિકારો અંગે સમજ, વાલીઓની ફરજો સહિતની કામગીરી નિભાવવાની હોય છે.
શાળા પ્રવેશોત્સવમાં કમિટીના સભ્યોની હાજરી અનિવાર્ય
આગામી જૂન માસમાં શાળા કક્ષાએ ગાંધીનગરની સચિવ-અધિકારી, જિલ્લા પદાધિકારીઓ દ્વારા શાળા પ્રવેશોત્સવ અંતર્ગત બાળકોને શાળા પ્રવેશ આપવામાં આવશે.શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોની હાજરી જરુરી હોય છે. નવી રચાયેલ શાળા વ્યવસ્થાપન સમિતિ અને જૂના સભ્યો અપડેટ કર્યા છે કે નહી તે સહિતની ચર્ચા અંગેની કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બેઠક પણ યોજાશે.