નડિયાદ: ખોટા દસ્તાવેજો દ્વારા લોન મેળવવાનો પ્રયાસ, 7 શખ્સો સામે ફરિયાદ
નડિયાદમાં એકે ગીરે મુકેલ મિલકતમા ભાગીદારોની મદદથી બોગસ ડોક્યુમેન્ટના આધારે બજાજ ફાઈનાન્સ કંપનીમાંથી લાખો રૂપિયાની બે લોન પડાવી હતી. જોકે આ લોનના હપ્તા નિયમિત નહીં ભરતા ફાઈનાન્સ કંપની દ્વારા તપાસ કરવામાં આવતાં મોટો ઘટસ્ફોટ થયો છે. જેમાં જે મિલકતના ડોક્યુમેન્ટના આધારે લોન મંજૂર કરવામાં આવી છે તે તમામ ડોક્યુમેન્ટ બોગસ હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત ફાઈનાન્સ કંપનીના એજન્ટ, બ્રાન્ચ સેલ્સ મેનેજર અને ક્રેડિટ મેનેજરની પણ આ બાબતે ગંભીર બેદરકારી અથવા તો તેમના મેળાપીપણામાં આ કામગીરી થઈ હોવાની શક્યતાના પગલે આજે લોન પડાવનાર અને ગીરે મુકેલ મિલકતના ભાગીદારો અને કંપનીના ત્રણ કર્મચારીઓ મળી કુલ 7 ઈસમો સામે બજાજ કંપનીના આર.સી.યુ. મેનેજરે નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
નડિયાદ શહેરમાં એસઆરપી કેમ્પ સામે વિજયલક્ષ્મી સોસાયટીમાં નિમેષ ચૌહાણ રહે છે. તેઓ બજાજ ફાઈનાન્સ કંપનીમાં આર.સી.યુ. મેનેજર તરીકે ફરજ બજાવે છે. સેન્ટ્રલ ગુજરાતમાં આ કંપની સાથે કોઈ ફ્રોડ કે ફ્રોડ કરનાર સામે કાનુની કાર્યવાહી કરવાની તેમની જવાબદારી છે. અને નોન બેંકીંગ ફાઈનાન્સ કંપની જે કંપનીના ધારધોરણ પ્રમાણે ચાલે છે તેની શાખા નડિયાદમાં પણ આવેલી છે. જે કંપની તેના પોતાના માપદંડના આધારે પર્સનલ લોન કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન, બિઝનેસ લોન જેવી અલગ અલગ પ્રકારની લોન આપે છે.
વર્ષ 2022માં નડિયાદ શહેરના નવારાવપુરા વિસ્તારમાં રહેતા તરુણકુમાર નિરૂભાઇ બારોટે આ બજાજ ફાયનાન્સ કંપનીમા એજન્ટ તરીકે કામ કરતા સંજીવ.ડી.બ્રહ્મણે પાસેથી લોનની કાર્યવાહી માટે મળેલ હતા. લોન લેવા માટે વ્યવસાયના પુરાવા તરીકે આત્મીય પેટ્રોલપંપ નડિયાદના કાગળો રજુ કરેલ હતા. જેમા ભાગીદાર તરીકે (હર્ષલ ટીકેન્દ્ર બારોટ રહે-નડિયાદ) તેમજ સહ ભાગીદાર (રૂચિત કૃષ્ણકાંત દેસાઈ રહે-નડિયાદ)ના નામ દર્શાવેલ હતા. તેમજ ગીરવે મુકેલ મિકલત નંબર-1 જેમાં ટીકા નં.૫. સી .એસ.નં.299, મુની વોર્ડ નં.6, જુનું મકાન નં, 850/1/2/3/4, નવું મકાન નં.841/2/7/842, નવા રાવપુરા નડિયાદના કાગળો રજુ કરેલ હતા.
જે મિકલતમાં (1) તરુણકુમાર નિરૂભાઇ બારોટ (રહે- નવા રાવપુરા, નડિયાદ), (2) ટીકેન્દ્રકુમાર નિરૂભાઈ બારોટ (રહે- નવા રાવપુરા નડિયાદ) (3) કલ્પેશભાઈ નિરૂભાઈ બારોટ (રહે-નવા રાવપુરા, નડિયાદ) અને (4) જશુમતિબેન નિરૂભાઈ બારોટ (રહે-નવા રાવપુરા, નડિયાદ)નાઓ ભાગીરદાર તરીકે દર્શાવેલ હતા. આમ તેઓએ લોન માટેની અરજી ઔપચારિક રીતે રજૂ કરેલ હતી. જે રજૂઆત આધારે તેઓએ ૨જૂ કરેલ જામીનગીરી તરીકે ગીરવે મુકવામાં આવેલી મિલકત આધારે લોન નં.1ની પ્રક્રિયા કરતી વખતે બજાજ ફાઇનાન્સ કંપની દ્વારા રજુ કરેલ દસ્તાવેજો, મિલકતના કાગળો અને અરજદારો અને ગેરેન્ટરો દ્વારા રજૂ કરવામાં આવેલી રજૂઆતોના આધારે ફાઈનાન્સ કંપનીએ રૂપિયા 19 લાખ 39 હજાર 741ની લોન મંજુર કરવામા આવેલ હતી. જેના માસિક હપ્તા 28,962નો હતો જેમાંથી કુલ 18 હપ્તા ભર્યા હતા અને બાકી પડતી રકમ 17 લાખ 82 હજાર 707 બાકી પડતી હતી.
આ ઉપરાંત આ તરૂણ બારોટે આ ફાઈનાન્સ કંપનીમાંથી બીજી લોન પણ પડાવી હતી. જેમાં તેણે આ બજાજ ફાયનાન્સ કંપનીના એજન્ટ તરીકે કામ કરતા સંજીવ.ડી.બ્રહ્મણેને સંપર્ક કરેલ હતો. જેમા લોન નં.2 લેવા માટે વ્યવસાયના પુરાવા તરીકે આત્મીય પેટ્રોલપંપ નડિયાદના કાગળો રજુ કરેલ હતા જેમા ભાગીદાર તરીકે હર્ષલ ટીકેન્દ્ર બારોટ (રહે-નડિયાદ) તેમજ સહભાગીદાર રૂચિત કૃષ્ણકાંત દેસાઈ (રહે-નડિયાદ)ના નામ દર્શાવેલ હતા તથા ગીરવે મુકેલ મિલકત નં.2 આર.એસ. નં. 181/2, સીએસ નં. 1263, ટી.પી.એસ. નં. 4, એફપી નં. 42/2/2, ફ્લેટ નં.1 પાંચમો માળ, જશોદા એપાર્ટમેન્ટ. કોલેજ રોડ, વાણીયાવાડ સર્કલ, નડિયાદ (રહેણાંક)ના કાગળો રજુ કરેલ હતા. જે મિલકતમા પણ તરુણકુમાર બારોટ, ટીકેન્દ્રકુમાર બારોટ, કલ્પેશભાઇ બારોટ અને જશુમતિબેન બારોટ ભાગીદારી તરીકે દર્શાવેલ હતા.
આ લોન માટેની અરજી ઔપચારિક રીતે રજૂ કરેલ હતી. જે રજૂઆત આધારે તેઓએ રજૂ કરેલ જામીનગીરી તરીકે ગીરવે મુકવામાં આવેલી મિલકત આધારે લોન નં.2ની પ્રક્રિયા બજાજ ફાઇનાન્સ કંપની દ્વારા કરાઈ હતી. જેમાં રજુ કરેલ દસ્તાવેજો, મિલકતના કાગળો અને અરજદારો અને ગેરેન્ટરો દ્વારા રજૂ કરવામાં આવેલી રજૂઆતોના આધા રે લોન મંજુર કરવામાં આવેલ હતી. અને મિલકત નંબર 2ના આધારે 33 લાખ 74 હજાર 094 લોન લીધી હતી. જેનો માસિક હપ્તો 50,379 હતો અને કુલ 16 હપ્તા ભરેલા હતા જેની 31 લાખ 33 હજાર 957 રૂપિયા બાકી નીકળે છે. આમ આ બંને લોનના કુલ રૂપિયા 49 લાખ 16,664 બાકી પડે છે.
ઉપરોક્ત બન્ને લોનના માસિક હપ્તા લોન લેનાર અરજદાર નિયમિત ભરતા ન હતા. જોકે થોડા સમય બાદ ધિરાણ લેનારાઓએ તેમની લીધેલી લોનની માસિક ચુકવણીની જવાબદારીઓમાં ડિફોલ્ટ થવાનું શરૂ કર્યું હતું. જેથી આ ફાઈનાન્સ કંપનીના કલેક્શન મેનેજરએ કંપનીને જાણ કરેલ હતી. જેથી આ કંપનીએ કંપનીના ઓથોરાઇઝ વકીલ મારફતે અનેક રજૂઆતો અને નોટિસો આપી હતી. આમ છતાં કોઈ ચૂકવણી કરી નહોતી. જેના કારણે કંપનીના કાયદા અનુસાર વસુલાતની કાર્યવાહી શરૂ કરી હતી.
આ ફાઈનાન્સ કંપનીના રીજનલ મેનેજર તરીકે કામ કરતા મનિષ ગાયકવાડએ ઉપરોકત બન્ને લોનો બાબતે તપાસ કરવાનું કંપનીના આર.સી.યુ. મેનેજર નિમેષ ચૌહાણને જણાવતા તપાસ કરવામાં આવી હતી. જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. લોન નં. 1મા (1) તરુણકુમાર નિરૂભાઈ બારોટ રહે- નવા રાવપુરા,નડિયાદ (2) ટીકેન્દ્રકુમાર નિરૂભાઈ બારોટ રહે- નવા રાવપુરા, નડિયાદ (3) કલ્પેશભાઈ નિરૂભાઇ બારોટ રહે-નવા રાવપુરા, નડિયાદ અને (4) જશુમતિબેન નિરૂભાઇ બારોટ રહે-નવા રાવપુરા, નડિયાદ એ એવી વ્યક્તિઓ હતી.
જેમણે આ દસ્તાવેજો રજૂ કરવા સાથે વ્યક્તિગત રીતે કાર્યવાહી કરી હતી.અને ભેગા મળી હર્ષલ ટીકેન્દ્ર બારોટ (રહે-નડીયાદ આનંદ પાર્ક સોસાયટી, નાના કુંભનાથ રોડ, નડિયાદ)નાઓના નામની અરજી કરી ખોટી સહિઓ કરી -કરાવડાવી આત્મીય પેટ્રોલપંપના વ્યવસાયના બનાવટી કાગળો રજુ કરી અસલ તરીકે ઉપયોગ કરી બજાજ ફાયનાન્સ કંપની સાથે ગુનાહિત કાવતરુ ઘડી કંપની સાથે વિશ્વાસધાત તથા છેતરિપંડી કરેલ છે. તેમજ હકિકતમા આત્મીય પેટ્રોલપંપના ભાગીદાર રૂચિત કૃષ્ણકાંત દેસાઈ તથા સ્નેહલબેન ધર્મેશભાઇ પટેલ રહે. કલોલ, ગાંધીનગરનાઓના નામે ચાલે છે. તેમજ હર્ષલ ટીકેન્દ્ર બારોટનાઓ આ લોનની કાર્યવાહી થઈ તે દરમ્યાન ભારતમા ન હતા. તેમ ફાઈનાન્સ અધિકારીની તપાસમાં જાણવા મળ્યું હતું.
આ સાથે લોન નંબર 2માં પણ આ (1) તરુણકુમાર નિરૂભાઇ બારોટ રહે- નવા રાવપુરા, નડિયાદ તથા (2) ટીકેન્દ્રકુમાર નિરુભાઈ બારોટ રહે- નવા રાવપુરા, નડિયાદ જે એ એવી વ્યક્તિઓ હતી જેમણે આ દસ્તાવેજો રજૂ કરવા સાથે વ્યક્તિગત રીતે કાર્યવાહી કરી હતી અને ભેગા મળી હર્ષલ ટીકેન્દ્ર બારોટ (રહે-નડિયાદ આનંદ પાર્ક સોસાયટી, નાના કુંભનાથ રોડ,નડિયાદ)નાઓના નામની અરજી કરી ખોટી સહિઓ કરી – કરાવડાવી આત્મીય પેટ્રોલપંપના વ્યવસાયના રજુ કરેલ બનાવટી કાગળો તેમજ ગીરવે મુકેલ મિલકતો (રહેણાંક)ના બનાવટી કાગળો રજુ કરી અસલ તરીકે ઉપયોગ કરી બજાજ ફાયનાન્સ કંપની સાથે ગુનાહિત કાવતરુ ઘડી કંપની સાથે વિશ્વાસપાત તથા છેતરપિંડી કરેલ છે. તેમજ હકિકતમાં મિલકત નંબર 2 વર્ષ 2007મા ગીતાબેન ભુપેન્દ્રકુમાર રાવ રહે- મણીભુવન નવા રાવપુરા, નડિયાદને વેચાણ કરેલ છે તેમજ હાલમા પણ તેઓના નામે ચાલે છે. તેમજ હર્ષલ ટીકેન્દ્ર બારોટનાઓ આ લોનની કાર્યવાહી થઈ તે દરમ્યાન ભારતમા ન હતા તેવુ તપાસમાં બહાર આવ્યું હતું.
આ ઉપરાંત આ ફાઈનાન્સ કંપનીના એજન્ટ (ડાયરેક્ટ સેલ્સ એજન્સી) તરીકે કામ કરતા સંજીવ.ડી. બ્રહ્મણે (રહે.વડોદરા) અરજદાર પાસેથી ઉપરોકત લોનના કાગળો મેળવી બજાજ ફાઇનાન્સ કંપનીમા બ્રાન્ચ સેલ્સ મેનેજર તરીકે કામ કરતા શંકરલાલ ગોપાલભાઈ કુમાવત (રહે.વડોદરા)ને આગળની કાર્યવાહી માટે આપેલ હતા.જે લોનના કાગળો ઉપર શંકરલાલ ગોપાલભાઇ કુમાવતએ બજાજ ફાઈનાન્સની લોન અપાવવાની પ્રક્રિયા કરેલ હતી. આ લોનની અરજીના કાગળો તેઓએ બજાજ ફાઇનાન્સમા કામ કરતા ક્રેડીટ મેનેજર સન્ની નિલેશભાઇ ધોબી (રહે. બી/201, પ્રાઈમ હિલ, કોલેજ રોડ, કિશન સમોસાનો ખાચો નડિયાદ)નાઓને આગળની કાર્યવાહી માટે સોપેલ હતા.
જે તમામ કાગળો અને પુરાવા સાચા છે કે બનાવટી છે તે તપાસ કરવાની જવાબદારી ક્રેડીટ મેનેજર સન્ની નિલેશભાઈ ધોબીનાઓની હતી. તેમજ તેઓની કામગીરીમા આવે છે કે જે તે અરજદારે બજાજ ફાઈનાન્સમાં જે મિલક ત ગીરવે મુકવાની છે તેના ઘરે જઈ તપાસ કરવી અને જે અરજદાર જે વ્યવસાય કરતો હોય તેની ચકાસણી કરવાની હોય છે. આમ આ ફાઈનાન્સ કંપનીના આ ત્રણ કર્મચારીઓની પણ ગંભીર બેદરકારી અથવા તો મેળાપીપણાની શક્યતાના પગલે બજાજ કંપનીના આર.સી.યુ.મેનેજર નિમેષ ચૌહાણે નડિયાદ ટાઉન પોલીસ મથકે લોન લેનાર અરજદાર અને ગીરે મુકેલ મિલકતના ભાગીદારો તેમજ બજાજ ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓ મળી કુલ 7 સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.