નડિયાદમાં કરોડોની ચોરી! બિલોદરા કાંડના આરોપીના ઘરમાં તસ્કરો ઘૂસ્યા
નડિયાદમાં કપડવંજ રોડ પર આવેલી પ્રભુકૃપા સોસાયટીમાં ગઈકાલે રાત્રે મોટી ઘરફોડ ચોરીની ઘટના બની છે. બિલોદરા નશીલા સીરપકાંડમાં જેલવાસ ભોગવી રહેલા મુખ્ય આરોપીના ઘરમાંથી તસ્કરો 1 કરોડ 2 લાખ 64 હજાર 500ની મતા ચોરી કરી ફરાર થયા છે.
સુનીતાબેન યોગેશ સિંધી (42) તેમના બે સંતાનો સાથે રહે છે. તેમના પતિ યોગેશભાઈ છેલ્લા દોઢ વર્ષથી જેલમાં છે. સુનીતાબેન તેમના માસીના દીકરીના લગ્નમાં ગયા હતા. તેઓ મોડી રાત્રે ઘરે પરત ફર્યા ત્યારે મુખ્ય દરવાજાનું લોક તૂટેલું જોયું હતું. ઘરની તપાસ કરતા બેડરૂમનો સામાન વેરવિખેર હાલતમાં હતો. તિજોરી અને પેટી-પલંગમાંથી સોનાના દાગીના જેની કિંમત 22 લાખ 14 હજાર 500, ચાંદીના દાગીના જેની કિંમત 50 હજાર અને રોકડ રૂપિયા 80 લાખની ચોરી થઈ હતી. સુનીતાબેને આ રકમ તેમના પુત્રને ઓસ્ટ્રેલિયા મોકલવા અને પતિના કેસ માટે રાખી હતી.
આ સમગ્ર ચોરીની ઘટના ઘરમાં લાગેલા CCTVમાં કેદ થઈ ગઈ છે. પોલીસે તપાસ શરૂ કરી છે. સોસાયટીના ઉપરના માળે સુનીતાબેનના જેઠ રહે છે. તસ્કરોએ ઘર બંધ હોવાનો લાભ લઈ ચોરીને અંજામ આપ્યો હતો.
સુનીતાબેન યોગેશ ઉર્ફે યોગી સીંધીએ આટલી મોટી રકમ બાબતે ફરિયાદમાં સ્પષ્ટતા કરી છે કે, તેમના પુત્રને ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ વિઝા ઉપર જવાનું હોવાને કારણે ટુકડે ટુકડે બનેવી પાસેથી આ નાણાં લીધા હતા. તેમજ તેમના પતિ જે હાલમાં જેલમાં હોવાથી તેઓ પેરોલ પર આવેલા ત્યારે તેમના પતિએ કેસમાં ગમે ત્યારે રૂપિયાની જરૂર પડે તેવી શક્યતા હોવાથી નાણાં આપ્યા હતા. આ ઉપરાંત યોગેશ ઉર્ફે યોગી સીંધીની પોતાની હોટલ હોવાથી તેનું ભાડુ આવતુ હોવાથી તે નાણાંની બચત કરી આમ કુલ 80 લાખ રોકડ રકમ હોવાનું જણાવ્યું છે.
આ મામલે સુનીતાબેન યોગેશ ઉર્ફે યોગી સીંધીએ નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોટી રકમ હોય પોલીસે ગુનાનું પગેરુ મેળવવા તપાસ હાથ ધરી છે. જેમાં ઘરમાં લાગેલા સીસીટીવીના ફૂટેજ મેળવવામાં આવ્યા છે. જેમાં ત્રણ ઈસમો ચોરીનો મુદ્દામાલ સ્કૂલની બેગમાં લઈ જતા નજરે પડ્યા છે. આ બાબતે પોલીસે જુદીજુદી દિશામાં તપાસ તેજ કરી છે. બનાવના પગલે ઘટના સ્થળે FSL અધિકારીઓ, ફીગરપ્રિન્ટ નિષ્ણાત અને ડોગ સ્ક્વોડ દોડી આવી તસ્કરોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
આ બનાવ મામલે સુનીતાબેનના જેઠ ચંદ્રકાંતભાઈએ જણાવ્યું કે, અમે તમામ લોકો લગ્નમાં ગયા હતા. સીસીટીવીમાં આ ઘટના કેદ થઈ છે અને રાત્રે એક વાગ્યાની આસપાસ તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે. લગ્નમાંથી રાત્રે 3 વાગ્યે પરત આવ્યા ત્યારે ચોરી થઈ હોવાનું જાણ થઈ હતી. સમગ્ર મામલે પોલીસમાં જાણ કરી દીધી હતી.