તરસાલીના યુવાને પબજીમાં ૨ લાખ ગુમાવ્યા બાદ ઉમેટા બ્રિજ પરથી ઝંપલાવ્યું
આંકલાવ તાલુકાના ઉમેટા ગામની મહિસાગર નદીના બ્રિજ પરથી નદીમં ઝંપલાવીને આત્મહત્યાના બનાવોમાં સતત વધારો જોવા મળ્યો છે. ત્યારે આજે બપોરે વડોદરાના તરસાલી ખાતે રહેતો ૨૩ વર્ષીય યુવકે પબજી ગેમમાં ૨ લાખ રૂપિયા હારી જતા નદીના છલાંગ લગાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે નદીમાં માછીમારી કરી રહેલા માછીમારોએ યુવક બ્રિજ પરથી નદીમાં પડતાની સાથે જ તેને બહાર કાઢી ૧૦૮ મારફતે ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવતા જીવ બચી જવા પામ્યો છે. આ અંગે આંકલાવ પોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.
મળતી વિગતો અનુસાર વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતો ૨૩ વર્ષીય પ્રશાંત અનિલભાઈ સોલંકી પબજી ગેમની લતે ચઢી જવા પામ્યો હતો. સમય જતા ગેમમાં એ રીતે હાવી થઈ ગયો હતો કે ટુર્નામેન્ટમાં રૂપિયા નાખી પબજી રમવા લાગયો હતો. જેમાં સમય જતા ૨ લાખ રૂપિયા હારી જતા આખરે પોતાની બાઈક લઈ ઉમેટા બ્રિજ પર પહોચ્યો હતો અને બ્રિજ પર બાઈક પાર્ક કરી નદીમાં છલાંગ લગાવી દીધી હતી. જો કે નદીમાં માછીમારી કરી રહેલા માછીમારોએ સમયસૂચકતા વાપરી યુવકને પાણીમાંથી તૈયારીમાં શોધી બહાર કાઢ્યો હતો જ્યાં યુવકનો શ્વાસ ચાલતો હતો જેથી તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સનો સંંપર્ક કરતા આંકલાવ ૧૦૮ની ટીમ ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક સારવાર શરૂ કરી દીધી હતી અને યુવકને વધુ સારવાર અર્થ ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સમયસરની સારવાર મળી જતાં તેનો બચાવ થવા પામ્યો હતો.