જિલ્લા પુસ્તકાલય દૂર હોવાથી વાચનસંસ્કૃતિ ધીમી પડી રહી છે
બાળકો નાનપણથી જ વાચન પ્રિય બને, શિક્ષણની સાથોસાથ માર્ગદર્શકરૂપ બાળ સાહિત્ય વાંચતા થાય, કિશોરો-યુવાઓ માતૃભાષા સહિત હિન્દી, અંગ્રેજીમાં આવતા સામાયિકો વાંચીને નવી શોધ, વિશ્વ વિશે જાણકારી મેળવે તે માટે સરકાર દ્વારા તાલુકા-જિલ્લા પુસ્તકાલય ઉભા કરવામાં આવ્યા છે. જિલ્લા પુસ્તકાલયમાં ભૂલકાંઓથી માંડીને વયસ્કોનો વાચન શોખ સંતોષાય તે પ્રકારના વિવિધ વિષયોના પુસ્તકો, સાહિત્યનો સમાવેશ કરાતો હોય છે. પરંતુ મોબાઇલના વળગણના કારણે બાળકો પુસ્તકાલય તરફ પગલું ભરવાનું ચૂકી રહ્યા છે તો બીજી તરફ પુસ્તકાલય લોકોની વચ્ચે, શહેરની મધ્યમાં હોય તો જ સાર્થક ગણાય તે વાતને કદાચ સરકાર પણ વિસરી રહી છે. જેના ફળશ્રૃતિરુપે આણંદ સરકારી જિલ્લા પુસ્તકાલયમાં માંડ ૮ હજાર સભ્યો નોંધાયેલાની વાસ્તવિકતા જોવા મળી રહી છે.
આણંદ શહેરમાં અગાઉ ગોપાલ ચોકડીથી લ-મી ચોકડીની વચ્ચે, એક બિલ્ડીંગમાં પ્રથમ માળે સરકારી જિલ્લા પુસ્તકાલય કાર્યરત હતું. જેથી આસપાસના રહિશો સહિત શહેરના દૂરના વિસ્તારોમાંથી પણ વાચન રસિકો પુસ્તકાલયની અચૂક મુલાકાત લેતા.
ગમતા પુસ્તકો ત્યાં બેસીને વાંચતા, અખબાર કે સામાયિકો વાંચવામાં કલાકો પસાર કરતા વડીલો જોવા મળતા. આ ઉપરાંત બાળ સાહિત્ય પણ ઉપલબ્ધ હોવાના કારણે શાળામાં રજાના સમયે કે પોતાની અનુકૂળતાનુસાર બાળ વાચકોની પણ અવરજવર રહેતી હતી. જો કે આ પુસ્તકાલયને વિશાળ જગ્યામાં લઇ જવા માટે, સરકારી જમીનમાં નવીનત્તમ પુસ્તકાલય ઉભું કરવાની તે સમયે વાચકોની માંગ થવા પામી હતી.
દરમ્યાન સ્થાનિક તંત્ર દ્વારા શહેરમાં જ પુસ્તકાલયને અનુરુપ સરકારી જમીન ફાળવવાના બદલે શહેરથી અંદાજે ૬ કિ.મી. દૂર બાકરોલમાં બળિયાદેવ મંદિરથી આગળ જમીન ફાળવીને નવું સરકારી જિલ્લા પુસ્કાલકાલય ઉભું કરાયું હતું. જેનું ગત તા.રપ જુલાઇ,ર૦૧૭ના રોજ તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉદ્દઘાટન કર્યુ હતું. જો કે તે સમયે પણ શહેરથી દૂર પુસ્તકાલય બનવાના કારણે પુસ્તકો વાંચવા ઇચ્છતા બાળકો સહિત વડીલ વાચકોને અવરજવરમાં પરેશાની ઉભી થશેની ચિંતા વ્યકત કરવામાં આવી હતી. સાથોસાથ પુસ્તકાલયનો સાચા અર્થમાં ઉદ્દેશ્ય પરિપૂર્ણ નહીં થાય તેવી રજૂઆતોને અવગણીને બોલ્યા બાદ બોલ્યા…ઉકિતની જેમ બની ગયું એટલે બની ગયુંની સ્થિતિ જોવા મળી હતી. નોંધનીય છે કે, બાકરોલ ગેટથી છેક પુસ્તકાલય સુધીના માર્ગ પર એકપણ સરકારી જાહેર પુસ્તકાલયના રસ્તાનો નિર્દેશ કરતું બોર્ડ હજી સુધી મૂકાયું નથી.
જેના કારણે પહેલીવાર જિલ્લા પુસ્તકાલયમાં જવા ઇચ્છતા વાચકોને પરેશાની ભોગવવી પડે છે. જયારે ચોમાસામાં આ માર્ગ પર વરસાદી પાણી ભરાઇ રહેતા હોવાથી દિવસો સુધી અવરજવર ન થઇ શકવાની સમસ્યા સ્થાનિકોની સાથોસાથ પુસ્તકાલયના વાચકોને પણ ભોગવવી પડે છે. બાકરોલ સ્થિત જિલ્લા કક્ષાના પુસ્તકાલયમાં ૩પ હજારથી વધુ ગુજરાતી, હિન્દી, અંગ્રેજીમાં પુસ્તકો ઉપલબ્ધ છે. જેમાં બાળ સાહિત્ય, રેફરન્સ બુક, નવલકથાઓ, ધાર્મિક કથાઓ સહિત જાણીતા લેખકોના પુસ્તકો, અભ્યાસગ્રંથો ઉપલબ્ધ છે. જુદા જુદા ૧૬ અખબારો અને ૪૦થી વધુ જુદા જુદા સામાયિકો અહીં ઉપલબ્ધ હોય છે. પુસ્તકાલયમાં ૮ હજાર સભ્યો નોંધાયેલા છે. જેમાંથી દરરોજ સરેરાશ ૧૫૦ વધુ વાચક સભ્યો તેમને ગમતા પુસ્તકો નોંધાવીને લઇ જાય છે. બે માળના પુસ્તકાલયમાં ભોયતળિયે સ્ત્રી અને પુરુષ વાચકો માટેની અલગ અલગ બેઠક વ્યવસ્થા છે. પરંતુ વાચકોમાં મોટાભાગે પરીક્ષાલક્ષી તૈયારી કરતા વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓની વધુ સંખ્યા જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લા પુસ્તકાલયની આસપાસમાં આણંદ, વિદ્યાનગર અને કરમસદ શહેર આવેલા છે. આ ત્રણેયની કુલ મળીને અંદાજે ૩ લાખ ઉપરાંતની વસ્તી છે. જેની સરખામણીએ જિલ્લા પુસ્તકાલયમાં નોંધાયેલ સભ્ય સંખ્યા ઘણી અલ્પ ગણી શકાય. જો કે ત્રણેય શહેરોમાં જુદી જુદી ત્રણથી ચાર લાયબ્રેરીઓ આવેલી છે. છતાંયે સમગ્રતયા દૃષ્ટિએ જોવામાં આવે તો પુસ્તકો વાંચવાનો શોખ ધરાવનારની સંખ્યા ઘટી રહી છે. તેમાંયે સરકાર જયારે જિલ્લા કક્ષાનું પુસ્તકાલય તૈયાર કરતી હોય ત્યારે તે શહેરીજનો માટે સાનુકૂળ બની રહે તે માટેના પ્રયાસો હાથ ધરવા જોઇએ. આ બાબત આણંદ જિલ્લા કક્ષાના પુસ્તકાલય માટે અમલી ન બની હોવાનું ચિત્ર બન્યું છે.
સ્થળાંતરના ૬ વર્ષ બાદ સ્માર્ટ લાયબ્રેરી બની
આણંદમાંથી જિલ્લા સરકારી પુસ્તકાલયને બાકરોલમાં લાવ્યા બાદ કાર્યશૈલી સહિતની કોઇ કામગીરીમાં બદલાવ કરવામાં આવ્યો ન હતો. આશરે છ વર્ષ બાદ સરકારી યોજના હેઠળ આ પુસ્તકાલયને સ્માર્ટ લાયબ્રેરી બનાવવા પ્રયાસ કરાયો હતો. જેમાં પુસ્તકો માટેના નવા રેન્ક, ફર્નિચર સહિતની સુવિધાઓ વધારવામાં આવી હતી. આ ઉપરાંત અહીં આવતા વાચકો, સભ્યોને ફ્રી વાઇફાઇ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પુસ્તકાલયમાં વાંચન માટે વ્યકિતદીઠ જુદી જુદી વ્યવસ્થા છે. જેથી અંદરોઅંદર વાતચીત ન થઇ શકવા સહિતની બાબતો અન્ય વાચકને ખલેલ પહોંચાડતી નથી.
પુસ્તકાલય વિદ્યાર્થીઓની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના સ્થળમાં ફેરવાયું ! : સોમથી શનિવાર સુધી સવારે ૮થી રાત્રે ૧ર કલાક સુધી વાંચન માટે ખુલ્લું રહેતું પુસ્તકાલય વિદ્યાર્થીઓ માટે સુવિધાજનક સ્થળ
કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભણવાની સાથોસાથ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ આપતા હોય છે. જેની તૈયારી માટે પુસ્તકો, રેફરન્સ બુક, ઇન્ટરનેટ, બેસવાની સારી વ્યવસ્થા સહિતની સવલત સરકારી જિલ્લા પુસ્તકાલયમાં ઉપલબ્ધ હોવાથી વધુ ભીડ જોવા મળે છે. પુસ્તકાલયમાં પ વર્ષ માટેની સભ્ય ફી રૂ. ર૦૦ છે. જેમાં જરુરી ડોકયુમેન્ટ રજૂ કર્યથી સભ્ય કાર્ડ અપાય છે. જેના દ્વારા વાચક ૧૪ દિવસ માટે પુસ્તક ઘરે લઇ જઇ શકે છે. જો કે પુસ્તક પરત જમા કરાવવામાં વિલંબ થાય તો દિવસના રૂ. ૧ દંડ પેટે વસૂલ કરવામાં આવે છે. પુસ્તકાલયમાં વિવિધ પરીક્ષાઓની તૈયારી માટે આવતા, ખાસ કરીને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાને લઇને સોમથી શનિવાર સુધી સવારે ૮થી રાત્રે ૧ર કલાક સુધી અને રવિવારે સવારે ૮થી બપોરે ૧૧-૪પ સુધી વાંચન માટે પુસ્તકાલય ખુલ્લું રાખવામાં આવે છે. મોડી રાત્રિ સુધી ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ વાચન માટે અહીં આવી રહ્યાનું જોવા મળે છે. છેલ્લા આઠ વર્ષમાં અહીં વાચન કરીને અનેક વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ રહ્યાનું પુસ્તકાલયના કર્મચારીઓએ જણાવ્યુ ંહતું.
માઇન્ડ ડેવલપમેન્ટ ગેમ સાથેનો કીડસ રૂમ આકર્ષણરુપ
પુસ્તકાલયના ઉપરના માળે બાળકોમાં માઇન્ડ ડેવલપમેન્ટ ક્ષમતા વિકસે તે માટેની જુદી જુદી રમતો સાથેનો કીડસ રૂમ તૈયાર કરાયો છે. રુમની દિવાલો પર બાળકોને ગમે તેવા પોસ્ટર, ચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે. સાથોસાથ મોટા બાળકો માટે જુદા જુદા વિષયોમાં બાળ સાહિત્યના પુસ્તકો પણ અહીં મૂકવામાં આવ્યા છે. સાથોસાથ નાના બાળકો જાતે ગોઠવી શકે તેવી પુંઠા, લાકડાની રમતો, માઇન્ડ ડેવલપમેન્ટ પ્રોજેકટ પણ ઉપલબ્ધ છે.
ઇ-સુવિધાઓથી સભર સર્ફિગ ઝોન અને કોન્ફરન્સ રૂમ
પુસ્તકાલયમાં ઇ-બુકસની ફેસીલીટી માટે અલાયદો સર્ફિગ ઝોન બનાવવામાં આવ્યો છે. જયાં બે કમ્પ્યુટર ઉપલબ્ધ છે. પુસ્તકાલય દ્વારા આશરે ૪૦૦ પુસ્તકો ઇ-બુકસમાં કન્વર્ટ કરાયા છે. જેથી વાચક કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી પોતાને જોઇતી રેફરન્સ બુક ઓનલાઇન જોઇ, વાંચી શકે છે. આ ઉપરાંત ટોપીકને લગતા વિડીયો પણ જોઇ શકાય તેવી વ્યવસ્થા સર્ફીગ ઝોનમાં કરાઇ છે. અહીંથી નજીકમાં મોટા સ્ક્રીન સાથેનો કોન્ફરન્સ રૂમ પણ છે. જયાં સ્પર્ધાત્મક પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને વિષય તજજ્ઞો દ્વારા ઓનલાઇન અથવા પુસ્તકાલયમાં રુબરુ આવીને ઓફલાઇન કલાસ લેવામાં આવતા હોય છે.