બોરસદ શહેરમાં દબાણો સામે પાલિકાની કડક કાર્યવાહી
બોરસદ શહેરના વિવિધ વિસ્તારોમાં પુન: ખડકાયેલા દબાણોના કારણે ટ્રાફિક જામ સહિતની સમસ્યા પરેશાનીરૂપ બની છે. દબાણકર્તાઓ દ્વારા સરકારી જમીન ઉપરાંત મુખ્ય માર્ગો પર પણ દબાણો ખડકી દેતા રસ્તા સાંકડા બન્યા હતા. પરિણામે સામાન્ય અવરજવર મુશ્કેલ બની હતી. શહેરમાં છાશવારે ટ્રાફિક જામની ઉઠતી રજૂઆતોના નિરાકરણ માટે પાલિકા દ્વારા ર૦૦થી વધુ દબાણકર્તાઓને થોડા સમય અગાઉ દબાણો ખસેડી લેવા નોટિસ આપવામાં આવી હતી.
જેમાં શહેરના ફતેહપુર, માજરા તળાવ આસપાસનો વિસ્તાર, વન તળાવ, ભોભાફળી સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. દરમયાન આજે પાલિકાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે નોટિસ આપેલ દબાણોના વિસ્તારોમાં ત્રાટકી હતી અને કામગીરી હાથ ધરી હતી. જો કે પોલીસ સહિતની ટીમોને જોતા કેટલાક દબાણકારોએ સ્વેચ્છાએ દબાણો હટાવવાનું શરુ કરી દીધું હતું.
જો કે હટાવાયેલા દબાણો પુન: ખડકવામાં ન આવે તે સહિતની બાબતે પાલિકા તંત્ર દ્વારા દબાણકર્તાઓને તાકિદ કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ દબાણ હટાવ અભિયાન ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું.
ઝાકલી તળાવમાં પણ દબાણો સામે કાર્યવાહી હાથ ધરાશે : ચીફ ઓફિસર
પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યુ ંહતું કે, વન તળાવ અને માજરા તળાવના લગભગ ૪૦ ટકા ભાગમાં દબાણો ખડકાયેલા રહેતા હોવાથી ચોમાસામાં પાણીનો નિકાલ સરળતાથી થતો નથી. આથી આ બંને તળાવોના ગેરકાયદે દબાણો હટાવવાને પ્રાથમિકતા આપવામાં આવી છે. વધુમાં ઝાકલી તળાવના દબાણકર્તાઓને પણ નોટિસ આપવામાં આવી છે. જેથી દબાણ હટાવ કામગીરીના ભાગરુપે ઝાકલી તળાવ વિસ્તારમાં પણ પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાની ટીમનું આયોજન કરાયું છે.