તળાવ બચાવ અભિયાન: બોરસદમાં દબાણો હટાવવાનું ઓપરેશન શરૂ
બોરસદમાં ગત ચોમાસામાં વરસાદી પાણી ભરાઇ જવાના કારણે વન તળાવ, માજરા તળાવ સહિત સોસાયટી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ, રાહત સામગ્રી પહોંચાડવા અને પાણીના નિકાલ માટે તંત્રને ભાર ેજહેમત ઉઠાવવી પડી હતી. જેને ધ્યાને લઇને આ વર્ષ બંને તળાવોમાં પાણીનો નિકાલ યોગ્ય રીતે થઇ શકે તે માટે પાલિકા દ્વારા રોડની ઉપર તળાવની ધારે કરાયેલા આશરે ર૦૯ જેટલા દબાણકારોને નોટિસ પાઠવી હતી અને બે દિવસમાં દબાણો હટાવવા અલ્ટીમેટમ આપ્યું હતું. જેમાં પાલિકા દ્વારા પોલીસ સ્ટેશનથી પાંચવાડા સુધીના રપથી વધુ દબાણો હટાવાયા છે અને આવતીકાલે માજરા તળાવ વિસ્તારના દબાણો હટાવવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.
જાણવા મળ્યાનુસાર વન તળાવ અને માજરા તળાવની અંદર દબાણકર્તાઓ દ્વારા કાચા, પાકા મકાનો બનાવી દેવાયા છે. ઉલ્લેખનીય છે કે, બોરસદમાં સોમનાથ સોસાયટીથી ભોભા ફળી, ટાઉનહોલ, આણંદ ચોકડીથી બસ સ્ટેન્ડ રોડ, વાસદ ચોકડી, જનતા બજાર, મહાદેવ રોડ, વન તળાવ,માજરા તળાવ વિસ્તારમાં ગેરકાયદે નાના,મોટા દબાણોના કારણે ટ્રાફિક જામ સહિતની સમસ્યા સર્જાઇ રહી હતી. ઉપરાંત ચોમાસામાં ભારે વરસાદમાં દબાણોના કારણે પાણી અવરોધાવાથી સમસ્યા ઉદ્દભવવાનું ધ્યાને રાખીને પાલિકા દ્વારા ર૦૯ દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી. જો કે અગાઉ પણ આ દબાણકારોને નોટિસ આપવા છતાંયે સમસ્યા યથાવત રહેતા અંતે આખરી નોટિસ પાઠવીને પાલિકા તંત્ર મેદાનમાં ઉતર્યુ છે.
દબાણોના કારણે વરસાદી પાણીનો નિકાલ ન થવાથી વિસ્તાર ડૂબાણમાં જતા તંત્રને દોડધામ કરવી પડે છે : ચીફ ઓફિસર
વરસાદી પાણીના ભરાવા માટે તળાવો મુખ્ય સ્ત્રોત છે. પરંતુ બોરસદના વન તળાવ અને માજરા તળાવમાં થયેલા કાચા-પાકા દબાણોના કારણે ચોમાસામાં વરસાદી પાણીની અવરજવર અવરોધાતા આ વિસ્તાર ડૂબાણમાં જવાની સંભાવના હોવાનું જણાવતા ચીફ ઓફિસરે કહયું હતું કે, ડૂબાણ વિસ્તારમાં રાહત સામગ્રી અને બચાવ કામગીરી માટે તંત્રને દોડધામ કરવી પડે છે. ઉપરાંત તળાવમાં ગેરકાયદે બનાવેલા મકાનોને વરસાદી પાણીના કારણે નુકસાન જતા રાહત કામગીરી અંતર્ગત તેને તંત્ર દ્વારા નુકસાની પણ ચૂકવવી પડે છે. જેથી ચોમાસામાં પરેશાનીભરી સ્થિતિ ન સર્જાય તે માટે પાલિકા દ્વારા દબાણ મુકત વિસ્તારોનું આયોજન કરવામાં આવ્યાનું જણાવ્યું હતું.