અમૂલ ડેરીની ચૂંટણી: પ્રાથમિક મતદાર યાદી રજિસ્ટ્રારને સોંપાઈ
અમુલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીને લઈને આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાના સહકારી ક્ષેત્રે જબરજસ્ત હલચલ ચાલી રહી છે ત્યારે અમુલ દ્વારા તૈયાર કરાયેેલી પ્રાથમિક મતદાર યાદીને પુર્તતા માટે જીલ્લા રજીસ્ટ્રારે પરત કરી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. અમુલ ડેરી દ્વારા પુર્તતા બાદ પુન: જીલ્લા રજીસ્ટ્રારને યાદી મોકલી આપવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર અમુલના નિયામક મંડળની મુદ્દત આગામી ઓગષ્ટ માસમાં પુર્ણ થાય છે. તે પહેલા ચૂંટણી યોજવાની કવાયતના ભાગરૂપે ગત ૨૬મી એપ્રીલ સુધી આણંદ, ખેડા અને મહિસાગર જીલ્લાની ૧૨૫૮ દુધ મંડળીઓ પાસે મતદાર અંગેના ઠરાવો મંગાવ્યા હતા. જેમાં ૧૨૩૬ જેટલા ઠરાવો આવ્યા હતા. જે પૈકી કેટલાક બે કે તેથી વધુ હોય તેમજ આવેલા ઠરાવોની દુધ મંડળીઓની નિયમિતતા સહિત તમામ ચકાસણી કરીને એક પ્રાથમિક યાદી તૈયાર કરીને જીલ્લા રજીસ્ટ્રારને મોકલી આપવામાં આવી હતી. જો કે જીલ્લા રજીસ્ટ્રાર દ્વારા તેમાં કેટલીક ભુલો હોય, તેની પુર્તતા કરવા માટે યાદીને પુન: અમુલ ડેરીને મોકલી આપવામાં આવી હતી. આગામી એકાદ-બે દિવસની અંદર અમુલ દ્વારા યાદીની પુર્તતા કર્યા બાદ પુન: જીલ્લા રજીસ્ટ્રારને મોકલી આપવામાં આવશે. ત્યાંથી યાદીને જીલ્લા કલેક્ટર પાસે મોકલી આપવામાં આવશે. તેઓ દ્વારા પ્રાન્ત અધિકારીને નિયુક્ત કરીને પ્રાથમિક મતદાર યાદી પ્રસિધ્ધ કરાવી જો કોઈ વાંધા-સુચનો હોય તો નક્કી કરેલી સમયમર્યાદામાં રજુ કરીને તેની સુનાવણી યોજવામાં આવશે. આ સુનાવણી પુર્ણ થયા બાદ આખરી મતદાર યાદીની સાથે સાથે જ ચૂંટણીઓ યોજવાનું સત્તાવાર જાહેરનામુ પણ બહાર પડી જશે તેમ મનાઈ રહ્યું છે. હવે માત્ર બે મહિનાનો સમયગાળો બાકી રહ્યો હોય, તંત્ર દ્વારા તે પહેલા ચૂંટણીઓ કરાવી લેવામાં આવશે તેમ મનાઈ રહ્યું છે.
અમુલના નિયામક મંડળમાં ૧૨ મંડળી સભાસદો અને એક વ્યક્તિગત સભાસદની બેઠક છે. આણંદ જિલ્લામાં આણંદ, બોરસદ, પેટલાદ અને ખંભાત એમ ચાર બેઠકો છે.ખેડા જીલ્લામાં નડીઆદ, માતર, મહેમદાવાદ, ઠાસરા, કઠલાલ અને કપડવંજ એમ છ તેમજ મહિસાગર જિલ્લામાં બાલાસિનોર અને વીરપુર બેઠકોનો સમાવેશ છાય છે. ઠાસરા અને પેટલાદ બેઠકો મહિલા માટે અનામત ફાળવવામાં આવી છે.