આણંદમાં બજારમાં પુસ્તકોનો તંગીભરો માહોલ: ખાનગી શાળાના વાલીઓની દોડધામ
આગામી ૯ જૂન,ર૦રપની નવા શૈક્ષણિક સત્રની શરુઆત થનાર હોવાથી બજારોમાં પુસ્તકો, સ્ટેશનરી, સ્કુલ ડ્રેસ સહિતની ખરીદારીની ભીડભાડ જોવા મળી રહી છે. અગાઉ શાળાઓમાં વેકેશન પડતા જ નવા પુસ્તકો બજારમાં આવી જતા હતા. મતલબ કે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને શાળામાંથી જ પુસ્તકો આપવામાં આવતા હોય છે. પરંતુ ખાનગી શાળાના વિદ્યાર્થીઓને બજારમાંથી ખરીદવા પડે છે. જેમાં આ વર્ષ ખાનગી શાળાઓ માટે મોટાભાગના પુસ્તકો હજી સુધી બજારમાં ન મળતા હોવાની બાબતે વિદ્યાર્થીઓની સાથોસાથ વાલીઓ પણ મૂંઝવણમાં મૂકાયા છે.
આણંદ શહેરમાં બુક સ્ટોરના વેપારીના જણાવ્યાનુસાર સામાન્ય રીતે બજારમાં ઉપલબ્ધ થતા પુસ્તકો મે મહિનામાં પણ મળતા નથી. ધો.૧થી ૯માં ગુજરાતી માધ્યમના કુલ પ૧ વિષયોમાંથી ૭૦ ટકા વિષયોના જ પુસ્તકો ઉપલબ્ધ છે. જયારે અંગ્રેજી માધ્યમમાં ૪૦ વિષયોમાંથી ર૦ વિષયના જ પુસ્તકો ઉપલબ્ધ છે. જેમાં ગુજરાતી માધ્યમમાં ધો.૬ અને ૮ના સંસ્કૃત, ધો.૭ના અંગ્રેજી તેમજ અંગ્રેજી માધ્યમમાં ધો.૪ના ગણિત, અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી, ધો.૬માં વિજ્ઞાન, સામાજીક વિજ્ઞાનના પુસ્તકોની અછત છે. આ પુસ્તકો ખાનગી વિક્રેતાઓને કયારે ઉપલબ્ધ કરાવવામાં આવશે તે અંગે તેઓ પણ હાલ કશું કહેવા તૈયાર નથી.
પુસ્તકોની શોર્ટેજના કારણે વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ બુક સ્ટોર પર આંટાફેરા કરવા મજબૂર બનવાની સાથે મૂંઝવણમાં મૂકાયા છે. શાળા ખૂલતા પહેલા પૂરતા પુસ્તકો મળી રહેશે કે કેમ તેની દ્ઘિધાભરી સ્થિતિ જોવા મળી રહી છે.
પાઠયપુસ્તકોમાં ફેરફારનો નિર્ણય લેવાયો પણ સમયસર ઉપલબ્ધ મામલે વિલંબ
ગુજરાત રાજય શાળા પાઠયપુસ્તક મંડળ દ્વારા શૈક્ષણિક વર્ષ ર૦રપ-ર૬થી પાઠયપુસ્તકોમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો હતો. જેમાં ધો.૧,૬થી ૮ અને ૧રના પુસ્તકો નવા તૈયાર કરાયા છે. ધો.૧માં ગુજરાતી, ધો.૬માં અંગ્રેજી, ધો.૮માં ગુજરાતી વિષયના પુસ્તકો બદલવામાં આવ્યા છે. જો કે પાઠયપુસ્તકોમાં ફેરફાર કરાયા બાદ તેનું પ્રિન્ટીંગ સહિતની ઝડપી કામગીરી નિપટાવીને સમયસર ખાનગી વિક્રેતાઓ સુધી પહોંચાડવાની સીસ્ટમમાં વિલંબ સર્જાયાનું જોવા મળે છે.
ચોકકસ દુકાનેથી પુસ્તકો,સ્કૂલબેગ ખરીદવા દબાણ કરનાર શાળાઓ સામે કાર્યવાહી
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા જણાવાયું હતું કે, તમામ શાળાઓએ માન્યતા પ્રાપ્ત પાઠયપુસ્તકો અને અભ્યાસક્રમ મુજબ અનુસરવાનું રહે છે. જેની રાજયકક્ષાએથી મંજૂરી ન મળી હોય તેવું કોઇપણ સાહિત્ય શાળાઓમાં ઉપયોગમાં લઇ શકાશે નહી. આ ઉપરાંત શાળા દ્વારા ચોકકસ દુકાનેથી જ પુસ્તકો, નોટબુક, સ્કૂલ બેગ, સ્ટેશનરી ખરીદવા માટે દબાણ ન કરવા અને સ્કૂલોમાંથી પણ આ પ્રકારે સ્ટેશનરીનું વેચાણ ન કરવા તાકિદ કરવામાં આવી છે. જેનો ભંગ કરનાર શાળાઓ સામે કાર્યવાહી થઇ શકે છે.
જિલ્લાની તમામ સરકારી શાળાઓના તમામ પુસ્તકો શિક્ષણ કચેરીને ઉપલબ્ધ કરાયા : રાજય પાઠય પુસ્તક મંડળ દ્વારા ખાનગી વિક્રેતાઓને વેચાણ માટે પુસ્તકો મોકલવાની સીસ્ટમ હોય છે : જિ.પ્રા.શિક્ષણાધિકારી
આણંદ જિલ્લામાં કાર્યરત તમામ સરકારી શાળાઓના ધોરણવાઇઝ વિદ્યાર્થીઓની નોંધાવેલ સંખ્યા મુજબના પાઠયપુસ્તકો કચેરીએ આવી પહોંચ્યાનું જિલ્લા શિક્ષણ વિભાગે જણાવ્યુ ંહતું. જો કે ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓને બજારમાંથી પૂરતા પુસ્તકો ન મળી રહ્યા મામલે પૃચ્છા કરતા જિ.પ્રા.શિક્ષણાધિકારીએ જણાવ્યુ ંહતું કે, રાજય પાઠય પુસ્તક મંડળ દ્વારા ખાનગી બુક સ્ટોરોને વેચાણ માટે પુસ્તકો મોકલવાની સીસ્ટમ હોય છે. જેમાં જિલ્લા શિક્ષણ વિભાગની કોઇ ભૂમિકા હોતી નથી.