સફાઇ કામદારોની હડતાલ: નડિયાદ શહેરમાં કચરાની સમસ્યા, ઘર્ષણની ઘટના
નડિયાદ મનપામાં ફરજ બજાવતા રોજમદાર સફાઇ કામદારો ચારેક દિવસથી સફાઇ કામગીરીથી અળગા રહેવાના કારણે શહેરમાં કચરાના ઢગ ખડકાયા છે. જેને હટાવવામાટે આજે મનપા તંત્ર દ્વારા કોન્ટ્રાકટ એજન્સીના સફાઇ કામદારો દ્વારા કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં પારસ સર્કલ નજીક સવારના સમયે એજન્સીના સફાઇ કામદારો કામ કરતા હતા ત્યાં મનપાના રોજમદાર સફાઇ કામદારો પહોંચી જતા ઘર્ષણ સર્જાયું હતું. સાથોસાથ મનપાના સેનેટરી વિભાગના અધિકારી સાથે પણ તૂ તૂ મૈં મૈંની સ્થિતિ સર્જાતા મામલો ગરમાયો હતો. વધુ હોબાળો મચે તે અગાઉ દોડી આવેલ પોલીસે મામલો થાળે પાડયો હતો.
જાણવા મળ્યાનુસાર નડિયાદ મનપામાં છેલ્લા દસ વર્ષથી કરાર આધારિત ફરજ બજાવતા ૧૮૦ જેટલા રોજમદાર સફાઇ કામદારોને શહેરમાં સાફસફાઇ માટે અમદાવાદની એજન્સીને આપેલ કોન્ટ્રાકટમાં તબદીલ કરવાની મનપા દ્વારા હિલચાલ શરુ કરાઇ હતી. આ બાબત રોજમદાર સફાઇ કામદારોના ધ્યાને આવતા કામનો વિરોધ શરુ કર્યો હતો. બીજી તરફ વિરોધને દબાવવા માટે મનપા દ્વારા છેલ્લા ચારેક દિવસથી રોજમદાર સફાઇ કામદારોને કામ પર ચઢાવવામાં આવતા ન હોવાનું કહેવાય છે. આ સ્થિતિના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં ચાર દિવસના કચરા, ગંદકીના ઢગ ખડકાતા ફરિયાદનો સૂર ઉઠયો હતો.
શહેરમાં કચરાનો મામલો વધુ ચગડોળે ચડે તે અગાઉ મનપા દ્વારા આજે શહેરમાં કોન્ટ્રાકટ એજન્સીના કામદારો થકી સફાઇ કામગીરી આરંભી હતી. શહેરમાં ઠેર ઠેર ખડકાયેલ કચરાના ઢગ હટાવવાની શરુઆત સાથે જ પ્રથમ ગ્રાસે મિક્ષકા જેવો ઘાટ સર્જાયો હતો. જેમાં સવારના સમયે પારસ સર્કલ નજીક કોન્ટ્રાકટ એજન્સીના સફાઇ કામદારો કચરાના ઢગ હટાવતા હતા ત્યાં મનપાના રોજમદાર સફાઇ કામદારોએ પહોંચી જઇને એજન્સીના કામદારોને અટકાવતા બંને પક્ષો વચ્ચે ઘર્ષણ અને તૂ તૂ મેં મેંની સ્થિતિ સર્જાઇ હતી. આ અંગે જાણ થતા જ મનપા સેનેટરી વિભાગના અધિકારી સ્થળ પર દોડી જઇને રોજમદાર સફાઇ કામદારોને સમજાવવાના પ્રયાસ કર્યા હતા. પરંતુ તેઓ સાથે પણ રોજમદાર કર્મચારીઓએ બોલાચાલી કરતા મામલો ગરમાયો હતો. આ બનાવ શહેરમાં વાયરલ થવાની સાથે પોલીસે સ્થળ પર દોડી જઇને મામલો થાળે પાડયો હતો. દરમ્યાન એજન્સીના સફાઇ કામદારો સફાઇ કામ બંધ કરીને ત્યાંથી રવાના થઇ ગયા હતા. જો કે બપોર બાદ મનપા તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે એજન્સીના ૪૦થી વધુ સફાઇ કર્મચારીઓ સાથે શહેરમાં સફાઇ કામગીરી હાથ ધરી હતી. વધુમાં એક-બે દિવસમાં શહેરમાં ખડકાયેલ તમામ કચરાના ઢગહટાવીને બાદમાં રોજેરોજ સફાઇ કામગીરી કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.