બોરસદ પાલિકાના ભવનના વિવાદને અંત: હાઇકોર્ટના સ્ટે બાદ કામ ફરી શરૂ
બોરસદ નગરપાલિકાને આશરે ૭૮ વર્ષ અગાઉ પ્રસુતિ ગૃહ બનાવવા માટે દાતા દ્વારા જમીન ફાળવવામાં આવી હતી. પાલિકાના હાલના ભવનથી આશરે પ૦૦ મીટર દૂર આવેલ આ સ્થળ નજીક પાલિકા દ્વારા આઠ માસ અગાઉ નવા પાલિકા ભવનનું બાંધકામ શરુ કરાયું હતું. જોકે બાંધકામ શરુ થયા બાદ ૭૮ વર્ષ જૂના જમીન માલિકો દ્વારા પાલિકાએ શરતભંગ કર્યા અંગેનો કોર્ટ કેસ કર્યો હતો અને પાલિકા દ્વારા નવા ભવનની થઇ રહેલ બાંધકામની કામગીરી સામે સ્ટે મેળવ્યો હતો. પરંતુ હવે કોર્ટ દ્વારા સ્ટે ઉઠાવી લેવાયો છે. જેના પગલે આઠ માસથી અટકી પડેલી પાલિકાના નવા ભવનની કામગીરી પૂરજોશમાં ચાલુ કરવામાં આવ્યાનું જાણવા મળે છે.
મળતી વિગતો મુજબ બોરસદ પાલિકાના નવા ભવનના નિર્માણ માટે નાણાંપંચની ગ્રાન્ટમાંથી કામગીરી શરુ કરવામાં આવી હતી. હાલનું પાલિકાનું ભવન આશરે ૮૦ વર્ષ જૂનું છે. જેમાં અનેક વિભાગોની દિવાલો જર્જરિત બનવા સહિતની સમસ્યા પણ ઉભી થઇ છે. જેથી રાજય સરકાર દ્વારા બોરસદ પાલિકાના નવા મકાનને સરકારી દવાખાનામાં આવેલ કોલ્ડ સ્ટોરેજની પાછળની જગ્યામાં બનાવવાની મંજૂરી સાથે ગ્રાન્ટ ફાળવી હતી.
ગત માર્ચ ર૦ર૪માં આશરે ૩.૬૪ કરોડના ખર્ચ અત્યાધુનિક સગવડો સાથેના પાલિકા ભવનની કામગીરીનો આરંભ કરાયો હતો. દરમ્યાન રપ માર્ચ,ર૦ર૪ના રોજ વર્ષો અગાઉ પાલિકાને જમીન દાન આપનાર માલિકો દ્વારા કોર્ટ કેસ કરીને સ્ટે મેળવ્યો હતો. જેથી આઠ માસથી કામગીરી અટકી પડી હતી. દરમ્યાન તાજેતરમાં કોર્ટ દ્વારા સ્ટે ઉઠાવી લેવાતા હવે પુન: કામગીરીનો ધમધમાટ શરુ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષો અગાઉ દાતા દ્વારા પાલિકાને અપાયેલ જમીનમાં સરકારી દવાખાનું બનાવવામાં આવ્યુ ંહતું. પરંતુ ત્યારબાદના વર્ષોમાં નવું સરકારી દવાખાનું બનતા આ જગ્યા પરનું દવાખાનું છેલ્લા ૧પ વર્ષથી બંધ હતું અને જગ્યા ખંડેર સ્થિતિમાં ફેરવાઇ ગઇ હતી. તેની પર આધુનિક સવલતો સાથેનું પાલિકા ભવન તૈયાર કરવામાં આવી રહ્યું છે.
કોર્ટ દ્વારા સ્ટે ઉઠાવાતા દિવાળી સુધીમાં ભવન તૈયાર કરાશે : ચીફ ઓફિસર
બોરસદ પાલિકાના ચીફ ઓફિસર વિરાજ શાહે જણાવ્યુ ંહતું કે, નવા પાલિકા ભવનના સ્થળે ચાલતું સરકારી દવાખાનું છેલ્લા ૧પ વર્ષથી બંધ છે. આરોગ્ય સહિતના વિભાગો હવે સરકાર દ્વારા જાતે મેનેજ કરવામાં આવે છે. આથી પાલિકાના દવાખાનાની ખંડેર જગ્યા પર નવા ભવનની કામગીરી ચાલતી હતી. પરંતુ અંદાજે ૭૮ વર્ષ અગાઉ આ જગ્યા પાલિકાને આપનાર દાતાની ચોથી કે પાંચમી પેઢીના વ્યકિતઓ દ્વારા કોર્ટમાં કેસ કરાતા સ્ટે મળ્યો હતો. જો કે તેની સામે પાલિકા દ્વારા છેલ્લા ૧પ વર્ષથી પ્રસુતિ ગૃહ બંધ, કેસ કરનાર ઓથોરાઇઝ વ્યકિત ન હોવા સહિતની બાબતો રજૂ કરવામાં આવી હતી. હવે કોર્ટે સ્ટે ઉઠાવી લેતા દિવાળી સુધીમાં પાલિકાનું નવું ભવન તૈયાર થઇ જશેનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.