વિદ્યાનગરમાં પવન સાથે પડેલા વૃક્ષે 12 કલાક વીજ વ્યવસ્થા ખોરવી
આણંદ વિદ્યાનગરમાં સામાન્ય વરસાદ પડતાની સાથે મોટાબજારમાં મનમંદિર વિસ્તારમાં વૃક્ષો ધરાશાય થઇ ગયા હતા. ત્યારે પ્રિ મોનસુન અંતર્ગત હાથ ધરવામાં આવતી કામગીરી માત્ર ચોપડે બતાવી દેવામાં આવતી હોવાની પોલ ખુલ્લી પડી ગઇ છે. કારણ કે વૃક્ષો ધરાશાય થતાં વીજ વાયર તુટી પડયાં હોવાથી 12 કલાક સુધી સમગ્ર વિસ્તારમાં વીજ ડુલ થતાં પીવાના પાણી માટે રહીશોએ રઝપાટ કરવાનો વખત આવ્યો હતો. બીજી તરફ વૃક્ષો દૂર કર્યા બાદ વીજ સપ્લાયા શરૂ કરવામાં આવશે તેમ જવાબ આપીને વીજ તંત્રએ છટકબારી શોધી કાઢી હતી. આમ વીજ તંત્રના પાપે મોટાબજાર વિસ્તારના 3 હજારથી વધુ વીજધારકોને સામાન્ય વરસાદમાં હાલાકીઓનો ભોગ બન્યા હોવાનું જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ જિલ્લા કલેક્ટરે પ્રિ મોનસુન અંતર્ગત વીજ તંત્રને નડતર રૂપી વૃક્ષો દૂર કરવા અને ટ્રાન્સફર્મર બદલા સહિતની કામગીરી હાથ ધરવા મીટીંગમાં આદેશ કર્યો હતો. ત્યારે વીજતંત્રના સત્તાધિશો કલેક્ટરના આદેશને ધોળીને પી ગયા હોય તેમ છેલ્લા એક સપ્તાહથી આણંદ વિદ્યાનગરમાં 7 કલાક થી વધુ બંધ રહેવાના બનાવો વધી ગયા છે.
સોમવારે રાત્રિના 12 કલાકે વિદ્યાનગર સહિત અન્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વીજતંત્ર દ્વારા સામાન્ય દિવસોમાં મરામતની કામગીરી હાથ ધરવા વીજ કાપ મુકવામાં આવે છે. ત્યારે સામાન્ય વરસાદ પડતાં જ મોટાબજાર મનમંદિર ,ગર્લ્સ હોસ્ટેલ પાસે રાત્રિના 12.30 કલાકે વૃક્ષ ધરાશાય થયું હતું. આ સમયે વીજવાયર તુટી ગયો હતો.જેથી 12 કલાક સુધી વીજ પુરવઠો ખોરવાતા 3 હજાર રહીશો હાલાકીનો ભોગ બન્યા હતા.
વાયર તૂટતાં અકસ્માત ના બને તે માટે લાઇટો બંધ રાખી
વિદ્યાનગર મોટાબજાર વિસ્તારમાં વૃક્ષ ધરાશાય થતાં વીજ વાયર તુટી ગયા હતા. જો કે અક્સ્માત બનાવ બંને નહીં તે માટે સમગ્ર વિસ્તારમાં લાઇટો બંધ કરી દેવામાં આવી હતી. વૃક્ષ હટાવવાની કામગીરી પૂર્ણ થયા બાદ જ સમગ્ર વિસ્તારમાં લાઇટો શરૂ કરી દેવામાં આવી હતી. > કે.એસ. વણકર, નાયબ ઇજનેર એમજીવીસીએલ કચેરી વિદ્યાનગર
કચેરીમાં ફરિયાદ કરતા કહ્યું, વૃક્ષ હટાવ્યા બાદ લાઇટ આવશે.
આ અંગે વિદ્યાનગરના રહીશ લીલાબેન શાહે જણાવ્યું હતું કે, વીજતંત્ર દ્વારા સામાન્ય દિવસોમાં મરામતની કામગીરી હાથ ધરવા વીજ કાપ મુકવામાં આવે છે. ત્યારે સામાન્ય વરસાદ પડતાં જ મોટાબજાર મનમંદિર ,ગર્લ્સ હોસ્ટેલ પાસે રાત્રિના 12.30 કલાકે વૃક્ષ ધરાશાય થયું હતું. આ સમયે વીજવાયર તુટી ગયો હતો. રાત્રિના 1 કલાક સુધી લાઇટ નહીં આવતાં વીજ તંત્રને ફરિયાદ કરવામાં આવી હતી. આ સમયે વૃક્ષ હટાવ્યાં બાદ જ વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે તેવો ઉડાવ જવાબ આપ્યો હતો.
માત્ર વાયર બદલવામાં તંત્રને 12 કલાક લાગ્યા
સ્થાનિક રહીશ મુકેશ ભોઇએ જણાવ્યું હતું કે દર રવિવારે સમારકામના નામે કલાકો સુધી લાઇટો બંધ રાખવા છતાં યોગ્ય રીતે સમારકામ કરવામાં આવતું નથી.જેથી સામાન્ય પવનમાં વીજ ફોલ્ટ થતાં કલાકો સુધી લાઇટો બંધ રહે છે. જેના કારણે વૃદ્વો અને બાળકો હેરાન થાય છે. આ અંગે એમજીવીસીએલના કમ્પલેઇન નંબર સંપર્ક કરી તો કોઇ જવાબ આપતાં નથી.મોટાબજારમાં એક વૃક્ષ તુટી પડયા બાદ વીજ લાઇન તુટી ગઇ હતી. માત્ર વાયર બદલવામાં વીજ તંત્રએ 12 કલાક લાગતાં લોકોને હેરાન થવાનો વખત આવ્યો.