ભાજપ સામે જૂની કોંગ્રેસી મંડળી મેદાનમાં, અમૂલ ચૂંટણીમાં ઊભી રાજકીય દોટ
અમૂલ ડેરી ચૂંટણીને લઇ સહકારી ક્ષેત્રનું રાજકારણ ગરમાયું છે. વર્ષોથી અમૂલમાં કોંગ્રેસનું એક હથ્થુ શાસન હતું.જો કે છેલ્લી ટર્મમાં ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી હતી. જો કે ભાજપથી દાઝેલા અને મૂળ કોંગ્રેસના સહકારી આગેવાન અને દૂધ મંડળીઓ પર વર્ચસ્વ ધરાવતા ભાઠા વિસ્તારના આગેવાન વચ્ચે બંધ બારણે બેઠકો યોજાતા ભાજપને ફાળ પડી છે.
ભાજપમાં અમૂલના ડિરેકટર બનવા નેતાઓની લાઇન લાગી છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ હોદેદારોની ધરી રચાતા ભાજપ હવે વોટ ખેંચી લાવે તેવા ઉમેદવારોની શોધમાં લાગ્યુ છે. ખેડા જિલ્લામાં દૂધ મંડળીના મત વધુ હોવાથી કોંગ્રેસ ત્યાં જ ગાબડુ પાડવા પ્રયાસ કરી રહ્યું છે.
આ વખતે અમૂલમાં ખામ નીતિ અપનાવીને કોંગ્રેસે સત્તા પરત મેળવવા અંદરખાને ખેલ શરૂ કરી દીધા છે. તો બીજી બાજુ ભાજપમાં વર્તમાન ચેરમેન વિપુલ પટેલ અને પૂર્વ ચેરમેન રામસિંહ પરમારનું ગૃપ સક્રિય છે. ભાજપમાં જોડાયા બાદ રામસિંહ પરમાર ગત ટર્મમાં સાઇડ લાઇન કરાયા હતા, તે નારાજગી આ વખતે અમૂલ ચૂંટણીમાં જોવા મળે તેવી સંભાવના છે. તો બીજી બાજુ ભાજપના વર્ષોથી અમૂલમાં ચૂંટાતા એક ડિરેકટર પોતાને ચેરમેન પદ મળે તે માટે બેઠકો યોજી રહ્યાં છે.
15 હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવતી અમૂલની આગામી ઓગષ્ટમાં ચૂંટણી લઇને રાજકીય નેતાઓ કબજો જામવા માટે અવનવા દાવપેચ શરૂ કર્યો છે. આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લા 1257 દૂધ મંડળીઓ પૈકી 1236 મંડળી પોતાના મતદારો નામ મોકલ્યા છે. ત્યારે તેને જ્ઞાતિ આધારે વિભાજીત કરીને ખામ નીતિ અપનાવીને કોંગ્રેસ પુન: સત્તા મેળવવાની કવાયત હાથ ધરી છે. કોંગ્રેસના નેતાએ તેઓના જૂના સાથીઓ સાથે હાથ મિલાવીને પુન: સત્તા મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ચરોતરમાં સૌથી વધુ દૂધ મંડળીઓ ખેડા જિલ્લાની છે. તેઓના મત વધુ છે. તેમાંય ઠાસરા, કપડવંજ અને કઠલાલ વર્ચસ્વ છે. ત્યારે ભાજપનું એક ગૃપ ઠાસરા, કપડવંજ, કઠલાલ અને મહિસાગર જિલ્લાની દૂધ મંડળીના મતદારોને ખેંચવા માટે કામે લાગ્યું છે. તો બીજી ગૃપ આણંદ, પેટલાદ, ખંભાત , તારાપુર, સોજિત્રા , નડિયાદ, વસો અને મહેમદાવાદ તાલુકાની દૂધ મંડળીના મતદારોને પોતાની તરફેણમાં ખેંચવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જ્યારે કોંગ્રેસ નેતાઓ આ બંને ગૃપની હિલચાલ પર સતત નજર રાખી રહ્યાં છે.
ભાજપમાં અંદરો અંદર બદનામ કરીને પાડવાનો કારસો ભાજપના હાલમાં ચેરમેન સહિત ડિરેકટરો વિરૂધ્ધ માતરના પૂર્વ ધારાસભ્યે લગાવેલા ભ્રષ્ટાચારના આક્ષેપ સહારો લઇને બદનામ કરીને તેમનું પતુ કાપવાના પ્રયાસ થઇ રહ્યાં છે. તો બીજી બાજુ કોંગ્રેસમાંથી આવેલા કેટલાંક ડિરેકટરો બાવાના બેઉ બગડે તેવા હાલ થવાની સંભાવના વર્તાઇ રહી છે તેથી તેઓ પણ અંદરખાને નારાજ હોવાથી ફરી જૂની પાર્ટીના સાથીદારો તરફ નજર કરી રહ્યા છે.
ભાજપની વિમુખ થયેલા આગેવાનો સાથે બેઠક યોજી સમાધાન ફોર્મ્યુલા અમૂલ ડેરી સાથે જોડાયેલા 1257 મંડળીમાંથી 1236 મંડળી ઠરાવ મોકલ્યા છે. જેમાં હાલમાં મોટાભાગની મંડળીઓ પર ભાજપનું વર્ચસ્વ છે. જેથી ભાજપમાંથી ઉમેદવારી નોંધાવવા માટે દરેક બેઠક પર હોડ લાગી છે. જ્યારે કોંગ્રેસનું પણ મંડળીઓ વર્ચસ્વ છે. ત્યારે જો જૂના કોંગ્રેસી ભેગા થાય તો ભાજપની મુશ્કેલી વધી શકે તેમ છે. જેથી કોંગ્રેસના આગેવાનો સાથે સંપર્કમાં રહેતા ભાજપના જ પણ વિચારધારથી વિખુમ થયેલા સહકારી આગેવાનો સાથે વર્તમાન હોદેદારોએ બેઠક થોજી ભરતી અંગે થયેલા વિવાદને ઉકેલવા સમાધાનની ફોર્મ્યુલા તૈયારી કરી હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. જેથી ભાજપ ઇચ્છે છે એ રીતે ચૂંટણીમાં ક્લિન સ્વિપ મળી શકે.