સફાઈ માટે દંડ, પણ હોસ્પિટલ પાસે ગંદકીનો ઢગલો! મનપાની બેદરકારી સ્પષ્ટ
આણંદ મનપા દ્વારા સ્વચ્છતા જાળવવા માટે અભિયાન હાથ ધરવા સહિત નગરજનોને અપીલ કરવામાં આવી રહી છે. જાહેરમાં ગંદકી, કચરો ફેલાવનારને દંડ કરવામાં આવી રહ્યો છે.
પરંતુ હાલ ઋતુજન્ય બિમારીઓના કારણે મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે પહોંચી રહ્યા છે તે આણંદ સિવિલ હોસ્પિટલમાં જ છ દિવસથી ઉભરાતી ગટર મામલે કોઇ કાર્યવાહી કરવામાં ન હોવાની બાબત મનપાના જવાબદાર વિભાગની બેદરકારી છતી કરી રહી છે. આણંદ સિવિલ હોસ્પિટલમાં પ્રવેશવાના દાદર સામેના રોડની કિનારીએ આવેલ ઉભરાતી ગટરના પાણી પાર્કિગ સ્ટેન્ડ સુધી પહોંચી રહ્યા છે. ઉપરાંત દુર્ગધના કારણે અહીં આવતા દર્દીઓ સહિત સ્ટાફને પરેશાની થઇ રહી છે. હોસ્પિટલ દ્વારા આ અંગે મનપામાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
છતાંયે ગટર વિભાગ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આ અંગે વિભાગના જયેશભાઇ પટેલને પૂછતા તેઓએ કહયું હતું કે, અરજી આપી હોય તો મારા સુધી આવે અને નિરાકરણ માટે આયોજન કરાય. ત્યારે હાસ્યાસ્પદ વાત એ છે કે, મનપાના ગટર વિભાગમાં આવતી અરજીઓ બાબતે કોઇ સંકલન જ નથી. ખુદ સિવિલ હોસ્પિટલની ઉભરાતી ગટર મામલે અરજીની ખો ખોની રમત રમાતી હોય ત્યારે સામાન્ય નગરજનની ફરિયાદનો કયારે નિકાલ આવતો હશે તે બાબતે મનપાના સત્તાધીશોએ આયોજન કરવાની જરુર છે.