રણછોડરાયજીને વર્ષમાં એકવાર મળતો વિશેષ સ્નાન – સવા શેર કેસરથી વિધિ
ડાકોરમાં રણછોડરાયજીના દર્શનાર્થ આવતા ભાવિકજનોમાં પ્રભુને વર્ષમાં એક વાર સવા શેર કેસરથી કરાવતા જયેષ્ઠાસ્નાનના દર્શન અને જયેષ્ઠ પુનમે ડાકોર પહોંચવાની ઉત્કંઠા હોય છે. આથી જેઠ સુદ પુનમ, તા. ૧૧ જૂન,ર૦રપના રોજ લાખોની સંખ્યામાં ઉમટનાર ભાવિકજનોને ધ્યાને લઇને મંદિર પ્રશાસન દ્વારા દર્શનનો સમય જાહેર કરાયો છે. સવારે મંગળા આરતી બાદ પ્રભુને સવા શેર કેસરથી સ્નાન કરાવાશે. આ દિવસે રણછોડજી મંદિર દિવસ દરમ્યાન ૯ કલાક ખુલ્લું રહેશે.
પરંપરાનુસાર ઉનાળાની કાળઝાળ ગરમીમાં ભગવાન રણછોડરાયજીને ચંદનના વાઘા ધરાવવામાં આવે છે. જયારે જેઠ સુદ પુનમના રોજ પ્રભુને કેસર સ્નાન કરાવાય છે. આ દિવસે સવારે પ.૧પ કલાકે મંગળા આરતી થઇને ૮-૩૦ સુધી દર્શન ખુલ્લા રહેશે. મંગળા આરતી બાદ પ્રભુને પરંપરાનુસાર કેસર સ્નાન કરાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, કેસર સ્નાન અગાઉ તા. ૧૦મીની સાંજે ગોમતી તળાવમાંથી પાણી ભરીને મંદિરમાં મૂકવામાં આવશે. પ્રભુના સ્નાન માટે સવા શેર કેસરને ગોમતીના પાણીમાં ઘૂંટીને તૈયાર કરવામાં આવશે. આ અવર્ણનીય ક્ષણના દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિકજનો ઉમટે છે. સવારે ૮-૩૦થી ૯ કલાક સુધી પ્રભુ ત્રણે ભોગ આરોગવા બિરાજમાન થશે, દર્શન બંધ રહેશે. સવારે ૯થી ૧ર-૩૦ સુધી દર્શન સતત ખુલ્લા રહેશે. ૧ર-૩૦થી ૧ સુધી ઠાકોરજી રાજભોગ આરોગવા બિરાજશે, આ સમયે દર્શન બંધ રહેશે. બપોરે ૧થી ર-૩૦ કલાક સુધી સતત દર્શન ખુલ્લ રહેશે. ત્યારબાદ ભગવાન પોઢી જશે. સાંજે ૪ વાગ્યે ઉત્થાપન આરતીના દર્શન થઇ નિત્યક્રમનુસાર શયનભોગ, દૂધ ભાગ આરોગી શ્રી ઠાકોરજી મહારાજ પોઢી જશે.