કમોસમી વરસાદની આગાહી વચ્ચે ગરમ ઋતુમાં કાપણી માટે મજૂરોની તંગી ખેડૂત માટે ચિંતાનો વિષય
હવામાન વિભાગે આગામી દિવસોમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. બીજી તરફ ઉનાળુ બાજરી અને ડાંગરનો પાક તૈયાર થઈ ગયો છે. તૈયાર થઈ ગયેલો પાક કાપણી લણણી કરીને ઘરે લાવવા માટે મજૂરોની જરૂર પડે છે. પરંતુ ચરોતર પંથકમાં માથું ફાડી નાંખે તેવી ગરમીમાં ખેતીકામ કરવા માટે મજૂરો તૈયાર થતા ન હોય ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. કમોસમી વરસાદથી ખેતી પાકોને બચાવવા માટે મજૂરો મળતા ન હોય ખેડૂતો અપના હાથ જગન્નાથ કરીને ખેતીપાકોને કાપણી લણણી કરીને ઘેર લાવવામાં જોતરાઈ ગયા છે.
ચરોતર પંથકમાં ઉનાળુ બાજરી અને ડાંગરની વિપુલ પ્રમાણમાં ખેતી કરવામાં આવે છે. ઉનાળુ બાજરી અને ડાંગરનો પાક મે માસના અંતમાં અને જૂન માસના પ્રારંભમાં તૈયાર થઈ જાય છે. જો કે દર વર્ષ ચોમાસુ ૧૫ જૂન પછી શરૂ થતુંં હોય ખેડૂતો બાજરી અને ડાંગરની કાપણી લણણી કરીને સલામત રીતે ઘરે લાવે છે. પરંતુ આ વર્ષ મે માસમાં કમોસમી વરસાદ પડવાનું શરૂ થતાં તૈયાર થયેલ ખેતીપાકો બગડે તેવી સ્થિતિ ઉદ્ભવી છે. ઉનાળાની કાળઝાળ ગરમી માથે ચોમાસુ અને મજૂરોની અછતન ાકારણે ખેડૂતો પોતાના ખેતરમાં તૈયાર થયેલ ખેતીપાક ઘરે લાવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે.
માથું ફાટી જાય તેવી કાળઝાળ ગરમીમાં ખેતરમાં કામ કરવા માટે ચરોતરના સ્થાનિક મજૂરો તૈયાર થતા નથી. ૨૦૦ રૂપિયાનો રોજ આપવા છતાં મજૂરો મળવા મુશ્કેલ બન્યા છે. મજૂરોને રોકડ રકમ ઉપરાંત ચા, નાસ્તો, પડીકી અને લોટ અને શાકભાજીના પૈસા આપવા છતાં મજૂરો મળતા નથી. તેના કારણે મજૂરો શોધવા માટે ખેડૂતો દાહોદ અને મધ્યપ્રદેશના જાંબુવા અને અલીગઢ પંથકના મજૂરોની શોધમાં ચક્કરો લગાવી રહ્યા છે. જો કે ખેતીકામ સિઝન પૂરતું જ મળતું હોય, દાહોદ, જાંબુવા અને અલીગઢ પંથકમાં મજૂરો માટીકામ અને રોડ કામના આઠ માસના કામમાં જોતરાઈ જતા હોય ખેતીકામ માટે આદિવાસી મજૂરો મળવા મુશ્કેલ બને છે. જેને લઈને ખેડૂતોની પરેશાની વધી ગઈ છે.