તારાપુરમાં ૧ ઇંચ અને આંકલાવ-પેટલાદમાં અડધો ઇંચ કમોસમી વરસાદ
આણંદ જિલ્લામાં થોડા સમય અગાઉ ફૂંકાયેલા ભારે વાવાઝોડા અને માવઠાંના કારણે સામાન્ય જનજીવનને વ્યાપક અસર પહોંચી હતી. સાથોસાથ ખેતરોમાં ડાંગર, તમાકુ સહિતના ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું.
દરમ્યાન છેલ્લા બે દિવસથી વાદળછાયા માહોલ અને ઉકળાટની વચ્ચે ગત મધ્યરાત્રિએ ખાસ કરીને તારાપુર, પેટલાદ અને આંકલાવમાં ભારે પવન સાથે માવઠું ખાબકયુ હતું. એકાએક કમોસમી વરસાદના કારણે ખેતરમાં ઉભો પાક અને કાપીને મૂકેલા પાકની જાળવણીની ચિંતામાં ખેડૂતો રાતભર પરેશાનીભરી સ્થિતિમાં મૂકાયા હતા. તારાપુરમાં એક ઇંચ જેટલા માવઠાંના કારણે અનેક સ્થળોએ પાણી ભરાઇ ગયાની સ્થિતિ સર્જાઇ હતી. આ ઉપરાંત તારાપુર-ખંભાત રોડ પર આવેલ રાઇસ મીલ સહિત કેટલાક એકમોના શેડ ઉડી જવા સાથે મશીનરીને પણ નુકસાન પહોંચ્યાનું જાણવા મળે છે.
આંકલાવ અને પેટલાદમાં પણ અડધો ઇંચ માવઠું ખાબકવાની સાથોસાથ ભારે પવન ફૂંકાયો હતો. જેના કારણે બફારાના કારણે અગાસી કે ઘરની બહાર ઓસરીમાં સૂતેલાઓને અડધી રાત્રે સલામત સ્થળે જવાની ફરજ પડી હતી. આજે સવારથી આકાશમાં વાદળોની ઘેરાબંધી જોવા મળી હતી.પરંતુ બપોર સુધીમાં તાપમાનનો પારો ૩૮ ડિગ્રી પહોંચવાની સાથે કાળઝાળ ગરમીનો સૌએ અનુભવ કર્યો હતો. હવામાન વિભાગનુસાર આગામી ચારેક દિવસ સુધી જિલ્લામાં કેટલાક સ્થળોએ છુટોછવાયો કમોસમી વરસાદની સંભાવના છે.