પેટલાદમાં કોરોના પોઝિટિવ મળતાં આરોગ્ય તંત્ર હરકતમાં
આણંદ જિલ્લામાં આજે કોરોના પોઝિટિવનો એક કેસ પેટલાદ શહેરી વિસ્તારમાં નોંધાયો છે. જેના પગલે આણંદ, પેટલાદ સિવિલ હોસ્પિટલ સહિત તમામ પીએચસી, સીએચસી સહિતમાં રોગ નિયંત્રણ માટે સ્ટાફ, દવા સહિતનું આયોજન કરાયું છે.
પેટલાદમાં ખંભાત રોડ પરની સોસાયટીમાં રહેતા પુત્રના ઘરે રહેવા અમદાવાદથી ૬૬ વર્ષીય પિતા ગત ૧૬ મે,ર૦રપના રોજ આવ્યા હતા. દરમ્યાન ૧૮મીએ વૃદ્ઘને તાવ અને શરદીની તકલીફ થઇ હતી.
જેથી તા. ર૧મીએ સિવિલ હોસ્પિટલ, પેટલાદ ખાતે સારવાર માટે લઇ જવાયા હતા. જયાં તેઓનો દરડઈદ ટેસ્ટ કરતા પોઝિટિવ આવ્યો હતો. જેથી દર્દીને તેઓના ઘરે હોમ આઇસોલેશન હેઠળ રાખીને સારવાર આપવામાં આવી રહી છે. જાણવા મળ્યાનુસાર દર્દી અગાઉ ૮ મેના રોજ ચાંદખેડા અને ત્યારબાદ ૧૪ મેના રોજ સંબંધીને મૂકવા માટે અમદાવાદ એરપોર્ટ પર ગયા હતા. બીજી તરફ અર્બન હેલ્થ સેન્ટર, પેટલાદની ટીમો દ્વારા દર્દીના ઘરની આસપાસના વિસ્તારમાં સર્વ હાથ ધરાયો હતો. જેમાં કોઇ શંકાસ્પદ દર્દી મળી આવ્યા ન હતા. અગમચેતીના ભાગરુપે દર્દીના ઘરના તમામ ૯ સભ્યોના દરડઈદ ટેસ્ટ કરાતા તમામનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે કે, કોવિડ-૧૯ના લક્ષણો જેવા કે તાવ, ઉઘરસ, શ્વાસ લેવામાં તકલીફ, થાક, સ્નાયુઓમાં દુ:ખાવો, માથા કે ગળામાં દુ:ખાવો, ઝાડા-ઉલ્ટી સહિતના લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબી સલાહ લેવી. મોટી ભીડ અને ગીચ સ્થળોએ જવાનું ટાળવું.
આણંદ અને પેટલાદ સિવિલમાં ઓકિસજન, આઇસોલેશન વોર્ડ સહિતની તૈયારી
પેટલાદમાં કોરોના પોઝિટિવનો કેસ નોંધાયા બાદ આણંદ અને પેટલાદ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં સંભવિત રોગચાળા સામે દર્દીને સત્વરે સારવાર સહિતની તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં આણંદમાં ઇમરજન્સી વોર્ડ, બે બેડ સાથેનો આઇસોલેશન વોર્ડ, ટેસ્ટીંગ લેબ અને સેમ્પલ કલેકશન સેન્ટર કાર્યરત ઉપરાંત સેન્ટ્રલલાઇઝ ઓકિસજન પ્લાન્ટ ચાલુ કરાયો હોવાનું સિવિલ સર્જન ડો.પંડયાએ જણાવ્યું હતું. જયારે પેટલાદ સિવિલમાં ૧ર બેડ સાથેનો આઇસોલેશન વોર્ડ, ઓકિસજન પ્લાન્ટ, સેમ્પલ ટેસ્ટીંગ સહિતની તૈયારી પૂર્ણ કરાઇ છે. બંને સિવિલમાં જરુરી દવા સહિતનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવ્યો હોવાનું સિવિલ સર્જન ડો.કાપડીયાએ જણાવ્યું હતું.
કોવિડ-૧૯ અન્વયે લેવાની તકેદારી
રાજયમાં અમદાવાદ સહિતના સ્થળોએ સંભવિત કોરોનાના કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ગતરોજ નડિયાદમાં ૮ માસની બાળકી બાદ આજે પેટલાદમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેથી રોગ સામેની તકેદારીના ભાગરુપે જિલ્લાવાસીઓએ સતર્કતા દાખવવી જરુરી છે. જેમાં સાબુ-પાણીની નિયમિતપણે હાથ ધોવા, ગંભીર બિમારીવાળી વ્યકિતઓએ ભીડભાડવાળી જગ્યાએ ન જવું, હાથ ઘોયા વગર આંખ, નાક અને મ્હોંનો સ્પર્શ ન કરવો, ઉઘરસ કે છીંક ખાવા સમયે નાક,મ્હોં આગળ રૂમાલ રાખવો, જાહેરમાં ન થૂંકવુ, શરદી-ખાંસી સહિતની બિમારીવાળા લોકોએ બહાર જવા સમયે માસ્ક પહેરવો, સામાન્ય ફલુ જેવા લક્ષણો જણાય તો તબીબની સારવાર લઇને ઘરે જ આરામ કરવો.