સોલાર પ્લાન્ટ માટે જરૂરિયાત મુજબનો સામાન નહીં મળતાં કનેકશનમાં વિલંબ
ઉનાળામાં કાળઝાળ ગરમી સામે વપરાતા વીજ ઉપકરણોના તોતિંગ વીજ બીલથી આર્થિક રાહત માટે સોલાર પાવર પ્લાન્ટને સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આણંદ જિલ્લામાં પ્રધાનમંત્રી સૂર્ય ઘર : મફત વીજળી યોજના હેઠળ સોલાર પ્લાન્ટ માટે ઓનલાઇન અરજી કરનાર ગ્રાહકોને મહિનાઓ સુધી સોલાર કનેકશન ચાલુ થવાની રાહ જોવાની સ્થિતિ ઉદ્દભવી છે. સોલાર ગ્રાહકને ત્યાંથી પરત લેવાતી વીજળીના સંગ્રહ માટે નવા ટ્રાન્સફોર્મર ઉભા કરવામાં આવે છે. જેને લગાવવા માટે મજબૂત અંેંગલો, ચેનલની જરુર પડે છે. આણંદ જિલ્લા વીજ કંપનીના સોલાર વિભાગની ટીમને છેલ્લા ઘણા સમયથી એંગલો, ચેનલો સહિતના રો-મટીરીયલ સરકાર દ્વારા નિયુકત એજન્સી દ્વારા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવતું નથી.
એમજીવીસીએલના મતે દેશમાં સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં ગુજરાત પ્રથમ સ્થાને હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઘર માટે સોલાર રુફટોપ મેળવવાનું પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના દ્વારા સરળ બન્યા સહિતની બાબતો ગ્રાહકલક્ષી છે. પરંતુ અન્ય યોજનાઓની જેમ ખાટલે મોટી ખોડ આ યોજનામાં પણ જોવા મળી રહી છે કે, ગ્રાહકોને ત્યાં લગાવેલા સોલાર પ્લાન્ટ ચાલુ કરવા માટે જરુરી રો-મટીરીયલ સમયસર અને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય તેવું સરકાર તરફે આયોજન કરાયું નથી.
વીજ કંપનીઓને ટ્રાન્સફોર્મર સહિત સોલાર પ્લાન્ટ માટે જરુરી રો-મટીરીયલ પુરું પાડવા સરકાર દ્વારા એજન્સી નિયુકત કરવામાં આવી છે. પરંતુ એજન્સી તમામ જિલ્લાઓમાં સમયસર અને પૂરતો માલસામાન પહોંચાડે છે કે કેમ તેનું રાજયસ્તરેથી કોઇ મોનેટરીંગ કરવામાં આવતું નથી. પરિણામે હજારો ગ્રાહકો ઓનલાઇન સોલાર પ્લાન્ટનું બુકીંગ કરાવ્યા બાદ કનેકશન ચાલુ થવાની મહિનાઓ સુધી રાહ જોવાની પરેશાની અનુભવી રહ્યા છે. આણંદ જિલ્લા વીજ કંપનીના સૂર્ય ઘર યોજના સાથે કાર્યરત વિભાગના જણાવ્યાનુસાર આ યોજના માટે જિલ્લામાંથી દરરોજ પ૦ જેટલી ઓનલાઇન અરજી ગ્રાહકો દ્વારા કરવામાં આવે છે. જેની દસ્તાવેજો સહિતની ઓનલાઇન ચકાસણી કર્યા બાદ ૩૦ જેટલી અરજીઓ મંજૂર થાય છે. મંજૂર થયેલ અરજીઓના વિસ્તાર મુજબ ટ્રાન્સફોર્મર, લાઇન ખેંચવાની હોય તો તે મુજબ વાયરો સહિતની સાધનસામગ્રી પહોંચતી કરવામાં આવે છે. પરંતુ ટ્રાન્સફોર્મર લગાવવા માટેની એંગલો, વાયરો માટેની ચેનલોની અછતના કારણે અમે નિયત સમયમાં સોલાર ગ્રાહકના કનેકશનને ચાલુ કરી શકતા નથી. અત્યાર સુધીમાં અંદાજે રપ૦૦ જેટલા સોલાર ગ્રાહકોને કનેકશન ચાલુ ન થઇ શકવાનું મુખ્ય કારણ એંગલના અભાવે ટ્રાન્સર્ફોમર ફીટ કરવામાં આવ્યા ન હોવાનું જોવા મળે છે.
સોલાર રૂફટોપની ક્ષમતા મુજબ મળતી સબસીડી
કોઇપણ વીજ ગ્રાહક કોઇપણ ક્ષમતાની સોલાર સીસ્ટમ બેસાડી શકે છે. સરકાર દ્વારા માન્ય કરાયેલ એજન્સીઓમાંથી વીજ ગ્રાહકે કોઇપણ એકની પસંદગી કરવાની રહે છે. આ યોજનામાં રજીસ્ટ્ેશન માટે વીજ ગ્રાહક નંબર અને મોબાઇલ નંબર અપલોડ કરવાનો જરુરી છે. માન્ય એજન્સીની યાદી તાલુકા-જિલ્લા વીજ કંપની અને વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે.
સોલાર રૂફટોપ સબસીડી
સીસ્ટમ ક્ષમતા , ૧- ૩૦ હજાર ર- ૬૦ હજાર ૩- ૭૮ હજાર ૩થી વધુ- ૭૮ હજાર