‘યુદ્ધનું આહ્વાન’ કહી પાકિસ્તાને ભારતમાં વિમાની વ્યવહાર અને વેપાર પર લગાવી રોક
પહલગામ હૂમલા બાદ સર્જાયેલા તણાવ વચ્ચે પાકિસ્તાને પણ ભારત વિરૂદ્ઘ ઘણી મોટી જાહેરાતો કરી છે. જો કે, આમાંના મોટાભાગના નિર્ણયો ભારતની જાહેરાતો નકલ છે અને બદલો લેવાની કાર્યવાહી તરીકે લેવામાં આવ્યા છે. પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠકમાં પાકિસ્તાની એરસ્પેસના ઉપયોગ પર પ્રતિબંધ અને શિમલા કરાર તોડવાની સાથે ભારત સાથે વેપાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત પાકિસ્તાનના કુલભૂષણ જાધવનું નામ લઇને ભારતને ધમકી આપી છે. આ બેઠકમાં ભારત પર પાકિસ્તાનમાં આતંકવાદ ફેલાવવાનો અને આંતરરાષ્ટ્રીય કાયદાના સન્માન ન કરવાનો પણ આરોપ લગાવ્યો છે. પાકિસ્તાનને સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના ભારતના નિર્ણયને યુદ્ઘની ઘોષણા ગણાવી છે.
પાકિસ્તાન નેશનલ સિક્યુરિટી કમિટી (એનએસસી)એ ચેતવણી આપી છે કે પાકિસ્તાનની કાયદેસર માલિકીના પાણીના પ્રવાહને વાળવા માટે ભારતનું કોઇપણ પગલું યુદ્ઘનું કૃત્ય માનવામાં આવશે.એનએસસીએ સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના ભારતના એકપક્ષીય નિર્ણયને સ્પષ્ટપણે નકારી કાઢયો અને સમજૂતીને પ્રાદેશિક સ્થિરતા માટે મહત્વપૂર્ણ ગણાવી. તેણે ભારપૂર્વક જણાવ્યું કે પાણી એ એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય હિત છે અને ૨૪૦ મિલિયન પાકિસ્તાનીઓ માટે જીવન રેખા છે, તેના પાણીના અધિકારોને કોઇપણ કિંમતે સુરિક્ષત કરવા માટે પાકિસ્તાનની અટલ પ્રતિબદ્ઘતાને પુન:પુષ્ટિ કરે છે. એનએસસીએ કહ્યું-જો પાકિસ્તાનની માલિકીના પાણીના પ્રવાહને અવરોધિત કરવામાં આવે છે અથવા વાળવામાં આવે છે, તો તેને યુદ્ઘની ઘોષણા ગણવામાં આવશે.
પાકિસ્તાને ભારતના નિર્ણયના જવાબમાં ઇસ્લામાબાદમાં ભારતીય હાઇ કમિશનમાં રાજદ્વારી કર્મચારીઓની મહત્તમ સંખ્યા ૩૦ સુધી મર્યાદિત કરવાની જાહેરાત કરી છે. આ પહેલા ભારતે નવી દિલ્હીમાં પાકિસ્તાની હાઇ કમિશન ખાતેના મિલિટરી એટેસને દેશ છોડવા માટે અલ્ટીમેટમ પણ આપ્યું હતું અને રાજદ્વારીઓની સંખ્યા ઘટાડીને ૩૦ કરવાની જાહેરાત કરી હતી. વધુમાં, પાકિસ્તાને તાત્કાલિક અસરથી ભારતની માલિકીથી અથવા સંચાલિત તમામ ફલાઈટસ માટેતેની એરસ્પેસ બંધ કરી દીધી છે. હવે ભારતીય વિમાનો પાકિસ્તાની એરસ્પેસમાંથી મુસાફરી કરી શકશે નહી. અત્યાર સુધી ભારતની ઘણી આંતરરાષ્ટ્રીય ફલાઇટસ પાકિસ્તાની એરસ્પેસમાંથી ઓપરેટ થતી હતી. પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિએ ત્રીજા દેશો દ્વારા થતા વેપાર સહિત ભારત સાથેના તમામ વેપારને સ્થગિત કરવાનો નિર્ણય પણ લીધો. ભારત હાલમાં ત્રીજા દેશો મારફતે માલની ખરીદી કરે છે. ૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ નાબૂદ કરવામાં આવ્યા બાદથી બંને દેશો વચ્ચેનો વેપાર સ્થગિત છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનના આ નિર્ણયથી વધુ અસર નહીં થાય. આ ઉપરાંત પાકિસ્તાને વાઘા બોર્ડર ક્રોસિંગને તાત્કાલિક બંધ કરવાની જાહેરાત કરી હતી. પાકિસ્તાને કહ્યું કે તે હવે આ બોર્ડર પોસ્ટ દ્વારા ભારત સાથે કોઇ સંબંધ જાળવી શકશે નહી.જો કે,ભારતે પહેલેથી વાઘા નજીક તેની અટારી બોર્ડર ક્રોસિંગ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. એનએસસીએ કસમ ખાધી કે પાકિસ્તાન ભારતની પ્રતિકૂળ કાર્યવાહીનો સંપૂર્ણ રાષ્ટ્રીય શક્તિ સાથે જવાબ આપશે, જાહેર કર્યુ કે રાષ્ટ્ર અને તેની સશસ્ત્ર દળો કોઇપણ પ્રકારના આક્રમણનો સામાનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. પાકિસ્તાને ભારત પર તેના દેશમાં આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. તેણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે ભારત સામૂહિક હત્યાના તેના નિર્દોષ વર્તન અને કાશ્મીર પર આંતરરાષ્ટ્રીય કાયદા અને યુએનના ઠરાવોનું પાલન ન કરવાથી બચી રહ્યું નથી. પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિએ ભારતને તેના પકડાયેલા રો કમાન્ડર કુલભૂષણ જાધવ વિશે યાદ અપાવ્યું છે કે તે કસ્ટડીમાં છે અને ‘ભારતની રાજય પ્રાયોજિત આતંકવાદી પ્રવૃત્તિઓનો જીવંત પુરાવો છે.’