સિંધુ પાણી અટકાવ્યું તો યુદ્ધની તૈયારી રાખો: પાકિસ્તાની ત્રાસદાયક ચેતવણી
પહેલગામ આતંકી હૂમલા બાદ ભારત દ્વારા લેવામાં આવેલા કડક પગલાના જવાબમાં પાકિસ્તાનના મંત્રી હનીફ અબ્બાસીએ ખૂબ જ આક્રમક અને ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે. તેણે ભારતને પરમાણુ હૂમલાની ધમકી આપી છે. અબ્બાસીએ ખુલ્લેઆમ ચેતવણી આપી કે પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રાગાર અને ગૌરી, શાહીન અને ગજનવી જેવી મિસાઇલો ભારત સામે તૈયાર રાખવામાં આવી છે.
હનીફ અબ્બાસીએ કહ્યું, જો ભારત અમારો પાણી પુરવઠો બંધ કરે છે,તો તેણે સંપૂર્ણ સ્તરે યુદ્ઘ માટે તૈયાર રહેવું જોઇએ. અમારી પાસે જે મિસાઇલો અને સૈન્ય સાધનો છે તે માત્ર પ્રદર્શન માટે નથી. કોઇને ખબર નથી કે અમે અમારા પરમાણુ હથિયારો દેશના ખૂણા- ખૂણામાં છુપાવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાનના ૧૩૦ પરમાણુ હથિયારો માત્ર ભારતને નિશાન બનાવવા માટે તૈનાત છે.
ભારતે ૧૯૬૦ની સિંધુ જળ સંધિને સ્થગિત કરીને, પાકિસ્તાનીઓના તમામ વિઝા રદ કરીને અને વેપાર સંબંધો તોડીને બદલો લીધો હતો. તેના જવાબમાં અબ્બાસીએ ભારતને તેના નિર્ણયોના ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો અમે ભારતીય એરક્રાફટ માટે અમારી એરસ્પેસ વધુ થોડા દિવસો માટે બંધ રાખીશું તો ભારતીય એરલાઇન્સ નાદાર થઇ જશે. અબ્બાસીએ ભારત પર પહેલગામ આતંકી હૂમલાની જવાબદારી ટાળવાનો અને તેની નિષ્ફળતા માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે પાકિસ્તાન ભારત દ્વારા ઉઠાવવામાં આવેલા આર્થિક પ્રતિબંધોનો સામનો કરવા તૈયાર છે.