પાકિસ્તાને વાઘા બોર્ડરના દરવાજા બંધ કરતા તેના જ નાગરિકો અધવચ્ચે ફસાયા
પાકિસ્તાને નફ્ફટાઇની હદ વટાવતાં પોતાના નાગરિકોને સરહદ પર અધવચ્ચે અટકાવી દીધા છે. પાકિસ્તાને આજે વાઘા બોર્ડરના દરવાજા બંધ જ રાખતાં પાકિસ્તાની નાગરિકો અધવચ્ચે જ અટવાઇ ગયા છે.
ભારતે પાકિસ્તાન વિરૂદ્ઘ પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવા જેવા આકરા નિર્ણયો લીધા છે. જેમાં પાકિસ્તાની નાગરિકોને વતન પરત ફરવા માટે આપેલું અલ્ટીમેટમ દૂર કરતાં વધુ સમય આપ્યો હતો. ભારતે આગામી આદેશ સુધી અટારી-વાઘા બોર્ડર મારફત પાકિસ્તાનીઓને વતન પર ફરવાની મુદ્દત આપી છે. જયારે પાકિસ્તાને આજે વાઘા બોર્ડરના દરવાજા બંધ કરી દેતા નાગરિકો બંને દેશોની સરહદ પર અટવાયા છે. તમામ નાગરિકો અટારી બોર્ડર મારફત વતન પરત ફરી રહ્યા હતા. પરંતુ પાકિસ્તાનની તરફથી દરવાજો ન ખુલતા નાગરિકો આકરા તડકામાં રસ્તાઓ પર રહેવા મજબૂર બન્યા છે.
પાકિસ્તાને વાઘા બોર્ડરનો દરવાજો ન ખોલતાં પાકિસ્તાનના નાગરિકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડયો છે. ભારત સરકારના આદેશાનુસાર, ભારતની મુલાકાતે આવેલા તેમજ ભારતમાં વસતા ઘણા પાકિસ્તાની નાગરિકો સવારે ૮.૩૦ વાગે બોર્ડર પહોંચ્યા હતા. પરંતુ ત્યાં પહોંચતા જ જાણવા મળ્યું કે બોર્ડરનો દરવાજો બંધ છે. આગળ જઇ શકાશે નહી. ભીષણ ગરમીમાં ભુખ્યા પેટે નાગરિકો રાહ જોઇ રહ્યા છે. તમામ લોકો ખૂબ પરેશાન થયા છે.