ભારત છોડવાના આદેશનું ઉલ્લંઘન કરનાર પાકિસ્તાનો સામે કડક કાર્યવાહી
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હૂમલા બાદ ભારત તરફથી પાકિસ્તાન વિરૂદ્ઘ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ભારતમાં હાજર પાકિસ્તાની નાગરિકો (જુદા જુદા વિઝા ધરાવનાર)ને દેશ છોડવાની સૂચના આપવામાં આવી હતી. જેમાં કેટલાક ગયા છે અને એકાદ-બે દિવસમાં વધુ કેટલાકને પણ દેશમાંથી પરત મોકલવામાં આવશે. સાથે જ આ નિયમનું પાલન ન કરનારા પાકિસ્તાનીઓ સામે કડક કાર્યવાહી થઇ શકે છે.
માહિતી અનુસાર, જે પણ પાકિસ્તાની નાગરિક સરકાર દ્વારા નિર્ધારિત સમય મર્યાદામાં ભારત છોડવામાં નિષ્ફળ જશે તેની ધરપકડ કરવામાં આવશે, તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને તેને ત્રણ વર્ષની જેલ અથવા ૩ લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંને થઇ શકે છે.
અમે તમને જણાવી દઇએ કે સાર્ક વિઝા ધારકો માટે ભારત છોડવાની અંતિમ તારીખ ૨૬ એપ્રિલ હતી. મેડિકલ વિઝા ધરાવનારાઓ માટે, અંતિમ તારીખ ૨૯ એપ્રિલ છે. વિઝા ધારકોની ૧૨ શ્રેણીઓ છે જેમણે રવિવાર સુધીમાં ભારત છોડવું પડશે- વિઝા ઓન અરાઈવલ, વ્યવસાય, ફિલ્મ, પત્રકાર, ટ્રાન્ઝિટ, સંમેલન, પર્વતારોહણ વિદ્યાર્થી, વિઝિટર, સમૂહ પર્યટક અને તીર્થયાત્રી અને સમૂહ તીર્થયાત્રી. ઇમિગ્રેશન એન્ડ ફોરનર્સ એકટ ૨૦૨૫ મુજબ, જે ૪ એપ્રિલથી અમલમાં આવ્યો હતો, વધારે રોકાણ કરવા, વિઝાની શરતોનું ઉલ્લંઘન કરવા અથવા પ્રતિબંધિત વિસ્તારોમાં અનધિકૃત પ્રવેશ પર ત્રણ વર્ષની જેલ અને ૩ લાખ રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે. અધિનિયમ જણાવે છે કે જે કોઇ (એ) વિદેશી હોવાને કારણે, તેને જે સમયગાળા માટે વિઝા આપવામાં આવ્યો હતો તે સમયગાળા કરતા વધુ સમય માટે ભારતમાં કોઇપણ પ્રદેશમાં રહે છે અથવા કલમ ૩ જોગવાઇઓનું ઉલ્લંઘન કરીને માન્ય પાસપોર્ટ અથવા અન્ય માન્ય મુસાફરી દસ્તાવેજ વિના ભારતમાં રહે છે અથવા તેના માટે ભારતમાં જારી કરાયેલા કોઇપણ માન્ય વિઝાની શરતોનું ઉલ્લંઘન કરતું કોઇ કૃત્ય કરે છે. (બી) આ અધિનિયમની કલમ ૧૭ અને ૧૯ સિવાયની અન્ય કોઇપણ જોગવાઇઓનું ઉલ્લંઘન કરે અથવા તેના હેઠળ કરવામાં આવેલ કોઇપણ નિયમ અથવા આદેશ અથવા આ અધિનિયમના અનુસંધાનમાં આપવામાં આવેલ કોઇપણ નિર્દેશ અથવા સૂચના અથવા આવા કોઇપણ આદેશ અથવા સૂચના કે જેના માટે આ અધિનિયમ હેઠળ કોઇ ચોક્કસ સજા આપવામાં આવી નથી, તો ત્રણ વર્ષ સુધીની કેદ અથવા ત્રણ લાખ રૂપિયા સુધીના દંડની સજાને પાત્ર થશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુક્રવારે તમામ રાજયોના મુખ્યમંત્રીઓને બોલાવ્યા અને તેમને ખાતરી કરવા કહ્યું કે કોઇપણ પાકિસ્તાની નાગરિક દેશ છોડવાની નિર્ધારિત સમયમર્યાદાની બહાર ભારતમાં ન રહે. મુખ્યમંત્રીઓ સાથે અમિત શાહની ટેલિફોનિક વાતચીત પછી, કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને મુખ્ય સચિવો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી અને તેમને સુનિશ્ચિત કરવા કહ્યું કે પાકિસ્તાની નાગરિકો જેમના વિઝા રદ કરવામાં આવ્યા છે તેઓ નિર્ધારિત સમયમર્યાદા સુધીમાં ભારત છોડી દે.