પાકિસ્તાનને પાણીનું એક ટીપું નહીં આપીએ : કેન્દ્ર સરકારની કડક રણનીતિ
પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિનેમુલતવી રાખવા અંગે શુક્રવારે જળ શકિત મંત્રાલયની બેઠક યોજાઇ હતી. તેને ૩ તબક્કામાં પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠક બાદ કેન્દ્રીય જળ ઉર્જા મંત્રી સીઆર પાટીલે કહ્યું કે આ અંગે ત્રણ પ્રકારની રણનીતિ બનાવવામાં આવી રહી છે. પાકિસ્તાનને પાણીનું એક ટીપું પણ નહીં મળે.
આ બેઠક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને થઇ હતી. જેમાં વિદેશ મંત્રી એસ જયશંકર અને જળ ઉર્જા મંત્રી સીઆર પાટીલે ભાગ લીધો હતો. જો કે ૩ તબક્કાઓ અને ૩ પ્રકારની વ્યૂહરચના વિશે કોઇ માહિતી આપવામાં આવી નથી.
પહેલગામ આતંકી હૂમલા બાદ ૨૩ એપ્રિલે કેન્દ્ર સરકારે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આજે શ્રીનગરમાં કહ્યું, ભારત સરકારે કેટલાક પગલાં લીધા છે. જયાં સુધી જમ્મુ-કાશ્મીરનો સવાલ છે, અમે કયારેય સિંધુ જળ કરારના પક્ષમાં રહયા નથી. અમે હંમેશા માનતા આવ્યા છીએ કે સિંધુ જળ કરાર જમ્મુ અને કાશ્મીરના લોકો માટે સૌથી ખોટો દસ્તાવેજ છે. આ કાશ્મીર માટે નુકસાનકારક છે. હૂમલા બાદ સરકારે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. ગુરુવાર મોડીરાત્રે ભારતે પાકિસ્તાનને પત્ર મોકલીને આ અંગે સત્તાવાર માહિતી આપી હતી. ભારતમાં જળશકિત મંત્રી સચિવ, દેબાશ્રી મુખર્જીએ પાકિસ્તાની જળ સંસાધન મંત્રાલયના સચિવ મુર્તઝાને પત્ર લખ્યો છે. એમાં કહેવામાં આવ્યું છે કે સંધિ સારા સંદર્ભમાં કરવામાં આવી હતી, પરંતુ સારા સંબંધો વિના એને જાળવી શકાય નથી. હૂમલા બાદ ભારતે જળ સંધિ મુલતવી રાખવા સહિત ૫ મોટા નિર્ણયો લીધા. ભારત સરકાર દ્વારા પાકિસ્તાન સરકારને નોટિસ મોકલવામાં આવી રહી છે. તે સંધિના અનુચ્છેદ કિક(૩)હેઠળ ૧૯૬૦ની સિંધુ જળ સંધિમાં સુધારો કરવા માગે છે. આ પત્રમાં એવા મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના માટે કરાર પર પુનર્વિચારણાની જરૂર છે. સંધિ પછી વસ્તીમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. આવી સ્થિતિમાં સ્વચ્છ ઉર્જા વિકાસને વેગ આપવા માટે કેટલાક ફેરફારો કરવા જરૂરી બની જાય છે. કોઇપણ કરારમાંથી સૌથી મહત્વની બાબત એ છે કે સંધિનું સન્માન કરવામાં આવે. એના બદલે પાકિસ્તાન તરફથી જમ્મુ-કાશ્મીરને નિશાન બનાવીને સરહદપારથી આતંકવાદ ચાલુ છે. સુરક્ષા અનિશ્ચિતતાઓએ સંધિ હેઠળ ભારતના અધિકારોનો ઉપયોગ કરવામાં અવરોધ ઉભો કર્યો છે. આ સિવાય પાકિસ્તાને ભારતની વિનંતીપર કોઇ પ્રતિક્રિયા આપી ન હતી. આ રીતે તેમણે સંધિનું ઉલ્લંઘન કર્યુ છે. તેથી ભારત સરકારે નિર્ણયલીધો છે કે ૧૯૬૦ની સિંધુ જળ સંધિ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવે છે.