મારૂતિ સોલારીસ મોલ બહાર ચોરી: CCTVના આધારે પોલીસે તપાસ શરુ કરી
આણંદ-સોજીત્રા રોડ ઉપર આવેલા મારૂતિ સોલારીસ મોલની બહાર ગઈકાલે રાત્રીના સુમારે પાર્ક કરેલી કારનો કાચ તોડીને તસ્કરો અંદરથી ૫૪ હજારની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં શહેર પોલીસે ગુનો દાખલ કરીને સીસીટીવી ફુટેજની મદદથી તપાસ હાથ ઘરી છે. ફેરિયાદી તરૂણભાઈ અશોકભાઈ વાઘાણી સુરત ખાતે રહે છે અને છેલ્લા એકાદ વર્ષથી ખંભાત-તારાપુર પાણી પુરવઠા વિભાગમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. જેથી હાલમાં તેઓ ધર્મજ ગામે ભાડાના મકાનમાં રહે છે.
તેમના ભાગીદાર તરીકે તેમના બનેવી હાર્દિકભાઈ રાજભાઈ ધામેલીયા છે. ગઈકાલે સાંજના સુમારે તરૂણભાઈ બનેવી હાર્દિકભાઈ અને અસલમભાઈ મેહમુદભઈ મલેક સાથે પોતાની ફોર વ્હીલર કાર ટાટા ટીગોર નંબર જીજે-૦૫, આરપી-૪૪૬૧ની લઈને ડાકોર દર્શન કરવા માટે ગયા હતા.
ત્યાંથી રાત્રીના નવેક વાગ્યાના સુમારે આણંદ-સોજીત્રા રોડ ઉપર આવેલા મારૂતિ સોલારિસ મોલમાં પીઝા ખાવા માટે આવ્યા હતા. કારને ગેટની બહારના ભાગે પાર્ક કરી હતી. દરમ્યાન કોઈ ગઠિયાએ જમણી બાજુના પાછળના દરવાજાનો કાચ તોડીને અંદર મુકેલા લેપટોપવાળો થેલો તેમજ કપડાનો થેલો ચોરી કરીને લઈ ગયા હતા. આ બન્ને થેલામાં લેપટોપ, બે છુટી હાર્ડડીસ્ક, બે ઈયર બર્ડ, બે જોડી ચશ્મા, સ્પીકર વગેરે મળીને કુલ ૫૪ હજારની મત્તા મુકી હતી. સાડા દશેક વાગ્યાના સુમારે ત્રણેય જમીને બહાર નીકળતા જ કારનો પાછળનો કાચ તુટેલો અંદર મુકેલા બન્ને થેલા ગાયબ હતા જેથી આસપાસ તપાસ કરતા કોઈ પત્તો મળ્યો નહોતો. જેથી આજે શહેર પોલીસ મથકે આવીને ફરિયાદ આપી હતી.