આણંદથી લીંગડા માર્ગનું નવીનીકરણ કામ ટૂંક સમયમાં શરુ: રાજ્ય સરકારે આપી મંજૂરી
આણંદ ભાલેજ ઓવરબ્રિજ થી લીંગડા સુધીનો માર્ગ 7 વર્ષથી બિસ્માર હાલતમાં ફેરવાય ગયો છે. ત્યારે માર્ગ પર અકસ્માતના બનાવો વધી ગયા હોવાથી રાજ્ય સરકારે મંજૂરી આપતાં ટુંક સમયમાં માર્ગ નવીનીકરણની કામગીરી હાથ ધરાતાં 65 વધુ ગામડાઓના વાહન ચાલકોને હાશકારો અનુભવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ભાલેજ ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યો હોવાથી વાહનચાલકોને અન્ય માર્ગો પર થઇને પસાર થવાની ફરજ પડી રહી છે. ત્યારે સતત 24 કલાક વાહનચાલકોને અવરજવરના પગલે માર્ગ બિસ્માર હાલતમાં ફેરવાઇ ગયો છે. જો કે ફરિયાદોને પગલે રાજ્ય સરકારે મંજૂરી આપતાં તંત્ર દ્વારા નવીનીકરણ કામગીરી હાથધરવાના ભાગરૂપે ભાલેજ ,રાહતલાવ, જાખલા , ઉંટખરી , લીંગડા સહિત અન્ય જગ્યાએ 75 થી વધુ કાચાપાકા દબાણો સફાયો બોલાવી દેવામાં આવ્યો છે. ટુંક સમયમાં માર્ગ નવીનીકરણની કામગીરી હાથ ધરી દેવામાં આવશે.
બીજી તરફ ભાલેજ ઓવરબ્રિજ ત્રણોલ કુંજરાવ તરફ કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. પરંતુ ભાલેજ ચાર રસ્તા પર નવીન ગરનાળુ બનાવવા ગ્રામજનોની માગ ઉઠવા પામતાં તંત્ર માટે ચિંતાનો વિષય બની ગયો છે. આખરે ગ્રામજનોની ફરિયાદોને પગલે ટુંક સમયમાં નવીનીકરણ સાથે માર્ગ પર દિશા સૂચક બોર્ડ વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજ લાઇન ,સ્પીટ બ્રેકર સહિત અકસ્માત અટકાવવાના ભાગરૂપે બમ્પ બનાવવા સહિત કામગીરીને આખરી ઓપ આપી દેવાયો છે.
વર્ષોથી આ વિસ્તારમાં ચાઇડા આવેલા હોવાથી જમીન પોચી પડી ગઇ હતી. તેવી રીતે દલાપુર સામરખા વચ્ચે 50 મીટર અને રાહતલાવ પાસે 100 મીટર માર્ગ નીચે જમીન પોચી હોવાથી દર ચોમાસામાં ભારે હાલાકી વેઠવી પડે છે. આ 200 મીટરના માર્ગ પર હાલમાં 100થી વધુ ગાબડા હોવાથી રોજ ટ્રાફિક જામ થઇ જાય છે.
આખરે તંત્રએ લીંગડા થી આણંદ સુધીનો માર્ગ નવો બનાવવા માટે મંજૂરી આપી દીધી છે. આ વખતે તંત્રએ ચોમાસા માર્ગ વધુના ધોવાઇ માટે આગોતરૂ આયોજન કર્યું છે. સામરખા ચોકડી થી બુલેટ ટ્રેન સુધીની જમીન પોચી હોવાથી અને મેટલ ન નાખ્યા હોવાથી ગાબડા પડી રહ્યા છે. જેને પગલે હવે તંત્રે આ સ્થળે આરસીસીથી રોડ બનાવાનું આયોજન કર્યુ છે.આણંદ સામરખા ચોકડી થી બુલેટ ટ્રેન બ્રિજ સુધી સ્ટ્રીટ લાઇટો મુકવામાં આવશે તેમજ વરસાદી પાણીના નિકાલ માટે ચેનલ બંને બાજુએ બનાવવામાં આવનાર છે.
5 મિનિટનું અંતર કાપતા 15 મિનિટ લાગે છે હાલ વાહનચાલકોને આણંદથી સામરખા ચોકડી થઇને બુલેટ ટ્રેનના બ્રિજ સુધીનો 200 મીટરના રોડનું અંતર કાપતા 5 મિનિટનો જ સમય લાગે, પરંતુ હાલ મસ મોટા ખાડા પડેલા હોવાથી આ અંતર કાપવામાં 15 મિનિટ લાગી જાય છે. તેમાંય ખાડાને કારણે થતાં ટ્રાફિકજામને કારણ ઘણીવાર વધુ સમય ઉભુ રહેવુ પડે છે.