આણંદ મનપા: મકાન બાંધકામ માટે લાભકારી યોજના
શહેરી વિસ્તારોમાં નાગરિકોને સુવિધાયુકત આવાસો પોષણક્ષમ ભાવે મળી રહે તથા શહેરી વિસ્તારને ઝૂંપડપટ્ટી મુકત બનાવવાના સંકલ્પના આધારે ગુજરાત સરકારે વર્ષ ર૦૧૩-૧૪માં મુખ્યમંત્રી ગૃહ યોજના જાહેર કરી હતી. ત્યારબાદ ર૦૧પમાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) હાઉસિંગ ફોર ઓલ સાથે સંકલિત કરી હતી. શહેરી વિસ્તારમાં થયેલ વિસ્તરણના કારણે આવાસોની માંગમાં વધારો થયાનું ધ્યાનમાં રાખીને આગામી પ વર્ષ માટે કેન્દ્ર સરકાર દ્વારા સર્વ ેઘરવિહોણાઓને પોષણક્ષમ ભાવે સુવિધાયુકત આવાસો મળી રહે, સ્થળાંતરિત લોકોને સસ્તા ભાડાનું આવાસ ઉપલબ્ધ થાય તે માટે સપ્ટે.ર૦ર૪થી પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ર.૦ની માર્ગદર્શિકા પ્રસિદ્વ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, અગાઉની પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) (ર૦૧૬થી ર૦ર૪)માં આણંદ નગરપાલિકાના સંબંધિત વિભાગે સમયમર્યાદા અગાઉ યોજના પૂરી કરવા સાથે રાજયમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ યોજનામાં બેનીફીશીયરી લેન્ડ કન્સ્ટ્રકશનના ૪૬૧ અને ક્રેડીડ લીન્કડ સબસીડી સ્કીમના ૧૩૦૦થી વધુ લાભાર્થીઓને યોજના અંતર્ગત આશરે ર.૬૭ કરોડ લોન-સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
અગાઉની યોજનામાં થોડા ફેરફાર સાથે હવે પ્રધાનમંત્રી આવાસ યોજના ર.૦ અમલમાં મૂકવામાં આવી છે. જેમાં આણંદ મનપામાં સમાવિષ્ટ વિસ્તારોના નિયમોનુસારના લાભાર્થીઓ લાભ મેળવી શકશે. લાભાર્થીએ આવાસ યોજના અંગેની જાણકારી તેમજ ફોર્મ ભરવા માટે મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગનો સંપર્ક કરવાનો રહેશે. જયાંથી આપેલ ફોર્મ ભરીને જરુરી પુરાવા-વિગતો સાથે પરત આપવાનું રહેશે. ત્યારબાદ પાલિકાના એન્જિનીયર સહિતની ટીમ દ્વારા લાભાર્થીએ દર્શાવેલ પોતાની માલિકીનો ખુલ્લો પ્લોટ, જર્જરિત ઘરની ચકાસણી હાથ ધરીને યોજના અંતર્ગત મળવાપાત્ર સહાય સાથેની દરખાસ્ત તૈયાર કરાશે. જે સરકારમાંથી મંજૂર થઇને આવ્યા બાદ લાભાર્થીને તબકકાવાર સહાયની ચૂકવણી કરવામાં આવશે.
બાંધકામનો તબકકો- હપ્તો- કેન્દ્ર સહાય- રાજય સહાય, પ્લીન્થ લેવલ સુધીનું બાંધકામ થયેથી- પ્રથમ -૩૦ હજાર- ૪૦ હજાર, લિન્ટલ લેવલ સુધીનું બાંધકામ થયેથી- બીજો- ૩૦ હજાર- પ૦ હજાર, સ્લેબ લેવલ સુધીનું બાંધકામ થયેથી- ત્રીજો- ૬૦ હજાર- ૯૦ હજાર, ૧૦૦ ટકા બાંધકામ પૂર્ણ થયેથી -છેલ્લો- ૩૦ હજાર- ૭૦ હજાર, કુલ – ૧.પ૦ લાખ- ૪ લાખ
છેલ્લા ર૦ વર્ષમાં કેન્દ્ર-રાજય સરકારની કોઇપણ આવાસ યોજનાનો લાભ લીધેલ ન હોય. ભારતભરમાં પોતાનું પાકું આવાસ ધરાવતા ન હોય. કુટુંબ તરીકે પતિ-પત્ની અને અપરિણીત બાળકો તથા વિધવા, એકલી મહિલા, ટ્રાન્સજેન્ડર્સનો સમાવેશ થશે. પ્રધાનમંત્રી આવાસ યોજના ર.૦ અંતર્ગત વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો, સફાઇ કામદારો, પીએમ સ્વનિધિ હેઠળ આવરી લીધેલ શેરી ફેરિયાઓ, પ્રધાનમંત્રી-વિશ્વકર્મા યોજનાના લાભાર્થીઓ, આંગણવાડી કાર્યકરો, બાંધકામ કામદારો, ઝૂંપડપટ્ટી-ચાલીમાં વસતા કુટુંબો, અનુસૂચિત જાતિ જનજાતિ અને પાત્રતા ધરાવતા અન્ય નબળા વર્ગના વ્યકિત-જૂથો લાભાર્થી તરીકે વ્યાખ્યાયિત કરી શકાશે.