હાથિયાખાડમાં મિની ચેકડેમની કામગીરી દરમિયાન દુર્ઘટના: એક શ્રમિકનું મોત, બીજો ઘાયલ
ખંભાતના હાથિયાખાડ વિસ્તારમાં ૮ કરોડના ખર્ચ બની રહેલ મીની ચેકડેમની કામગીરી દરમ્યાન માટીની ભેખડ ધસી પડતાં માટીમાં બે શ્રમિકો દટાઈ જવા પામ્યા હતા. જેમા એકનું મોત થયુ હતુ જ્યારે એકને માથામાં ઈજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ એંગે ખંભાત રૂરલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ખંભાત જીણજ માર્ગ પર ૮ કરોડના ખર્ચ મીની ચેકડેમ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ પ્રોજેક્ટમાં ૧૭ જેટલા શ્રમિકો મજૂરીકામ કરી રહ્યા છે. આજે સવારના સુમારે સેન્ટીંગની કામગીરી દરમ્યાન શ્રમિકો દ્વારા પ્લેટો લગાવવામાં આવી રહી હતી ત્યારે અડીને આવેલ ભેખડ એકાએક ધસી પડી હતી. જેમાં ૨ શ્રમિકો દટાઈ ગયા હતા. દુર્ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને માટીની ભેખડ નીચે દબાયેલા શ્રમિકોના બચાવની કામગીરી કરવામાં આવી હતી. નેપાળની દીઠાપુર ગામના રાકેશભાઈ લખનરામ ચૌહાણ નામના શ્રમિકને માથામાં ઈજાઓ પહોંચતા જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યો છે.
જ્યારે ઉત્તરપ્રદેશના પવનકુમાર જવાહરલાલ પાસવાનનું ઘટનાસ્થળ પર મોત નિપજ્યું છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતક શ્રમિકના મૃતદેહને કબ્જે કરી પી.એમ. અર્થ જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર અંગ્રેજ સમયથી બનેલો હાથિયાખાંડ કાંસ જર્જરીત થઈ જવા પામ્યો હતો. તેના દરવાજા પણ જર્જરિત થઈ જતાં પાણી દરિયામાં વહી જતું હતુ. ચોમાસામાં પાણી ઓવરફ્લો થઈને હાથિયાખાડ માર્ગ પરથી પસાર થતા ખંભાત-જીણજ માર્ગને બંધ કરવાની પણ ફરજ પડતી હતી. જેને લઈને અહીંયા આઠ કરોડના ખર્ચે મીની ચેકડેમ બનાવવાની કામગીરી હાથ ઘરાઈ હતી. જેનું કામ જ્યોતી એજન્સીને આપવામાં આવ્યું હતુ અને ગત ૨૭-૪-૨૦૨૫ના રોજ તેનું ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ દ્વારા ખાતમુહુર્ત કરીને કામ ચાલુ કરવામાં આવ્યું હતુ.