સફાઈ કર્મચારીઓની હડતાલના કારણે નડિયાદના રસ્તાઓ પર કચરાનો ભરાવો, રોગચાળાનો ખતરો
નડિયાદ : નડિયાદમાં આજે સતત બીજા દિવસે સફાઈ કામદારો સહિત કરાર પરના કર્મચારીઓએ હડતાલ યથાવત રાખી હતી. હડતાળના પગલે સોમવાર વહેલી સવારથી મંગળવારની મોડી સાંજ સુધી શહેરના ડમ્પિંગ પોઈન્ટ પર કચરાના ઢગ ખડકાયા છે. જાહેર માર્ગો પર અનેક સ્થાનોએ કચરો વેરવિખેર પડયો રહેતા ગંદકી ફેલાવાનું શરૂ થયું છે.
નડિયાદમાં આજે સફાઈ કામદારો સહિત સેનેટરીના અન્ય કરારી કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાયા હતા. અચાનક કર્મચારીઓને કરારમાંથી આઉટસોર્સિંગ એજન્સીમાં જવાનું દબાણ કરાયું હતું. તે બાદ કર્મચારીઓએ સોમવારે સવારે કમિશનર સાથે કરેલી બેઠક નિષ્ફળ રહી હતી. કમિશ્નર અને બે ડે. કમિશ્નરે કર્મચારીઓને એજન્સીના લાભ દર્શાવવા અનેકો પ્રયાસ કર્યા, પરંતુ કર્મચારીઓએ મૂળ તેમના કરારની શરતોનો ભંગ થયાની વાત પકડી રાખી હતી. ત્યારે કર્મચારીઓએ હડતાલનો માર્ગ અપનાવ્યો છે. જેના કારણે શહેરમાં સફાઈનું કામ ઠપ થઈ ગયું હતું. કેટલાક કર્મચારીઓએ આજે નાગરીકોના હિતમાં જાહેર રસ્તા પરનો કચરો વાળી એકત્ર કર્યો હતો પરંતુ એક પણ કચરાના સ્પોટ પરથી કચરો ભરવાની કામગીરી કરાઈ નહોતી. ત્યારે પારસ સર્કલ પાસે, શીતલ ગ્રાઉન્ડ સામે, અર્બન હેલ્થ સેન્ટર-૨ની સામે, મંજીપુરા રોડ પર, સ્ટેશન રોડ પર કચરો પડેલો જણાયો હતો. પશ્ચિમમાં પણ અનેક સ્થાને કચરાના ઢગ ખડકાયા હતા. દિવસભર પવન ફૂંકાતા કચરો તમામ જાહેર માર્ગો પર ઉડીને પડયો હતો. એકતરફ તંત્ર પોતાના નિર્ણય પર અડગ છે. તો બીજી તરફ કર્મચારીઓ લડાયક મૂડમાં છે. તેવા સંજોગોમાં હાલ નગરજનો હાલાકી ભોગવી રહ્યા છે.