ઉમરેઠમાં નવા રોડ પર ઓગળતી ડામરે સર્જ્યા અકસ્માત, 5 બાઈક સ્લીપ
ઉમરેઠ ખાતે આણંદ જિલ્લા માર્ગ મકાન વિભાગ દ્વારા હાઈવેનું નવીનીકરણ કરીને ડામર રોડનું રિસરફેસિંગ કામ પૂર્ણતાને આરે છે. થામણા ચોકડીથી ઉમરેઠ બસ સ્ટેન્ડ સુધીના ડામર રોડ પર ખાડા પૂરવા માટે રિસફલિંગનું કામ કરવામાં આવેલ છે. પરંતુ અચાનક આ ડામર રોડ પરથી ડામર ઓગળીને રોડ પર પથરાઇ જતાં તેના પરથી પસાર થતાં બાઇક ચાલકો વારંવાર ફરતી સ્લીપ ખાતા જોવા મળ્યા હતા. એક કલાકમાં 5 બાઇક ચાલકો પટકાતાં વધતી ઓછી ઇજાઓ થઇ હતી
ઉમરેઠ ખાતે બસ સ્ટેન્ડથી થામણા ચોકડી સુધીનો જૂનો ડામર હાઇવે રોડ લાંબા સમયથી બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો હતો અને જેને કારણે ઉમરેઠ અકસ્માતનું એપી સેન્ટર બની ગયું હતું. આણંદ જિલ્લા માર્ગ મકાન વિભાગ દ્વારા ડાકોર નડીઆદ હાઈવેના નવીનીકરણ અંતર્ગત ઉમરેઠના આ ડામર રોડ પર રિસરફેસિંગ કરવામાં આવેલ છે. કોઈપણ ડામર રોડ થયા પછી ડામર ઓગળે નઈ અને મજબૂતાઇ આવે તેના માટે રોડ ઉપર ડસ્ટ પાથરીને રોડ રોલર ફેરવવામાં આવે છે. આવું કરવાથી નવા બનેલ ડામર રોડ જલ્દી ઓગળતો નથી અને તેની મજબૂતાઇ વધવાથી આયુષ્ય પણ વધી જાય છે.
પરંતુ ઉમરેઠ બસ સ્ટેંડથી લઈને થામણા ચોકડી સુધીના રીસર્ફેસિંગ કરેલા રોડ પર ડસ્ટ નાખીને રોલર ફેરવવામાં આવ્યું જ નથી. આના કારણે રીસરફેસિંગ કરાયાના થોડા જ દિવસોમાં રોડનો ડામર ઓગળી રહ્યો છે. આખા નવા બનાવેલ રોડ પર ડામર ઓગળવાની ચારથી પાંચ બાઇક સવાર સ્લીપ થવાથી અકસ્માતનો ભોગ બન્યા છે. ઉપરાંત ચાલતા અવરજવર કરી રહેલ વ્યક્તિઓના ચંપલ રોડ પર ચોંટી જવાના કિસ્સા પણ ઉભા થયા છે.તંત્રની બેદરકારી વાહનચાલકો અકસ્માત ભોગ બનતા ભારે રોષ જોવા મળી રહ્યો છે.