આણંદ કોંગ્રેસ અધ્યક્ષની પસંદગી હવે અંતિમ તબક્કામાં પ્રવેશી
રાજયમાં કોંગ્રેસ સંગઠનના માળખાને મજબૂત બનાવવા માટે દિલ્હીથી હાથ ધરાયેલ આયોજનના ભાગરુપે આણંદ સહિત રાજયના ૩૩ જિલ્લા અને મહા નગર પાલિકાના નવા પ્રમુખોના નામો આવતા અઠવાડિયે જાહેર કરાશેની સંભાવના વ્યકત થઇ રહી છે. જેમાં દિલ્હી ખાતે પ્રમુખોના નામ અંગેની રીવ્યૂ બેઠક સહિત અંતિમ વિચારણા પણ કરવામાં આવી છે.
આણંદ જિલ્લામાં એઆઇસીસી કક્ષાએ મુખ્ય નિરીક્ષક સહિત પાંચ કોંગી અગ્રણીઓની કમિટીએ તાજેતરમાં આણંદ જિલ્લાની તાલુકાવાઇઝ બેઠકો યોજી હતી. જેમાં કાર્યકરોની રજૂઆતો સાંભળીને નવા પ્રમુખ તરીકે કોની નિમણૂંક કરવી તે અંગે વિચારણા કરવા સહિત સેન્સ લેવામાં આવી હતી. આણંદમાં મુખ્ય નિરીક્ષક વિજય સીંગલાની અધ્યક્ષતા હેઠળ બેઠકો યોજાઇ હતી. ત્યારબાદ ગત ૮ મેના રોજ આણંદના સર્કીટ હાઉસમાં જિલ્લા પ્રમુખ બનવા ઇચ્છુકોના ફોર્મ ભરાવવામાં આવ્યા હતા.
જે અંતર્ગત કાર્યકરો અને સ્થાનિક કોંગી નેતાઓની રજૂઆતો સાંભળવામાં આવી હતી. આમ, સમગ્ર પ્રકિયાનો નિરીક્ષકોએ અહેવાલ તૈયાર કરીને દિલ્હી મોવડી મંડળને પહોંચાડવામાં આવી હતી. અંતર્ગત સૂત્રો દ્વારા મળતી વિગતોમાં બેઠકમાં વર્તમાન પ્રમુખ વિનુભાઇ સોલંકી, કાર્યકારી પ્રમુખો ભૃગુરાજસિંહ ચૌહાણ અને ભુપેન્દ્રભાઇ પટેલે દાવેદારી નોંધાવી હતી. આ ઉપરાંત એક મહિલા સહિત ત્રણ ઉમેદવારોએ પણ ફોર્મ ભરતા આણંદ જિલ્લા પ્રમુખપદ માટે કુલ છ વ્યકિતઓએ દાવેદારી નોંધાવ્યાનું જાણવા મળે છે. નિરીક્ષકો દ્વારા ભરાયેલા છ ઉમેદવારોના નામો અંગે વિચારણા હાથ ધરીને સમગ્ર અહેવાલ દિલ્હી પહોંચાડયો હતો.
જયાં સંગઠન સચિવ કે.સી.વેણુગોપાલની અધ્યક્ષતામાં રીવ્યૂ કમિટીની બેઠક યોજાઇ હતી. જો કે સંભાવના એવી પણ વ્યકત કરવામાં આવી છે કે નિરીક્ષકો દ્વારા તૈયાર કરાયેલ અહેવાલ પૈકીના નામો સિવાય અન્ય નામ પણ મોવડી મંડળ દ્વારા સૂચવાઇ શકે છે.નોંધનીય છે કે જિલ્લામાં કોંગી સંગઠનને મજબૂત બનાવવા માટે રાહુલ ગાંધીએ આપેલ સૂચના મુજબ પ્રમુખની વરણી પ્રકિયામાં કાર્યકરો સહિત સ્થાનિક કોંગી અગ્રણીઓની સેન્સ પણ ધ્યાને લેવામાં આવી છે. હવે જિલ્લા પ્રમુખપદે કોનું નામ જાહેર થાય છે તે જાણવાની કાર્યકરોમાં ઉત્કંઠા વ્યાપી છે.