આણંદ જિલ્લામાં સતત ચોથા વર્ષે ડેન્ગ્યૂ સામે રાહત, પોઝિટિવ કેસોમાં ઘટાડો
ડેન્ગ્યુ એડીસ મચ્છર કરડવાથી,વાયરસથી થતો રોગ હોવા સાથે તે ડેનુ ૧, ડેનુ ર, ડેનુ ૩ અથવા ડેનુ ૪ આ ચાર પૈકી કોઇપણ એક વાયરસનો ચેપ લાગવાથી થતો હોય છે. મચ્છરજન્ય આ રોગમાં માત્ર માદા મચ્છર જ માણસને કરડે છે. મચ્છર ચેપ ધરાવતા વ્યકિતને કરડયા બાદ લગભગ સાતેક દિવસ બાદ ચેપી બને છે અને અન્ય માણસોમાં વાયરસ ફેલાવે છે. જો કે એકવાર ચેપી બન્યા બાદ મચ્છર જીવનભર ચેપી રહે છે અને આ ચેપ પોતાના ઇંડામાં પણ આપે છે. મોટાભાગે વહેલી સવાર અને સાંજે આ મચ્છર કરડતા હોય છે. આણંદ જિલ્લામાં ડેન્ગ્યુના અટકાવ માટે જિલ્લા મેલેરિયા વિભાગ દ્વારા વર્કશોપ, પ્રદર્શન, લોક જાગૃતિ શિબિર સહિત શાળા-કોલેજોમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. સાથોસાથ મચ્છરના જીવન ચક્ર અને પોરા ભક્ષક માછલીઓના જીવંત પ્રદર્શન સાથે ડેન્ગ્યુ નિયંત્રણ માટેના પ્રયાસો છેલ્લા ચાર વર્ષમાં સફળ પણ બન્યાનું જોવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ડેન્ગ્યુ રોગ નિયંત્રણ અને અટકાયત માટે સરકાર દ્વારા વર્ષ ર૦રપની રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની થીમ ચેક,કલીન, કવર : સ્ટેપ્સ ટુ ડીફાટ ડેન્ગ્યુ રાખવામાં આવી છે. જેમાં ખાસ કરીને ઘરના પાણી ભરેલા પાત્રોની સફાઇની બાબતનો ઉલ્લેખ કરાયો છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પિયુષ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા મેલેરિયા અધિકારી ડો.રાજેશ પટેલના આયોજન હેઠળ જિલ્લાના પ૪ પ્રા.આ.કેન્દ્રો, ૮ અર્બન આ.કેન્દ્રોના ક્ષેત્રિય વિસ્તારમાં આજે ૧૬ મે,ર૦રપની રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.