ચોમાસું આંગણે, આણંદની ખુલ્લી વીજ ડીપી સામે તંત્રના પગલાની રાહ
આણંદ : આણંદ શહેરના અનેક વિસ્તારોમાં એમજીવીસીએલના ખૂલ્લા વીજ ડીપીના કારણે ચોમાસામાં કરન્ટ લાગવાથી જીવનું જોખમ ઉભું થયું છે. ચાર દિવસ અગાઉ વીજ કરન્ટ લાગવાથી બે પશુના મોત થયા હતા. જ્યારે ગત વર્ષે વીજ વાયર પડવાથી બાળકનું મોત થયું હતું.
ચોમાસાને ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે આણંદ શહેરમાં આવેલા વોર્ડ નં.-૪મા એમજીવીસીએલના વીજ પોલ સાથે આવેલા ખૂલ્લા ડીપીના કારણે સ્થાનિકોને જીવનું જોખમ છે. ગત વર્ષે આ વિસ્તારમાં ખૂલ્લા ડીપીને કારણે એક બાળકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ચાર દિવસ અગાઉ ડીપી પાસે બે ગાયોના કરન્ટ લાગવાથી મૃત્યુ થયા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ અંગે વોર્ડ નં.-૪ના સ્થાનિકોનું કહેવું છે કે, બિસ્મિલ્લા સોસાયટી તથા ઈસ્માઈલનગર પાસે એમજીવીસીએલની બેદરકારીના લીધે વીજ ડીપી ખૂલ્લા રાખવામાં આવ્યા છે. જેના પરિણામે ચોમાસામાં કરન્ટ ઉતરવાથી જીવનું જોખમ ઊભું થયું છે. ચાર દિવસ પહેલા ભાલેજ ઓવરબ્રિજ નીચે વીજ કરન્ટથી બે પશુઓના મોત થયા હતા. ખૂલ્લા વીજ ડીપી અંગે એમજીવીસીએલમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ ડીપી બંધ કરવા કોઈ આવતું નથી.
જેને કારણે સ્થાનિક લોકોના જીવ સામે જોખમ ઊભું થયું છે. ત્યારે વીજ કંપની સત્વરે વીજ ડીપી બંધ કરી ફેન્સિંગ કરાવે તેવી માંગણી ઉઠી છે. આણંદ એમજીવીસીએલના ડેપ્યુટી ઈજનેર પી.જી. કટોડિયાએ જણાવ્યું હતું કે, એમજીવીસીએલ દ્વારા રિપેરિંગ ઓઈલ લિકેજ રિસિલિંગ તથા ફેન્સિંગનંપ કામ ચાલુ કરાયું છે. ૪૦ ડીપીએ ફેન્સિંગ કરી દેવામાં આવ્યું છે. બાકીનું કામ ચોમાસા પહેલા પૂરું કરવામાં આવશે. નગરજનોએ વીજ ડીપીના ફેન્સિંગ આગળ નાખેલો કચરો ખાવા આવતી ગાયોને કરન્ટ લાગવાથી અકસ્માતો થતા હોય છે.