વલાસણ નહેરના રસ્તાનું વિકાસ કામ શરૂ, 2.50 કરોડના ખર્ચે થશે ફોર લેન
આણંદ કરમસદ સોજિત્રા રોડ પર આવેલ વલાસણ નહેરનું ગરનાળુ ટુ વે હોવાથી ફોર લેઈન માર્ગ ઉપર એકાએક વાહન ચાલકો સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા અક્સ્માતનું પ્રમાણ વધી ગયું હતુ.ત્યારે તંત્રએ મંજૂરી મળતાંરૂા. 2.50 કરોડના ખર્ચે નવીનીકરણ કામગીરી હાથ ધરાઇ છે. ચોમાસુ સિઝન પહેલા તૈયાર થઇ જતાં તારાપુર બગોદરા સોજિત્રા સહિત 85 થી વધુ ગામડાઓના વાહન ચાલકોને ટ્રાફિક સમસ્યામાંથી મુકિત મળશે.
આણંદ જિલ્લા પીડબલ્યુડી વિભાગ દ્વારા કરમસદથી તારાપુર માર્ગ સતત 24 કલાક વાહનોની અવર જવર રહે છે. ત્યારે વલાસણ પાસે પસાર થતી પેટલાદ શાખાની નહેર પર ગરનાળુ ટુ વે હોવાથી વારંવાર અકસ્માત સર્જાય છે.બે માસ પહેલા તારાપુર થી દૂધ ભરેલ ટેન્કર આણંદ તરફ પસાર થઇ રહ્યું હતું.આ સમયે ગરનાળુ નાનું હોવાથી ટેન્કર પલ્ટી ખાઇ ગઇ હતી.
ફરિયાદોને પગલે સિંચાઇ વિભાગે ગાંધીનગર કચેરી દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.જેની મંજૂરી મળતાં હાલમાં નહેરોમાં પાણી બંધ હોવાથી તંત્ર દ્વારા યુદ્વના ધોરણે નવીન ગરનાળુ બનાવવાની કામગીરી આરંભી દેવાઇ છે.જેના ભાગરૂપે ડાયવર્ઝન આપીને વાહન ચાલકો માટે મુશ્કેલી પડે નહીં તેવી રીતે માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે. ચોમાસુ સીઝન પહેલા વલાસણ નહેર પર ગરનાળુ તૈયાર થઇ જતાં હજારો વાહન ચાલકોને પડતી હાલાકીઓનો અંત આવી જવા પામશે.