આંકલાવમાં ગેસ બોટલ જોડતી વખતે ભભૂકી ઊઠી આગ, લોકોમાં દોડધામ
આંકલાવ શહેરના બસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એસબીઆઈ બેન્કની સામે અવેલા એક મકાનમાં ગેસનો બોટલ જોડતાં અચાનક આગ ભભૂકી ઉઠતાં અફડાતફડી મચી જવા પામી હતી. આગ લાગતા સ્થાનિકો ઘટના સ્થળે દોડી નગરપાલિકાના જેટીંગ મશીનથી તેમજ સ્થાનિકોએ પાણીનો મારો લગાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાની જાણ બોરસદ ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી. જેથી આગ પર કાબુ મેળવ્યા બાદ ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી. આગમાં મોટાભાગનો ઘરવખરીનો સામાન બળી જતાં નુકસાન થયું હતું.
આંકલાવ શહેરના બસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એસબીઆઈ બેન્કની સામે પ્રવીણભાઈ આનંદલાલ શાહના મકાનમાં ગેસનો સવારે બોટલ જોડતાં અચાનક આગ લાગી હતી. સ્થાનિકો દ્વારા નગરપાલિકાના જેટીંગ મશીનથી પાણીનો મારો મારવામાં આવ્યો હતો.
બોરસદ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જોકે ફાયરબ્રિગેડ આવે તે પહેલા સ્થાનિકોએ આગ પર કાબુ મેળવી લીધો હતો. આગમાં મકાનમાં રહેલી મોટા ભાગની ઘરવખરી બળી જતા ભારે નુકસાન થયું હતું. ઉલ્લેખનીય છે કે આંકલાવમાં આગના બનાવો વધવા પામ્યા છે ત્યારે નગરપાલિકાના પાસે ફાયરબ્રિગેડની કોઈ સુવિધા ન હોવાના કારણે બોરસદ અને આણંદની ફાયરબ્રિગેડ બોલવા લોકો મજબુર બન્યા છે. આંકલાવ પાલિકા દ્વારા શહેરમાં આવેલ અનેક એકમોને ફાયર એનઓસી માટે નોટીસ આપાઇ છે. અમુક એકમોએ એનઓસી મેળવી છે પરંતુ અનેક એકમો પર હજુ પણ ઈમરજન્સી એક્ઝિટ તેમજ ફાયર સેફટી વિના છે.