આણંદમાં ગેમ ઝોનમાં ફરી સુરક્ષાની અવગણના? ભારે ભીડ વચ્ચે ઉઠ્યાં પ્રશ્નચિન્હ
આણંદ : રાજકોટના ગેમ ઝોનમાં વર્ષ પૂર્વે લાગેલી આગમાં ૨૭ જિંદગીઓ હોમાઈ ગઈ હતી. બાદમાં તંત્રએ મંજૂરી વિના ચાલતા ગેમ ઝોન સામે કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે વેકેશનના માહોલ વચ્ચે આણંદમાં પુનઃ ભારે ભીડ વચ્ચે જોખમી રીતે ગેમ ઝોન ધમધમતા થયા છે. કેપેસિટી કરતા વધુ સંખ્યામાં એકત્ર થતા ગેમ ઝોન વિરૂદ્ધ તંત્ર કાર્યવાહી કરશે કે નહીં તેવા સવાલો ઉઠી રહ્યા છે.
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં મે-૨૦૨૪માં વિકરાળ આગ લાગતા હોનારત સર્જાઇ હતી. હાઇકોર્ટ દ્વારા આ ઘટનાને માનવ સજત ગણાવવામાં આવતા સરકાર પણ જાગી હતી અને રાજ્યભરના ગેમ ઝોન તથા બહુમાળી ઇમારતો ખાતે ચેકિંગ શરૂ કર્યું હતું. આણંદમાં પણ પરમિશન વિના ચાલતા ગેમ ઝોન સીલ કરવામાં આવ્યા હતા. જોકે આ ઘટનાને એક વર્ષ જેટલા સમય બાદ હવે પુનઃ એક વાર આણંદમાં કેટલાક સ્થળોએ ગેમ ઝોન ધમધમતા થયા છે. અત્યંત જોખમી એવા કેટલાક ગેમ ઝોનમાં ક્ષમતા કરતા ભારે ભીડ જોવા મળી રહી છે. તંત્રએ આપેલી ગાઈડલાઈન પૈકી કેટલીક ગાઈડલાઈનનું સરેઆમ ઉલંઘન થતું પણ જોવા મળી રહ્યું છે. કોઈ હોનારત સર્જાયા બાદ તંત્ર કાર્યવાહીના નામે થોડો સમય પગલાં લે છે. બાદમાં જાણે કંઈ બન્યંન જ ન હોય તેમ તંત્ર પાણીમાં બેસી જતું હોવાથી આવા ગેમ ઝોનના સંચાલકોને મોકળું મેદાન મળતું હોવાનો આક્રોશ નગરજનો વ્યક્ત કરી રહ્યા છે.
ગણતરીની મિનિટો માટે કોઈ એક રમત માટે ૧૦૦થી ૧૫૦ રૂપિયા વસૂલી ગ્રાહકો સાથે ખૂલ્લેઆમ છેતરપિંડી કરાઈ રહી હોવાના આક્ષેપ ઉઠયા છે. કોઈ હોનારત સર્જાય ત્યારે લોકો ઝડપથી બહાર જઈ શકે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવાના આદેશ હોવા છતાં હજી પણ આણંદમાં કેટલાક ગેમ ઝોનમાં ભારે ભીડ વચ્ચે ઇમરજન્સી એક્ઝિટની અસુવિધા જણાઈ રહી છે. ચાલતા ફરતા મોત સમાન ગેમ ઝોન સામે તંત્ર લાલ આંખ કરશે કે કેમ તે જોવું રહ્યું.