ગ્રામ પંચાયત ચૂંટણી માટે ધમધમાટ શરૂ, ૬ અરજીઓ રદ કરાઈ
આણંદ ીજલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના પડઘમ શરુ થઇ ગયા છે. જિલ્લાની આશરે ૧૫૯ વધુ ગ્રામ પંચાયતોમાં છેલ્લા બે વર્ષથી વહીવટદારનું શાસન હતુંં. તેમાંયે મહેકમ મુજબ સ્ટાફની ઘટના કારણે એક વહીવટદારને બેથી ત્રણ ગ્રામ પંચાયતનો કાર્યભાર સોંપાયો હતો. જેના કારણે વિકાસ કામોમાં અવરોધ થયાની કેટલાક ગામોમાંથી ફરિયાદ થવા પામી હતી.
આગામી જૂન માસના બીજા અઠવાડિયામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર હોવાના ભાગરુપે રાજય ચૂંટણી પંચ દ્વારા આણંદ જિલ્લાની ૧૫૯ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અને ૧૦૦ જેટલી ગ્રામ પંચાયતોમાં ખાલી પડેલી બેઠકો માટે લગભગ બે વર્ષ બાદ પેટા ચૂંટણી યોજવાના આદેશ કર્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી સહિતના વિભાગોને ચૂંટણી અંગેની પ્રાથમિક તૈયારીઓને આખરી રુપ આપવા માટે પણ ચૂંટણી પંચ દ્વારા નિર્દેશ કરાયા છે.
જેના ભાગરુપે ૧૫૯ ગ્રામ પંચાયતોની મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં આણંદ તાલુકામાં ૧૮ર, ઉમરેઠ ૧૧ર, બોરસદ ર૦૬, આંકલાવ ૧૭૪, પેટલાદ ૩૦ર, સોજીત્રા ૧પ૦, ખંભાત ૧૭૮, તારાપુર ૧૬૦ મળીને ૪,૬ર,૦ર૧ પુરૂષ અને ૪,૪ર,૮૩૮ સ્ત્રી મળીને કુલ ૯,૦૪,૮૬૮ મતદારો નોંધાયા છે. જેમાં આણંદ તાલુકામાં સૌથી વધુ ૧.૭ર લાખ અને સોજીત્રામાં સૌથી ઓછા પ૩૪ર૩ મતદારો નોંધાયા છે. આખરી મતદાર યાદી ટૂંક સમયમાં પ્રસિદ્ઘ કરાશે.જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા મતદાન મથકો, ઇવીએમ સહિતની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. બીજી તરફ ચૂંટણીનું જાહેરનામું બહાર પડે ત્યારે જંગમાં ઝંપલાવવા માટે ઇચ્છુક ઉમેદવારો વચ્ચે પણ અત્યારથી હોડ જામી હોવાનું ચિત્ર જોવા મળી રહ્યું છે.
બીજી તરફ આખરી મતદાર યાદી પ્રસિદ્વ કરવા ચૂંટણી પંચના આદેશને લઇને આખરી મતદાર યાદી અંતિમ તબકકામાં પહોંચી છે. જેમાં ગુજરાત પંચાયતી ચૂંટણીના નિયમો ૧૯૯૪ના નિયમ ૩(ક) હેઠળ જે મતદારોનો ૧ એપ્રિલ,ર૦રપ સુધીમાં સમાવેશ કરવામાં આવેલો હોય તે સાથે તત્કાલિન મતદાર યાદી મોકલી આપવામાં આવી છે. જેથી આગામી ટૂંક સમયમાં ગ્રામ પંચાયતો અને બેઠકોની પેટા ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્વ થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લાની ૧પ૯ ગ્રામ પંચાયતોની અને ૧૦૦માં બેઠકોની પેટા ચૂંટણીની વિભાગીય તૈયારીઓ આખરી તબકકામાં પહોંચી છે. દરમ્યાન જિલ્લા ચૂંટણી વિભાગને છ વાંધા અરજીઓ મળી હતી. જેમાં આંકલાવમાં ર, આણંદ ગ્રામ્યમાં ર, ખંભાત અને પેટલાદ તાલુકામાં ૧-૧ મળીને કુલ છ વાંધા અરજીઓનો ચૂંટણી પંચે અસ્વીકાર કર્યાનું જાણવા મળે છે. અરજીઓમાં મોટાભાગે વોર્ડ તબદીલી સહિતની કેટલી માંગણીઓ યોગ્ય ન હોવાથી તમામ વાંધા અરજીઓનો અસ્વીકાર કરીને દફતરે કરવામાં આવી છે.
રંગપુરની વ્યાજબી,સૈદ્ઘાંતિક કામગીરીને લગતી વાંધા અરજી ગ્રાહ્ય
ચૂંટણી પંચને ખંભાત તાલુકાની રંગપુર ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ વાંધા અરજીને ગ્રાહ્ય રાખવામાં આવી છે. વાંધા અરજીમાં વોર્ડની તબદીલીનો મુદ્દો સ્વીકારવામાં આવ્યો છે. મતલબ કે વ્યાજબી કારણ અને સૈદ્ઘાંતિક કામગીરી હોવાથી વાંધા અરજીનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને રંગપુર ગ્રા.પં.ની ચૂંટણીમાં તે મુજબનો ફેરફાર કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
૧૦૦ ગ્રા.પંચની બેઠકોની પેટા ચૂંટણી યોજાશે : સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં કુલ ર૭ ટકા ઓબીસી અનામતના અમલ સાથે પ્રથમવાર યોજાતી ચૂંટણી
ચૂંટણી આયોગ દ્વારા આવનારી સ્થાનિક ચૂંટણીઓમાં ર૭ ટકા ઓબીસી, ૧પ ટકા એસ.ટી. અને ૭ ટકા એસ.સી. અનામત બેઠકો રહેશે. સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં કુલ ર૭ ટકા ઓબીસી અનામતના અમલ સાથે પહેલીવાર ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આણંદ જિલ્લાની ૩પ૧ ગ્રામ પંચાયતોમાંથી ૧૫૯ ગ્રા.પં.માં છેલ્લા ર વર્ષથી વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે. ઉપરાંત ૧૦૦ જેટલી ગ્રા.પં.ની બેઠકોની પેટા ચૂંટણી યોજવામાં આવનાર છે. જેના માટે રાજય ચૂંટણી પંચની સૂચનાનુસાર જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.