મોગરી-અંધારિયા રોડનું કામ વર્ષથી ઠપ, કરોડોની રકમ છતાં વિકાસ અધૂરો
આણંદ : આણંદ મહાનગરપાલિકાના મોગરી ગામથી અંધારિયાને જોડતો ત્રણ કિ.મી.નો ટૂંકો રસ્તાનું કામ શરૂ કર્યા બાદ અચાનક બંધ કરી દેવાતા હાલ રસ્તો તૂટીને ભંગાર થઈ ગયો છે. બિસ્માર રસ્તાના કારણે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
વિદ્યાનગરથી મોગરી થઈને આંકલાવ તાલુકા અને વડોદરાને જોડતો મુખ્ય ત્રણ કિલોમીટરના રોડનું કામ મોડાસાની સીતારામ કન્સ્ટ્રકશન કંપનીને રૂપિયા ૧.૫૩ કરોડમાં સોંપાયું હતું. કામ શરૂ કર્યા બાદ રોડ ખોદી નાખવામાં આવ્યો હતો પરંતુ, અચાનક એક વર્ષથી રોડનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે.
જેને કારણે આખો રસ્તો તૂટીને ઊંડા ખાડા પડી ગયા છે. દિવસે પણ વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે. ૩ કિ.મી.નું અંતર કામપતા ૩૦ મિનિટથી વધુ સમય લાગે છે. ત્યારે બિસ્માર રોડના લીદે ચોમાસામાં ખેડૂતોની હાલત કફોડી બનશે. રસ્તાની બંને બાજુ ખેડૂતોએ દબાણ કરી પાકા વરંડા પણ બનાવી દેતા રસ્તો સાંકડો બની ગયો છે. નવો રસ્તો બનતો હોવા છતાં દબાણો દૂર નહીં કરાતા સવાલો ઉઠી રહ્યા છે.
આણંદ માર્ગ અને મકાન વિભાગના ઈજનેર વિવેક ગઢવીએ જણાવ્યું હતું કે, મોડાસાની સીતારામ કન્સ્ટ્રકશન કંપનીને રૂપિયા ૧.૫૩ કરોડમાં રોડનું કામ સોંપવામાં આવેલું છે પરંતુ જીયુડીસીની પાઇપલાઇનનું કામ શરૂ કર્યું હોવાથી રોડનું કામ અટક્યું હતું. હવે પાઇપલાઇનનું કામ પૂર્ણ થઈ ગયું છે એટલે થોડા દિવસોમાં રોડનું કામ શરૂ કરી દેવામાં આવશે.
મોગરી ગ્રામ પંચાયતને રોડ ઉપરના દબાણોની માપણી કરીને કેટલું દબાણ છે તેની રોડ ખાતાને જાણ કરવાની સૂચનાઓ અપાય છે. તમામ માહિતી બાદ બિનઅધિકૃત દબાણો દૂર કરી દેવાશે.