આણંદમાં લૉ-વોલ્ટેજથી હેરાન રહીશોનો વીજ તંત્ર સામે ઉગ્ર વિરોધ
આણંદ : આણંદ શહેરના સલાટિયા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી લૉ-વોલ્ટેજની સમસ્યાથી સોસાયટીમાં વીજ ઉપકરણો બળી જતા હોવાથી નુકસાનને કારણે રહીશોએ વીજ કચેરીએ સૂત્રોચ્ચાર કરીને રજૂઆત કરી હતી.
આણંદ મહાનગરપાલિકા હદવિસ્તારમાં આવેલા સલાટીયા રોડ ઉપર આવેલા ફેઝ પાર્ક તથા આજુબાજુની સોસાયટીમાં છેલ્લા કેટલા સમયથી લૉ-વોલ્ટેજની સમસ્યાને કારણે ફ્રીજ, ટીવી સહિતના વીજ ઉપકરણો બળી જતા આથક નુકસાન થઈ રહ્યું છે. આ અંગે વારંવાર એમજીવીસીએલમાં રજૂઆત કરવા છતાં પણ વીજ વોલ્ટેજ વધારવામાં આવ્યા ન હતા. જેથી આજે આ વિસ્તારની મહિલાઓ સહિતના રહીશોએ મોટી સંખ્યામાં વીજ કચેરીએ જઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ બાદ રજૂઆત કરી હતી.
રહીશોએ જણાવું છે કે, અમે આજે એમજીવીસીએલના કર્મચારીઓને વોલ્ટેજ માપવા બોલાવ્યા હતા. વોલ્ટેજ ૧૫૦થી ૧૮૫ સુધી નીકળ્યા હતા. ખરેખર ૨૫૦ વોલ્ટેજ હોય તો જ ઉપકરણો બચી શકે પરંતુ લૉ-વોલ્ટેજને કારણે વીજ ઉપકરણો બળી જવાથી અમને નુકસાન થઈ રહ્યું છે. વહેલી તકે આ વિસ્તારમાં જરૂરી વીજ પૂરવઠો મળે તે માટે વ્યવસ્થા કરવા માંગણી છે.