આણંદ શહેરના તુલસી ગરનાળા પાસે ટાંકી બનાવી, રીપેર પણ કરી... પણ પાણી ટપકવાનું બંધ નહિ થયું!
આણંદ શહેરના તુલસી ગરનાળા પાસે દેવા કુવા વિસ્તારમાં રૂ.88 લાખના ખર્ચે બનેલી પાણીની ટાંકીમાં 40 લીકેજ થતાં તંત્રએ કોન્ટ્રાકટરને નોટિસ ફટકારીને રીપેરીંગની કામગીરી હાથ ધરવા સુચના આપી હતી.જેની હાલમાં કામગીરીઓ પુર્ણ થતાં પાણીની ટાંકી શરૂ કરીને વિસ્તારમાં પાણી વિતરણ ચાલુ કરી દેવાયું છતાંય વધુ બે લીકેજ હોવાથી પાણી ટપકવાનું ચાલુ જ રહ્યુ છે. જેને પગલે હજી 10 હજાર લોકોને પૂરતા પ્રેશરથી પાણી મળતુ ન હોવાની ફરિયાદનો નિવેડો આવ્યો નથી.
આણંદ તુલસી ગરનાળા પાસે આવેલ દેવ કુવા વિસ્તારમાં 600થી પરિવારજનો પાણીની સુવિધા મળી રહેવાના હેતુથી પાણીની ટાંકી તૈયાર કરાઈ હતી.ત્યારે મનપા તંત્રએ રૂ.88 લાખ ખર્ચે 8 લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી લીકેજ થતાં તંત્રએ કોન્ટ્રાકટરને નોટિસ ફટકારી હતી.જેના ભાગરૂપે કોન્ટ્રાકટરે દોઢ મહીના સુધી પાણીની ટાંકી બંધ રાખીને 40 લીકેજની મરામતની કામગીરી હાથ ધરી હતી.તંત્રએ અન્ય બોર કુવા થકી સમગ્ર વિસ્તારમાં પાણી વિતરણ કરવાની ફરજ પડી હતી. 40 લીકેજની મરામત થતાં પાણી ટાંકીમાંથી વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું.આ સમયે બે લીકેજ દેખાઈ આવતા તાત્કાલિક ધોરણે રીપેરીંગ કરવા સુચનાઓ આપવમાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતુ.