મનરેગા કામદારોને સમયસર રોજગાર આપવા સાંસદનો તંત્રને અનુરોધ
આણંદના સર્કીટ હાઉસ ખાતે સાંસદ મિતેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠક યોજાઈ. સાંસદે ભારત સરકારની વિવિધ યોજનાઓની સમીક્ષા કરી હતી.
તેમણે અધિકારીઓને સરકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડવા જણાવ્યું. ઉજ્વલા યોજનાના લાભાર્થીઓને 30 જૂન સુધીમાં વિનામૂલ્યે ગેસ રીફિલિંગ કરાવવા સૂચના આપી. ગ્રામ પંચાયતોને ગૌચર જમીન પર વૃક્ષારોપણ કરી આવક વધારવાનું સૂચન કર્યું હતું.
આણંદ રેલવે સ્ટેશન પર મહિલા સખી મંડળોને પ્રોડક્ટ વેચાણ માટે સ્ટોલની સુવિધા અને આર્થિક મદદની ખાત્રી આપી. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત તમામ લાભાર્થીઓને આવરી લેવા અનુરોધ કર્યો. તાલુકા વિકાસ અધિકારીઓને પ્રિમોન્સૂન એક્ટિવિટી યોગ્ય રીતે કરાવવા સૂચના આપી હતી.
બેઠકમાં જનપ્રતિનિધિઓએ ચોમાસા પૂર્વેની તૈયારીઓ, રોડ-રસ્તા, આંગણવાડી, જળ વ્યવસ્થાપન અને આરોગ્ય સુવિધાઓ અંગે રજૂઆત કરી. સાંસદે આ પ્રશ્નોના નિરાકરણ માટે સૂચનો કર્યા. બેઠકમાં નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, ધારાસભ્યો, કલેકટર પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.