આણંદ મનપામાં જોડાયા પછી પણ 4 ગામોના રહીશો અંધારામાં – વેરો ક્યાં ભરવો તે જ સ્પષ્ટ નથી!
આણંદ મનપા જાહેર કરવા સાથે તેમાં ૪ ગામોનો સમાવેશ કરાતા મનપાનો વ્યાપ-વિસ્તાર વધ્યો છે. પરંતુ તેમાં સમાવિષ્ટ વિસ્તારો પેકી ગ્રામ્યના નગરજનોને જરુરી સુવિધા તેમજ વેરા ભરવા માટેની સુગમતા માટે અગાઉથી સરકાર દ્વારા પણ કોઇ ગાઇડલાઇન હાથ ધરવામાં આવી નહતી. જેના કારણે અગાઉ ગ્રામ પંચાયતમાં જ દર વર્ષ વેરો ભરતા ગ્રામજનોને હવે વેરો ભરવા માટે ગડમથલભરી સ્થિતિમાંથી પસાર થવું પડી રહ્યાનું જાણવા મળે છે.
જેમાં જાણવા મળ્યાનુસાર મોગરી, લાંભવેલ, જીટોડિયા અને ગામડી ગ્રામ પંચાયતમાં ગ્રામ સુવિધા સોફટવેર થકી ગ્રામજનોનો વેરો જમા કરવામાં આવતો હતો અને કમ્પ્યુટરાઇઝ રીસીપ્ટ આપવામાં આવતી હતી. પરંતુ આ ચાર ગામોનો મનપામાં સમાવેશ કરાતા ગ્રામ સુવિધા સોફટવેરમાં એન્ટ્રી બંધ કરવામાં આવી અને જે-તે ગામોમાં મેન્યુઅલી વેરો લેવાનું ચાલુ કર્યુ. પરંતુ તેમાં રીસીપ્ટ આપવા મામલે હિસાબી એન્ટ્રીનો સમાવેશ કયા હેડ હેઠળ કરવો તે અંગે અસ્પષ્ટતાભરી સ્થિતિ ઉદ્દભવી હતી. જેથી મોટાભાગે માર્ચ માસમાં ગામોમાં મેન્યુઅલી વેરો લેવાનું બંધ કરીને મનપામાં જમા કરાવવાની મૌખિક સૂચના આપવામાં આવી હતી.
જેના કારણે મોટાભાગના ગ્રામજનો મનપામાં વેરો ભરવા પહોંચે ત્યારે તેમના ગામનું વેરાનું સોફટવેર હજી અપડેટ થયું નથી. જેના કારણે પાછલી બાકીનું અપડેટ ઓનલાઇન જોવા મળતું ન હોવા સાથે વર્તમાન સમયનો વેરો મેન્યુઅલી ભરાયો છે કે બાકી તે અંગે પણ નોંધ જોવા મળતી ન હતી. જેથી વેરો ભરનારને રીસીપ્ટ ન અપાય તેવી સ્થિતિ સર્જાઇ છે. બીજી તરફ વેરો ભરવાની મુદ્દત વીતી જવાના કારણે રીબેટનો લાભ મળશે કે કેમ તેની પણ ગ્રામજનો દ્ઘિધા અનુભવી રહ્યા છે. આથી હવે મનપા દ્વારા વેરા વસુલાત માટેનું સોફટવેર વહેલી તકે અપડેટ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે.
મનપામાં ૪ ગામોના વેરા વસૂલવા માટે સોફટવેર અપડેટ થઇ ગયું છે, જૂની એન્ટ્રી અપલોડની કામગીરી ચાલુ છે: નાયબ મ્યુનિ. કમિશ્નર
આણંદ મનપામાં વેરા સોફટવેર અપડેટ થઇ રહ્યાનું જણાવતા ડે.મ્યુનિ. કમિશ્નર એસ.કે.ગરેવાલે જણાવ્યું હતું કે, સોફટવેર અપડેટ થયા બાદ વેરો ભર્યાની ઓનલાઇન રીસીપ્ટ મળી શકશે. જો કે આ ગામોના અગાઉના ભરાયેલ માંગણાનો સોફટવેરમાંથી ડેટા અપલોડ કરવાની કામગીરી બાકી છે. જેને પણ વેળાસર પૂરી કરવા કામગીરી કરવામાં આવી રહી છે. અગાઉની જૂની એન્ટ્રીઓ ઓનલાઇન અપલોડ થયા બાદ જ વર્તમાન અને પાછલી વેરા બાકી અંગેની સ્પષ્ટ સ્થિતિ જોવા મળશે.
અગાઉના આકારણી રજીસ્ટર નિભાવ્યા ન હોવાની પણ સમસ્યા : પંચાયત ઓપરેટર
મનપામાં સમાવિષ્ટ ચાર ગ્રામ પંચાયતો પૈકી મોટાભાગે તલાટી દ્વારા આકારણી રજીસ્ટર નિભાવવામાં ન આવ્યા હોવાના કારણે વેરા વસૂલાતની કામગીરી કેટલી બાકી અને પાછલી બાકી મામલે પળોજણભરી સ્થિતિ ઉદ્દભવ્યાનું ગ્રામ પંચાયત કમ્પ્યુટર ઓપરેટરોમાં ગણગણાટ થઇ રહ્યો છે. પાછલો ટેકસ બાકી હોય તેમને નોટિસ આપવા સહિતની કામગીરી પણ આ વર્ષના વેરા ભર્યાની રીસીપ્ટ ઓનલાઇન મળતી થયા બાદ જ થઇ શકશે તેવો મત વ્યકત કર્યો હતો.