ખાણ વિભાગના ઇંચાર્જ સહિતના કર્મચારીઓનો નકલી રોયલ્ટી વસૂલાત કાંડ: આણંદના ખેડૂતો લૂંટાયા
વડોદરા ખાણ-ખનિજ વિભાગમાં ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા આણંદના ભૂસ્તર શાસ્ત્રી રવિ મિસ્ત્રી, રોયલ્ટી ઇન્સ્પેકટર સંકેત પટેલ અને સિ.કલાર્ક યુવરાજસિંહ ગોહિલની ટોળકીએ આણંદ જિલ્લામાં પણ અંતરિયાળ વિસ્તારોના ખેડૂતોને નિશાન બનાવ્યા હતા. આ ટોળકી ખંભાત, તારાપુર, સોજીત્રા સહિતના વિસ્તારોમાં રહેતા ખેડૂતોને મોટી રકમ ભરવાની નોટિસ આપ્યા બાદ સમાધાન પેટે નાણાં પડાવવામાં આવતા હતા.
જેમાં ચોમાસુ નજીક હોવાથી રેતીનો જથ્થો કરવા માટેની જગ્યાની મંજૂરી આપવા માટે ખાણ-ખનિજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રી, સિનિયર કલાર્ક સહિતની ટોળકીએ ર લાખનો ભાવ નકકી કર્યો હતો અને જેમ જેમ જમીનનું ક્ષેત્રફળ વધે તે મુજબ લાંચની વધુ રકમની માંગણી કરવામાં આવતી હોવાનું પણ ચર્ચાય છે.
વિભાગના સૂત્રોનુસાર ચોમાસા દરમ્યાન લીઝ ધારકો ખનનની પ્રકિયા બંધ કરતા હોય છે. તેઓએ રેતીનો જેટલો સ્ટોક રાખ્યો હોય તે સ્ટોકને અન્ય સ્થળે રાખીને તેનું વેચાણ કરવા માટે અરજી કરીને મંજૂરી મેળવવાની હોય છે. જેમાં જે જગ્યાએ રેતીનો સ્ટોક કરવામાં આવ્યો હોય તે જમીન બિનખેતી કરાવીને, તેનો નંબર પણ લેવાનો હોય છે. ત્યારબાદ જ લીઝધારક રેતીનો સ્ટોક કરીને તેનું વેચાણ કરી શકતો હોય છે. આ સ્થિતિમાં જે ખેડૂતની જમીન રાખવામાં આવી હોય તેને નોટિસ આપીને નાણાં પડાવવાનો ખાણ-ખનિજ વિભાગની ટોળકી દ્વારા ખેલ રચવામાં આવતો હતો. ઉલ્લેખનીય છે કે, ગતરોજ ર લાખની લાંચ લેતા ઝડપાયેલ સહિત વડોદરા ખાણ-ખનિજ વિભાગના ચાર અધિકારી-કર્મચારીઓની ઉલટતપાસમાં અનેક કરતૂતોનો પર્દાફાશ થશેની સંભાવના વ્યકત થઇ રહી છે.