આણંદના તળાવોની હાલત પર ફરી ચર્ચા: બ્યુટિફિકેશન કે ફોર્માલિટી?
અગાઉ પાલિકાના સમયમાં અપાયેલ કોન્ટ્રાકટમાં તળાવની ચોતરફ અંદરની સાઇડે ગોઠવેલા મોટા પથ્થરો અનેક સ્થળે તૂટી ગયા : મનપાના એન્જિનીયર સહિતની ટીમ દ્વારા ચકાસણી, તૂટેલ પથ્થરના ટીચીંગનું ગુણવત્તા સાથે નવેસરથી કામ કરવા સૂચના
આણંદ શહેરના વિવિધ તળાવોને બ્યુટીફિકેશનના નામે અગાઉ અનેકો વખત ગ્રાન્ટની ફાળવણી કરવા છતાંયે સરવાળે સ્થિતિ યથાવત જ રહેવા પામી છે. મનપા બન્યા બાદ પુન: તળાવોની સુંદરતા વધારવા માટેના નવા આયોજનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે અગાઉ પાલિકાના સમય દરમ્યાન શહેરના ટીપી ૧૦માં આવેલ કાનોડ તલાવડીના બ્યુટીફિકેશનનો કોન્ટ્રાકટ અપાયો હતો.
જેમાં તળાવની ચોતરફ વોક-વે અને તળાવની અંદરની તરફે ચોતરફ મોટા પથ્થરોની ગોઠવણી કરીને ટીચીંગના કામનો પણ સમાવેશ કરાયો હતો. જેમાં તળાવના કેટલાક ભાગમાં કોન્ટ્રાકટર દ્વારા ટીચીંગની કામગીરી કરવામાં આવી છે. પરંતુ તે પૈકીના મોટાભાગના સ્થળોએ પથ્થરો ઉખડી જવા સાથે ટીચીંગ કરેલ કેટલોક ભાગ તૂટી પણ ગયો છે. હજી કામગીરી ચાલુ છે ત્યાં જ આ પ્રકારની વેઠ હોય ત્યારે સમગ્ર કામ પૂરું થતાં સુધીમાં ખર્ચો જ માથે પડશેની સ્થિતિ જોવા મળે તેવો ઘાટ થઇ શકે છે. દરમ્યાન મનપાના એન્જિનીયરો સહિતની ટીમે તાજેતરમાં કાનોડ તલાવડીના બ્યુટીફિકેશનની ચાલતી કામગીરીની ચકાસણી હાથ ધરી હતી. જેમાં હજી સુધી માંડ અડધી કામગીરી પૂર્ણ થઇ છે અને ટીચીંગની થયેલ કામગીરી અનેક સ્થળોએ તૂટી ગયેલ, ગુણવત્તાવિહિન હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી આ બાબતને ગંભીરતાથી ધ્યાને લઇને મનપા દ્વારા કોન્ટ્રાકટરને નોટિસ આપવામાં આવી છે. જેમાં ટીચીંગ થયેલ કામગીરીમાં તૂટી ગયેલ પથ્થર સહિતના ભાગનું નવેસરથી ગુણવત્તાયુકત કામ કરવું અને સમગ્ર કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તે માટે નોટિસ આપવામાં આવી છે.