જમ્મુ-કાશ્મીરના રામબણમાં વાદળ ફાટ્યું : ૩ના મોત, ગુજરાતના ૫૦ મુસાફરો ફસાયા
જમ્મુ અને કાશ્મીરના રામબણમાં ગઈકાલે વાદળ ફાટવાની ઘટના બની હતી, જેમાં 3 લોકોનાં મોત થયાં હતાં. ખરાબ હવામાનને કારણે ગુજરાતથી ત્યાં ગયેલી 50 મુસાફર ભરેલી બસ પણ ત્યાં ફસાઈ છે. આ બસમાં 30 મુસાફર ગાંધીનગર અને 20 પાલનપુરના હતા. હાલ મુસાફરો શ્રીનગર પરત ફરી રહ્યા છે. આ ઘટનામાં ફસાયેલા એક ગુજરાતી મુસાફરે 20 એપ્રિલની સાંજે 6:35 વાગે એક વીડિયો વાઇરલ કરી ગુજરાત સરકાર પાસે મદદની માગ કરી હતી. એ બાદ સરકારે તાત્કાલિક બચાવની કામગીરી શરૂ કરી દીધી છે. તમામ મુસાફરોએ આખી રાત બસમાં વિતાવ્યા બાદ વહેલી સવારે રામબણ આર્મીના કેમ્પમાં લઇ જવામાં આવ્યા છે, જ્યાં ચા-નાસ્તો કરાવાયો છે. રસ્તો ખુલ્લો થયા બાદ તમામને પરત મોકલવામાં આવશે. તો આવો જાણીએ… જમ્મુ-કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતી મુસાફરોની વ્યથા વિશે…
ગાંધીનગર અને પાલનપુરના તમામ ગુજરાતી મુસાફરો અંબિકા ટ્રાવેલ્સમાં મુસાફરી કરી રહ્યા છે. બસમાં નાનાં બાળકોથી લઈને ઉંમરલાયક વૃદ્ધો પણ જોવા મળી રહ્યાં છે. ઘણા લાંબા સમયથી ખાધા-પીધા વગર ગભરાયેલા મુસાફરોએ અંતે વીડિયો બનાવી ગુજરાત સરકાર પાસે મદદની માગ કરતાં જણાવ્યું કે અમારી સ્થિતિ અત્યારે એટલી ખરાબ છે કે અહીં કોઈપણ ખાવા-પીવાનું મોકલતાં નથી, અમારાં છોકરાઓ પાણીમાં બિસ્કિટ ડુબાડીને ખાઇ રહ્યાં છે. અમને લેવા આવો ગમે-તેમ કરીને. વિસ્તાર પણ ખૂબ જ ખતરનાક લાગી રહ્યો છે.
મારું નામ કેતન છે. અમે 12 તારીખે જમ્મુ-કાશ્મીરની યાત્રા માટે નીકળ્યા હતા. જ્યારે 19 તારીખે શ્રીનગરથી પરત આવી રહ્યા હતા ત્યારે ભારે વરસાદને કારણે ભેખડો પડવાથી અહીં રસ્તા તૂટી ગયા છે, જેના કારણે અમે રામબણ જિલ્લાની અંદર ફસાઈ ગયા છીએ. મારી ગુજરાત સરકારને વિનંતી છે કે અમને જેટલી બને એટલી જલદી સુરક્ષિત જગ્યાએ પહોંચાડે. જમ્મુ-કાશ્મીર તરફથી અમને યોગ્ય જવાબ નથી મળતો. અમારી પાસે ખાવા માટે કે પાણી પીવા માટે પણ કોઈ સુવિધા નથી. અમે 30 જણા ગાંધીનગર અને 20 જણા પાલનપુર એમ કુલ 50 જણા ફેમિલી સાથે છીએ અને સાથે નાનાં બાળકો પણ છે. અમારો જીવ ખતરામાં છે. તો ગુજરાત સરકારને વિનંતી છે કે અમને સુરક્ષિત જગ્યાએ પહોંચાડો.
આ અંગે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં ભૂસ્ખલનની ઘટના દરમિયાન અટવાયેલા ગુજરાતીઓ સુરક્ષિત છે. તમામ લોકોને રામબણ આર્મી કેમ્પમાં લઇ જવાયા છે, જેમને રિટર્ન લાવવાની વ્યવસ્થા થઈ રહી છે. બનાસકાંઠા વહીવટી તંત્ર રામબણ તંત્રના સંપર્કમાં છે.
રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે ગુજરાતના પ્રવાસીઓની ટ્રાવેલ્સ બસ લેન્ડ સ્લાઈડિંગથી દૂર સેફ ઝોનમાં છે તેમજ બધા જ મુસાફરો સુરક્ષિત છે. આર્મીના જવાનોએ ગુજરાતના આ મુસાફરોને ભોજન, પાણી વગેરે પહોંચાડ્યાં છે. એટલું જ નહીં, તમામ યાત્રિકોની રહેવા-જમવાની વ્યવસ્થા પણ આર્મી કેમ્પ ખાતે કરવામાં આવી છે.
ગુજરાતના આ મુસાફરોને હાલ કોઈ મેડિકલ ઇમર્જન્સી પણ નથી તેમજ જમ્મુ અને કાશ્મીર પ્રશાસન દ્વારા લેન્ડ સ્લાઈડિંગમાં ફસાયેલી ટ્રાવેલ બસને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ રહી છે, એમ રાહત કમિશનરએ ઉમેર્યું હતું. આ વિષયે વધુ માહિતી માટે સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર-ગુજરાત-07923251900નો સંપર્ક જરૂર જણાયે કરી શકાશે, એમ પણ રાહત કમિશનરએ જણાવ્યું હતું.
ગાંધીનગર સેકટર-14માં રહેતા અને હાલમાં જમ્મુ અને કાશ્મીરમાં ફસાયેલા બાબુભાઈ સોલંકીના પુત્ર યુવરાજ સોલંકીએ આજે સવારે જણાવ્યું, મારા પિતા બાબુભાઈ સહિતના ત્યાં સુરક્ષિત છે. ભૂસ્ખલનના લીધે રસ્તા બંધ થઈ ગયા છે. તમામ પ્રવાસીઓને આર્મી કેમ્પમાં લઈ જવાયા છે. વેધર સારું થયા પછી તમામને રિટર્ન મોકલી આપવામાં આવશે. ત્યાં પોસ્ટ પેડ કાર્ડની સર્વિસ જ ચાલુ છે, એટલે મારા પિતા સાથે અન્ય કોઇના ફોન મારફત વાત થઈ છે.
વરાજ સોલંકીએ રવિવારે સાંજે જણાવ્યું હતું કે મારા પિતા તેમજ સેક્ટર- 14 અને વાવોલ તેમજ બીજા ગાંધીનગરના લોકો જમ્મુ-કાશ્મીર ગયા હતા. આજે બપોરના સમયે ભૂસ્ખલનના લીધે એ લોકો ફસાઈ ગયા હોવાની જાણ થઈ હતી. બે કલાક પહેલાં વાત થયેલી એ પછી કોઈ કોન્ટેક્ટ નથી. કોઈ અજાણ્યા નંબરથી ફોન પર વાત થાય છે, પણ બે કલાક થયા હજી વાત થઈ નથી, જોકે એ લોકો સેફ હોવાની વાત મળી છે. હાલમાં અમે બધાં ચિંતામાં છીએ.
મોડીરાત્રે ગાંધીનગરના કલેક્ટર મેહુલ દવેએ જણાવ્યું હતું કે 20-25 મિનિટ પહેલાં ત્યાંના વહીવટી તંત્ર અને આર્મી સાથે વાત થઈ છે. જેમના કહેવા મુજબ બધા પેસેન્જર સુરક્ષિત છે. જેમને હમણાં જમવાનું પણ આપવામાં આવ્યું છે. વાત થયા મુજબ ભૂસ્ખલનના લીધે રસ્તો બંધ છે. નેટવર્ક ઈસ્યુ હોવાથી મુસાફરો સાથે બહુ વાત થતી નથી, પણ કેતન અને બાબુભાઈ સાથે વાત થઇ છે. આર્મી તેમજ ત્યાંનું વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે રસ્તો ક્લિયર કરાવવામાં લાગ્યું હોવાનું જાણ્યું છે, ગાંધીનગરના તમામ મુસાફરો સુરક્ષિત છે.
ગાંધીનગરથી જમ્મુ-કાશ્મીર ગયેલાં સેકટર -14ના કિશોરભાઈ અને તેમનાં પત્ની પુષ્પાબેન સોલંકીનાં દીકરી રાજેશ્વરીબેને દિવ્ય ભાસ્કર ડિજિટલ સાથેની વાતચીતમાં કહ્યું, 12થી 24 તારીખ સુધીનો પ્રવાસ હતો. સાણંદનાં એક બહેનના થકી પ્રવાસનું આયોજન થયેલું હતું. આજે સાડાઆઠેક વાગે ટ્રાવેલ્સના ડ્રાઈવરના મોબાઇલ થકી મારાં માતા-પિતા સાથે વાત થયેલી, ત્યાં નેટવર્કનો બહુ ઈસ્યુ છે. પાલનપુરથી લક્ઝરી આવેલી અને મારાં માતા-પિતા સહિતના પ્રવાસીઓ અહીંથી નીકળ્યાં હતાં. ટેલિફોનિક વાત થયા મુજબ તેમને બપોરના સમયે ખીચડી-નાસ્તો આપવામાં આવ્યો હતો. બસ ભૂસ્ખલનથી દોઢેક કિમી દૂર ફસાઈ છે. નેટવર્ક ઈસ્યુના લીધે તેમની સાથે હજી વાત થઈ શકી નથી.
મુસાફર કેતનનો વીડિયો વાઇરલ થતાં જ બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલ દ્વારા રામબણના કલેક્ટર અને બસમાં હાજર કેતન નામના મુસાફર સાથે સીધી વાતચીત કરવામાં આવી છે. રામબણ જિલ્લા પ્રશાસનની ટીમ બચાવ કામગીરી માટે સ્થળ પર પહોંચી રહી છે. તમામ મુસાફરો સુરક્ષિત છે, અને હાલ બસ ફક્ત ખરાબ હવામાનના કારણે અટવાઈ છે.
રામબણમાં ગાંધીનગરના 20 પેસેન્જર જે જગ્યાએ છે એ સેફ છે. મારે બનાસકાંઠા કલેક્ટર સહિતના અધિકારી સાથે વાત થઇ છે. ગાંધીનગરના બધા પેસેન્જરો સેફ છે. ટ્રાવેલ્સની વિગતો તેમજ ગાંધીનગરના પ્રવાસીઓની વિગતો મેળવવામાં આવી રહી છે.
વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના વણકર સમાજના અને અન્ય સમાજના જે લોકો જમ્મુ અને કાશ્મીરમાં ફસાયેલા છે, એ મુદ્દે હાલ જ મારી ત્યાંના IAS અધિકારી બશીર સાથે વાત થઈ. તેમણે કહ્યું, અમને સાંજથી આ લોકો તકલીફમાં છે એનો મેસેજ મળી ગયો છે, ખાસ કોઈ ચિંતા જેવું નથી, 10:30 સુધીમાં આર્મી અને પોલીસની ટીમ પહોંચી જશે અને જે પણ જરૂરી સામગ્રી હશે એ પૂરી પાડવામાં આવશે. અન્ય સુરક્ષિત રસ્તેથી તેમને બહાર કાઢવામાં આવશે. થોડો સમય લાગશે, પણ બધાં હેમખેમ પરત ફરશે. ત્યાંના કોંગ્રેસ પક્ષના અન્ય સાથીઓને પણ જરૂર પડ્યે મદદ માટે દોડી જવા કહ્યું છે.